ભારતમાં કુલ કેટલી ઓઇલ રિફાઇનરી છે ? પહેલી કઈ છે અને ક્યારે બની? તેલ શોધવા પાછળની આ વાત તમને હેરાન કરી દેશે
ભારત આજે વિશ્વમાં તેલ રિફાઇનિંગ ક્ષેત્રે એક મોટી શક્તિ બની ગયું છે પરંતુ શું તમે જાણો છો કે, તેની શરૂઆત ક્યાંથી થઈ હતી? તમને જાણીને નવાઈ લાગશે કે, ભારતની જ નહીં પણ સમગ્ર એશિયાની પહેલી ઓઇલ રિફાઇનરી ગાઢ જંગલોમાં એક હાથીના પગના નિશાનને કારણે મળી આવી હતી.

વર્તમાનમાં ભારતમાં કુલ 23 ઓઈલ રિફાઈનરી કાર્યરત છે. આમાંથી 18 જાહેર ક્ષેત્ર (PSU), 3 ખાનગી ક્ષેત્ર (Private) અને 2 સંયુક્ત સાહસ (Joint Venture) તરીકે કાર્ય કરી રહી છે. આસામના તિનસુકિયા જિલ્લામાં આવેલી ડિગબોઈ રિફાઈનરી માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર એશિયાની પ્રથમ ઓઈલ રિફાઈનરી છે. આની સ્થાપના વર્ષ 1901માં કરવામાં આવી હતી અને તે આજે પણ વિશ્વની સૌથી જૂની ચાલુ રિફાઈનરીઓ પૈકીની એક છે.

વર્ષ 1867માં આસામ રેલવે એન્ડ ટ્રેડિંગ કંપનીના કર્મચારીઓ ડિબ્રુગઢથી માર્ગેરિટા સુધી રેલવે લાઈન તૈયાર કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને ગાઢ જંગલોની વચ્ચે તેલના સ્ત્રાવના સંકેતો મળ્યા. ત્યારબાદ, કામ કરી રહેલા અધિકારીઓએ આ વાતની જાણ બ્રિટિશ સરકારને કરી. એવું કહેવાય છે કે, કામ કરતા હાથીના પગ પર એક કાળો અને ચીકણો પદાર્થ (ક્રૂડ ઓઇલ) ચોંટેલો જોવા મળ્યો, ત્યારે તેલની શોધ થઈ હતી. ત્યારબાદ, હાથીના પગના નિશાનને અનુસરીને, બ્રિટિશ ઇજનેરોએ તેલના ભંડાર શોધી કાઢ્યા. એવામાં, જ્યારે ખોદકામ શરૂ થતું, ત્યારે બ્રિટીશ એન્જિનિયર વિલી લીઓવા લેક તેના મજૂરોનું મનોબળ વધારવા માટે બૂમ પાડતા હતા કે, "ખોદો, છોકરાઓ, ખોદો!" (Dig, boy, dig!) આ જ સૂત્રના આધારે, આ સ્થળનું નામ ડિગબોઈ રાખવામાં આવ્યું.

ડિગબોઈમાં વ્યવસ્થિત રીતે તેલનું ખોદકામ વર્ષ 1889માં શરૂ થયું હતું. 'વેલ નંબર-1' (Well No. 1) ભારતનો પ્રથમ વ્યાવસાયિક રીતે સફળ તેલનો કૂવો બન્યો, જેણે દેશના ઊર્જા ક્ષેત્રની તસવીર બદલી નાખી. કાચા તેલ (Crude Oil) ને ડાયરેક્ટ ઉપયોગમાં લઈ શકાતું નહોતું, તેને પેટ્રોલ, ડીઝલ અને કેરોસીનમાં ફેરવવા માટે રિફાઈનરીની જરૂર હતી. આ હેતુથી વર્ષ 1901માં આસામ ઓઈલ કંપનીએ ત્યાં રિફાઈનિંગ પ્લાન્ટ નાખ્યો.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ડિગબોઈ રિફાઈનરીએ મિત્ર દેશોની સેનાઓ માટે ઈંધણ પુરવઠામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આઝાદી પછી, ભારત સરકારે તેલ ક્ષેત્રને પોતાના નિયંત્રણમાં લેવાનું શરૂ કર્યું. વર્ષ 1981માં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને (IOCL) ડિગબોઈ રિફાઈનરીનું સંચાલન સંભાળી લીધું.

આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જામનગર (ગુજરાત) રિફાઈનરી માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વનું સૌથી મોટું રિફાઈનરી કોમ્પ્લેક્સ છે. આની ક્ષમતા ડિગબોઈ જેવી જૂની રિફાઈનરીઓ કરતા સેંકડો ગણી વધારે છે. ભારત પોતાની જરૂરિયાતનું 80% થી વધુ કાચું તેલ આયાત કરે છે પરંતુ આપણી રિફાઈનિંગ ક્ષમતા એટલી જબરદસ્ત છે કે, આપણે પેટ્રોલિયમ ઉત્પાદનોના મોટા નિકાસકાર બની ગયા છીએ, જે દેશના જીડીપી (GDP) માં મોટું યોગદાન આપે છે.
આ પણ વાંચો: આસામથી ગુજરાત સુધી તેલના કુવા છતાં તિજોરી કેમ ખાલી? શા માટે ભારત 85% તેલ વિદેશથી મંગાવે છે? જાણો આ પાછળનું રહસ્ય
