હવે કંપનીઓ જ ડિઝાઇન કરશે માલગાડીના ડબ્બા, રેલવે 15 દિવસમાં લાવશે નવી નીતિ
ભારતીય રેલવેએ માલ પરિવહન ક્ષેત્રમાં મોટો નિર્ણય લીધો છે. હવે વિવિધ ઉદ્યોગો પોતાની જરૂરિયાત મુજબ માલગાડીના ડબ્બાની ડિઝાઇન સૂચવી શકશે. રેલ મંત્રાલય આગામી 15 દિવસમાં નવી વેગન ડિઝાઇન પોલિસી લાવવાની તૈયારીમાં છે.

ભારતીય રેલવે માલ પરિવહન વ્યવસ્થામાં એક મોટો ફેરફાર કરવા જઈ રહી છે. અત્યાર સુધી મોટાભાગનો માલ નિશ્ચિત પ્રકારના વેગન એટલે કે માલગાડીના ડબ્બામાં જ પરિવહન થતો હતો, પરંતુ હવે કંપનીઓ પોતાની જરૂરિયાત મુજબ વેગનની ડિઝાઇન તૈયાર કરાવી શકશે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવે બોર્ડને આગામી 15 દિવસમાં નવી વેગન ડિઝાઇન પોલિસી તૈયાર કરવાની અને અમલની પ્રક્રિયા શરૂ કરવાની સૂચના આપી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ વધુમાં વધુ ઉદ્યોગોને રોડ પરિવહનના બદલે રેલવે દ્વારા માલ મોકલવા પ્રોત્સાહિત કરવાનો છે.

વિવિધ ઉદ્યોગોની જરૂરિયાતો અલગ હોય છે. સ્ટીલ, સિમેન્ટ, મીઠું, ખાતર, કેમિકલ્સ, કૃષિ ઉત્પાદનો અને ઓટોમોબાઇલ ક્ષેત્રના માલ માટે અલગ પ્રકારની લોડિંગ અને અનલોડિંગ વ્યવસ્થા જરૂરી હોય છે. અત્યાર સુધી સામાન્ય વેગનનો ઉપયોગ થતો હોવાથી ઘણી વખત ખર્ચ અને સમય બંને વધતા હતા.

રેલવે દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં સિમેન્ટ અને મીઠા માટે ખાસ પ્રકારના વેગન વિકસાવવામાં આવ્યા હતા, જેના સારા પરિણામો મળ્યા હતા. માલ ઝડપથી લોડ અને અનલોડ થયો હતો તેમજ પરિવહન વધુ સુરક્ષિત બન્યું હતું. આ સફળતા બાદ હવે તમામ ઉદ્યોગોને પોતાની જરૂરિયાત મુજબ વેગન ડિઝાઇન કરવાની તક આપવામાં આવશે.

નવી પોલિસી હેઠળ કંપનીઓ રેલવેને પોતાની જરૂરિયાત મુજબના વેગનનો પ્રસ્તાવ આપી શકશે. ત્યારબાદ રિસર્ચ ડિઝાઇન્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન (RDSO) અને ચીફ કમિશનર ઓફ રેલવે સેફ્ટી (CCRS) દ્વારા તેની સુરક્ષા અને ગુણવત્તાની ચકાસણી કરવામાં આવશે. રેલવે મંત્રાલયનું માનવું છે કે આ પગલાથી માલ પરિવહન વધુ સરળ, ઝડપી અને સસ્તું બનશે. કંપનીઓનો લોજિસ્ટિક્સ ખર્ચ ઘટશે, રેલવેની આવક વધશે અને માર્ગ પરિવહન પરનો ભાર પણ ઓછો થશે.

પર્યાવરણની દ્રષ્ટિએ પણ આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રેલવે દ્વારા માલ પરિવહન માર્ગ પરિવહનની સરખામણીએ વધુ પર્યાવરણમૈત્રી છે. તેથી ડીઝલનો વપરાશ ઘટશે, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે અને દેશની ગ્રીન ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાને વધુ વેગ મળશે. રેલવેનું માનવું છે કે જો આ યોજના સફળ થશે તો આગામી વર્ષોમાં દેશના માલ પરિવહનનો મોટો હિસ્સો રોડ પરથી રેલવે તરફ વળી શકે છે, જે ઉદ્યોગો, રેલવે અને સામાન્ય લોકો ત્રણેય માટે ફાયદાકારક સાબિત થશે.
TTE સાથે સેટિંગ’ ભારે પડી શકે! ટ્રેનમાં રસીદ વગર સીટ લીધી તો જેલ સુધી પહોંચી શકે છે મામલો
