અલનીનોની અસરથી ગુજરાતમાં વરસાદની મોટી ઘટ, રાજ્યમાં માત્ર 18.1 મીમી વરસાદ નોંધાયો
રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં વરસાદની અછત જોવા મળી રહી છે. જોકે, મહીસાગર અને પંચમહાલ જિલ્લાઓમાં સ્થિતિ પ્રમાણમાં સારી હોવાનું સામે આવ્યું છે અને આ બંને જિલ્લાઓમાં વરસાદની ઘટ નોંધાઈ નથી અથવા ઓછી જોવા મળી છે.
ગુજરાત રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝનમાં વરસાદની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. અલનીનોની અસરને કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની નોંધપાત્ર ઘટ જોવા મળી રહી છે. જૂન મહિનાના અંત સુધીમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય કરતાં ઘણો ઓછો વરસાદ નોંધાતા ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોમાં ચિંતા વધી છે.
હાલની સ્થિતિ અનુસાર રાજ્યમાં સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન આશરે 83.7 મીમી વરસાદ થવો જોઈએ, પરંતુ તેની સામે માત્ર 18.1 મીમી વરસાદ નોંધાયો છે. એટલે કે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 78 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં 91 ટકાની ઘટ રહેવા પામી છે. જ્યારે ઉત્તર, મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ક્ષેત્રમાં 67 ટકા વરસાદની ઘટ આજની તારીખ એટલે કે 26મી જૂન સુધીમાં રહેવા પામી છે.
રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં વરસાદની અછત જોવા મળી રહી છે. જોકે, મહીસાગર અને પંચમહાલ જિલ્લાઓમાં સ્થિતિ પ્રમાણમાં સારી હોવાનું સામે આવ્યું છે અને આ બંને જિલ્લાઓમાં વરસાદની ઘટ નોંધાઈ નથી અથવા ઓછી જોવા મળી છે.
હવામાન નિષ્ણાતોના મતે અલનીનોની અસરને કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી મળતો ભેજ તથા ચોમાસાની સિસ્ટમ પર અસર પડી શકે છે, જેના કારણે વરસાદની ગતિવિધિઓમાં વિલંબ અથવા ઘટાડો જોવા મળે છે. આગામી દિવસોમાં ચોમાસાની સ્થિતિમાં સુધારો થાય છે કે નહીં તેના પર ખેડૂતો અને સામાન્ય જનતાની નજર રહેશે.
