બેંકમાં ક્યારે હોય છે લંચ ટાઈમ? 90 મિનિટ સુધી કામ અટકતા ગ્રાહકે પૂછ્યો આકરો સવાલ, જાણો બેંકે શું આપ્યો જવાબ
ઘણીવાર બેંકમાં કામ માટે જઈએ ત્યારે 'લંચ ટાઈમ છે' કહીને ગ્રાહકોને બેસાડી રાખવામાં આવે છે. તાજેતરમાં એક ગ્રાહકે સોશિયલ મીડિયા પર આ મુદ્દે ગુસ્સો વ્યક્ત કર્યો તો SBIએ જવાબ આપ્યો કે બેંકમાં કોઈ નિર્ધારિત લંચ ટાઈમ હોતો જ નથી. જાણો શું છે બેંકનો અસલી નિયમ.

આજના ડિજિટલ યુગમાં લોકો પોતાની ફરિયાદો સોશિયલ મીડિયા દ્વારા સીધી કંપનીઓ સુધી પહોંચાડે છે. તાજેતરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના એક ગ્રાહકે ટ્વિટર પર બેંકને ટેગ કરીને લંચ ટાઈમ બાબતે એક વેધક સવાલ પૂછ્યો. ગ્રાહકે લખ્યું કે, "છેલ્લા દોઢ કલાકથી લંચ ચાલી રહ્યો છે, શું અમારે કોઈ કામ નથી? બેંકનો લંચ ટાઈમ ક્યારે હોય છે તે જણાવશો?" આ સવાલ બાદ બેંકનો જે જવાબ આવ્યો તેણે હજારો ગ્રાહકોનું ધ્યાન ખેંચ્યું છે.

SBIનો સત્તાવાર ખુલાસો: કોઈ 'ફિક્સ' ટાઈમ નથી: ગ્રાહકની ફરિયાદ પર વળતો જવાબ આપતા SBIના ઓફિશિયલ એકાઉન્ટ પરથી સ્પષ્ટતા કરવામાં આવી કે, બેંકની શાખાઓમાં સ્ટાફ સભ્યો માટે લંચનો કોઈ નિશ્ચિત સમય નક્કી કરવામાં આવ્યો નથી. બેંકે વધુમાં જણાવ્યું કે, લંચ અવર્સ 'સ્ટેગર્ડ' (Staggered) હોય છે, એટલે કે સ્ટાફના સભ્યો વારાફરતી લંચ પર જાય છે જેથી ગ્રાહકોનું કામ અટકે નહીં. બેંકના નિયમ મુજબ, કામના કલાકો દરમિયાન ગ્રાહકોની સેવા ચાલુ રહેવી જોઈએ અને લંચના નામે કામ બંધ કરી શકાય નહીં.

જો લંચના નામે કામ અટકે તો શું કરવું?: SBIએ ગ્રાહકને ખાતરી આપી કે જો કોઈ ચોક્કસ શાખામાં લંચના બહાને કામ રોકી દેવામાં આવતું હોય, તો તે નિયમ વિરુદ્ધ છે. બેંકે ગ્રાહકને આ બાબતે સત્તાવાર ફરિયાદ નોંધાવવા માટે એક લિંક પણ આપી છે.

ગ્રાહકો https://crcf.sbi.co.in/ccf/ લિંક પર જઈને Personal Segment/Individual Customer, ત્યારબાદ General Banking >> Branch Related અને છેલ્લે Slow Cash/Teller Service કેટેગરી પસંદ કરીને પોતાની ફરિયાદ ઓનલાઈન નોંધાવી શકે છે, જેના પર બેંકની ટીમ ચોક્કસપણે તપાસ કરશે.

ગ્રાહકો માટે જાણવું જરૂરી: બેંકિંગ નિયમો અનુસાર, બેંકના દરવાજા ખુલે ત્યારથી લઈને બંધ થાય ત્યાં સુધી કાઉન્ટર પર સેવા મળવી જોઈએ. લંચ બ્રેક દરમિયાન પણ ઓછામાં ઓછું એક કાઉન્ટર ચાલુ રાખવું બેંક માટે અનિવાર્ય છે.

જો તમને પણ કોઈ બેંકમાં લંચના નામે લાંબો સમય રાહ જોવડાવવામાં આવે, તો તમે બેંકના ઉચ્ચ અધિકારીઓને અથવા ઓનલાઈન પોર્ટલ પર તેની ફરિયાદ કરી શકો છો.
ક્યાંક તમે પણ તો નથી ખાઈ રહ્યા કેમિકલવાળો નકલી ગોળ? દેખાવમાં સુંદર અને ચમકદાર ગોળ હોઈ શકે છે જીવલેણ
