રોજ રાત્રે 11:45 વાગ્યે… અડધી રાત્રે રેલવેના સર્વર પર એવું તો શું થાય છે કે, તમે ‘ટિકિટ’ બુક નથી કરી શકતા ?
આજકાલ આપણે બધું જ કામ ઓનલાઇન અને ગમે ત્યારે કરવા ટેવાયેલા છીએ. એવામાં શું તમે ક્યારેય નોંધ્યું છે કે, દરરોજ રાત્રે એક એવો સમય આવે છે, જ્યારે રેલવેની ટિકિટ બુકિંગ સેવા અચાનક બંધ થઈ જાય છે?

ડિજિટલ ઈન્ડિયાના આ યુગમાં આપણે માનીએ છીએ કે, ઇન્ટરનેટ પર દરેક સર્વિસ 24 કલાક ઉપલબ્ધ છે. શોપિંગ હોય કે બેંકિંગ, આપણે આપણી સુવિધા મુજબ ગમે ત્યારે કામ કરી શકીએ છીએ. એવામાં ભારતીય રેલવેની ઓનલાઇન ટિકિટ બુકિંગ સેવા (IRCTC) વિશે પણ લોકો આવું જ વિચારે છે પરંતુ આ સંપૂર્ણ સત્ય નથી. દરરોજ રાત્રે એક એવો સમય આવે છે કે, જ્યારે કરોડો લોકોની લાઈફલાઈન ગણાતી આ વેબસાઈટ સંપૂર્ણપણે 'ઠપ' થઈ જાય છે.

વાત એમ છે કે, રેલવેની ઓનલાઇન ટિકિટ બુકિંગ સેવામાં રાત્રે 11:45 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી તમે ન તો ટિકિટ બુક કરી શકો છો અને ન તો તમારું PNR સ્ટેટસ ચેક કરી શકો છો. હવે સવાલ એ છે કે, આખરે આ 45 મિનિટમાં રેલવેના સર્વર પર એવું તો શું થાય છે?

ભારતીય રેલવે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે. IRCTCની વેબસાઈટ પર દરરોજ સરેરાશ 8 લાખથી વધુ ટિકિટો બુક થાય છે અને કરોડો લોકો તેમની મુસાફરીની માહિતી માટે તેના પર નિર્ભર રહે છે. આટલા ભારે ટ્રાફિકને હેન્ડલ કરવા માટે વેબસાઈટના સર્વર પર જબરદસ્ત દબાણ રહે છે. આ દબાણને ઘટાડવા અને સિસ્ટમને સરળ રીતે ચલાવવા માટે રેલવે દરરોજ રાત્રે 45 મિનિટનો 'મેન્ટેનન્સ બ્રેક' લે છે. આ દરમિયાન ટેકનિકલ ટીમ 'બેકએન્ડ' પર કામ કરે છે, જેથી બીજા દિવસના બુકિંગ માટે સર્વર સંપૂર્ણપણે તૈયાર રહે અને ઝડપથી કામ કરી શકે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે, જો અચાનક રેલવેનો ડેટા ડિલીટ થઈ જાય તો શું થશે? લાખો મુસાફરોની માહિતી અને તેમની ટિકિટોનો હિસાબ ખોવાઈ શકે છે. આટલા માટે, આ 45 મિનિટમાં માત્ર રિપેરિંગ જ નથી થતું પરંતુ આખા દિવસના ડેટાનું 'બેકઅપ' પણ લેવામાં આવે છે. મેન્ટેનન્સ દરમિયાન દરેક એક ટિકિટની 'સેકન્ડ કોપી' તૈયાર કરવામાં આવે છે. આ બેકઅપ પ્રોસેસ એ સુનિશ્ચિત કરે છે કે, જો ભવિષ્યમાં ક્યારેય મુખ્ય સર્વર ક્રેશ થઈ જાય, તો પણ મુસાફરોનો ડેટા સુરક્ષિત રહે. આ એક પ્રકારનું સુરક્ષા કવચ છે, જે રેલવેની ડિજિટલ વ્યવસ્થાને મજબૂતી આપે છે.

અગાઉ આ મેન્ટેનન્સ બ્રેક થોડો લાંબો હતો. જૂના નિયમો મુજબ, રેલવે દિવસના 24 કલાકમાંથી માત્ર 23 કલાક જ બુકિંગ માટે ઉપલબ્ધ રહેતું હતું. ત્યારે રાત્રે 11:30 થી 12:30 સુધી એટલે કે પૂરા એક કલાક માટે સેવાઓ બંધ રહેતી હતી. જો કે, મુસાફરોની વધતી સંખ્યા અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવેએ તેમાં સુધારો કર્યો. હવે તેને ઘટાડીને માત્ર 45 મિનિટ કરી દેવામાં આવેલ છે. 11:30 ના બદલે હવે વેબસાઈટ 11:45 સુધી ખુલ્લી રહે છે, જેનાથી મોડી રાત્રે ટિકિટ બુક કરાવનારાઓને 15 મિનિટનો વધારાનો સમય મળી ગયો છે.

આ 45 મિનિટના ગાળામાં માત્ર IRCTCની વેબસાઈટ જ નહીં પરંતુ રેલવેના બીજા ડિજિટલ પોર્ટલ પણ કામ કરવાનું બંધ કરી દે છે. તમે આ દરમિયાન ટિકિટ બુક કરી શકશો નહીં, અગાઉ બુક કરેલી ટિકિટ કેન્સલ કરી શકશો નહીં અને તમારું PNR સ્ટેટસ પણ ચેક કરી શકશો નહીં. આટલું જ નહીં, આનાથી ઇન્ક્વાયરી સર્વિસ પણ પ્રભાવિત થાય છે. આથી, જો તમે રાત્રિના સમયે મુસાફરીનું પ્લાનિંગ કરી રહ્યા હોવ, તો હંમેશા પ્રયાસ કરો કે રાત્રે 11:30 વાગ્યા પહેલા તમારું કામ પૂરું કરી લો, જેથી તમારે અડધી રાત્રે સર્વર એરરનો સામનો ન કરવો પડે.
ટ્રેનના છેલ્લા ડબ્બા પર ‘X’ અને ‘LV’ કેમ લખેલું હોય છે? જાણો આ નિશાની પાછળનું અસલી કારણ
