કરોડો રોકાણકારો માટે ‘મોટા સમાચાર’, SEBI ટૂંક સમયમાં ટ્રેડિંગનો આ નિયમ બદલશે
શેરબજારમાં રોકાણ કરીને કમાણી કરતા કરોડો રોકાણકારો માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બજારના નિયમનકાર સેબી (SEBI) ટૂંક સમયમાં ટ્રેડિંગના નિયમોમાં એક મોટો બદલાવ કરવાની તૈયારી કરી રહ્યું છે.

શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે ટૂંક સમયમાં જ મોટા સારા સમાચાર આવી શકે છે. ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (SEBI) એવા ફેરફારો પર કામ કરી રહ્યું છે કે, જેનાથી શોર્ટ સેલિંગ પહેલા કરતાં વધુ સરળ બની જશે. આ અંતર્ગત શેર ઉધાર લેવા અને આપવાની સુવિધા ધરાવતા શેરની સંખ્યા લગભગ બમણી કરવામાં આવી શકે છે. સાથે જ રોકાણકારો માટે જરૂરી કોલેટરલ (ગેરંટી રકમ) ની શરતોમાં પણ રાહત આપવાની તૈયારી છે.

હાલમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) માં આશરે 2,600 કંપનીઓ લિસ્ટેડ છે પરંતુ તેમાંથી માત્ર 176 શેરમાં જ સ્ટોક લેન્ડિંગ અને બોરોઇંગની સુવિધા ઉપલબ્ધ છે. હવે SEBI આ સંખ્યામાં મોટો વધારો કરવાનું આયોજન કરી રહ્યું છે, જેથી વધુમાં વધુ લિક્વિડ શેર આ દાયરામાં આવી શકે. આ સિવાય શેર ઉધાર લેવા માટે રોકાણકારોએ જે વધુ કોલેટરલ આપવું પડે છે, તેમાં પણ ઘટાડો થઈ શકે છે. ભારતમાં આ જરૂરિયાત કેટલાક કિસ્સાઓમાં 130% સુધીની હોય છે, જ્યારે અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં તે આશરે 100% છે.

શોર્ટ સેલિંગ એ એક એવી ટ્રેડિંગ સ્ટ્રેટેજી છે, જેમાં રોકાણકાર પહેલા શેર ઉધાર લઈને વેચે છે. જો બાદમાં તે શેરની કિંમત ઘટી જાય છે, તો તે તેને ઓછી કિંમતે ખરીદીને પરત કરી દે છે અને વચ્ચેનો તફાવત તેનો નફો બની જાય છે. ટૂંકમાં, આમાં શેરની ઘટતી કિંમતમાંથી પણ કમાણી કરી શકાય છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ ખૂબ ઝડપથી વધ્યું છે પરંતુ SEBI ના જણાવ્યા અનુસાર, આશરે 90% નાના રોકાણકારોને ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં નુકસાન થાય છે. તેથી નિયમનકાર (રેગ્યુલેટર) ઈચ્છે છે કે, રોકાણકારો વધુ સુરક્ષિત માનવામાં આવતા કેશ ઈક્વિટી માર્કેટ તરફ પાછા ફરે. SEBI નું માનવું છે કે, જો સ્ટોક લેન્ડિંગ અને બોરોઇંગ (ઉધાર આપવું અને લેવું) ની સુવિધા સરળ બનશે, તો કેશ માર્કેટમાં કારોબાર વધશે અને રોકાણકારોને ડેરિવેટિવ્ઝની સરખામણીમાં વધુ સારા અને ઓછા જોખમવાળા વિકલ્પો મળશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, SEBI આ દરખાસ્ત પર સતત ચર્ચા કરી રહ્યું છે અને આ વર્ષના અંત સુધીમાં નવા નિયમોનો અંતિમ મુસદ્દો (Final Draft) તૈયાર કરવામાં આવી શકે છે. જો કે, નિયમનકાર તરફથી હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ડિસ્ક્લેમર: આ આર્ટિકલ માત્ર માહિતી આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે. આને કોઈ પણ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ કે શેર ખરીદવા-વેચવાની સલાહ માનવી નહીં. બજારમાં પૈસા રોકતા પહેલાં હંમેશા તમારા પ્રમાણિત નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લો.
ICICI પ્રૂડેન્શિયલનું બેલેન્સ્ડ હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ, માત્ર 500 રૂપિયાથી કરી શકો છો રોકાણ
