અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર નરોડામાં આવેલું માધવ ઉદ્યાન હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ઉદ્યાનમાં એક ચિત્રકારે વૃક્ષો પર અનોખા ચિત્રો દોર્યા છે. આ વૃક્ષો અનોખા અને સવિશેષ છે.
અમદાવાદ શહેરના રિતેશ યાદવ નામના એક ચિત્રકારે આ ઉદ્યાનને ચાર ચાંદ લગાવ્યા છે. રિતેશ યાદવને નાનપણથી જ ચિત્રો દોરવાનો શોખ હતો. જે શોખને તેમણે જીવન પર્યન્ત રાખ્યો છે.
રિતેશ યાદવ, મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. અને તેઓ એક પ્રાઇવેટ કંપનીમાં મેનેજરના પદે નોકરી કરે છે. સાથે સાથે તેઓ પોતાના શોખને પણ પુરો કરતા રહે છે.
નરોડાના માધવ ઉદ્યાનમાં આવેલા મોટાભાગના વૃક્ષો પર રિતેશ યાદવે થ્રીડી(3D) ચિત્રો દોર્યા છે. આ ચિત્રો જોઇને હરકોઇ અચંબિત થાય છે.
ચિત્રકાર રિતેશ યાદવને તેણી પુત્રી આંચલ યાદવે પણ સાથ સહકાર આપ્યો છે. અને આંચલ યાદવે પણ વૃક્ષો પર આ અનોખા ચિત્રોનું સર્જન કર્યું છે.
રિતેશ યાદવને થોડા સમય પહેલા બ્લડ પ્રેશરની બિમારી થઇ હતી. ત્યારે તેઓ આ બગીચામાં રોજ 45 મિનિટ ચાલવા આવતા હતા. ત્યારે તેમને આ વૃક્ષો પર ચિત્રો દોરવાની પ્રેરણા મળી હતી.
તેમણે બગીચાને સુંદર બનાવવા અને વૃક્ષોને પણ જીવંત દેખાડવાનો વિચાર આવ્યો અને, તેમણે પોતાના શોખને આ ઉદ્યાન માટે સમર્પિત કરી દીધો.
રિતેશે ઉમેર્યું કે મેં કંઈક એવું કરવાનું નક્કી કર્યું જે લોકોને amc ગાર્ડન તરફ આકર્ષિત કરે. મેં અમારા મ્યુનિસિપલ કાઉન્સિલર વલ્લભ પટેલનો સંપર્ક કર્યો અને 3D ગાર્ડનનો મારો વિચાર રજૂ કર્યો. રિતેશે કહ્યું કે વલ્લભ પટેલે તેને પરવાનગી મેળવવામાં મદદ કરી.
તેઓ પોતાની નોકરીમાંથી નવરાશ મળ્યા બાદ પોતાની પુત્રી સાથે આવીને વૃક્ષો પર જીવંત લાગતા ચિત્રો દોરે છે. આ રીતે તેમણે અલગ-અલગ પ્રાણીઓ અને પક્ષીઓને વૃક્ષ પર જીવંત કર્યા છે. આ રીતે તેમણે ઉદ્યાનમાં 35 વૃક્ષોને નવો લુક આપ્યો છે.
પર્યાવરણ પ્રેમી તરીકે પણ આ ચિત્રકારે અનોખી સેવા આપી હોવાનું આ ચિત્રો પરથી લાગી રહ્યું છે. રિતેશ યાદવ અને તેમની પુત્રી આંચલ યાદવના આ પ્રયાસે હાલ આ ઉદ્યાનને નવું જીવન આપ્યું છે.
આ ચિત્રકારની આ અનોખી ભાવના ખરેખર કાબિલે તારીફ છે. તેમણે પર્યાવરણ પ્રત્યેના પોતાના પ્રેમને પણ આ ચિત્રો થકી ઉજાગર કર્યો છે. આ ચિત્રો જોઇને તમે પણ અચંબિત થઇ જશો અને આ ઉદ્યાનની મુલાકાત લેવાનું ચોક્કસ વિચારશો.