કાનુની સવાલ: નોટિસ પિરિયડ વગર જોબ છોડશો તો શું થશે ? નોકરી છોડતાં પહેલાં જાણી લો કાનૂની અને કારકિર્દી પર પડતી અસર
આજના સમયમાં નોકરી બદલવી સામાન્ય બાબત બની ગઈ છે. સારી સેલરી, વર્ક-લાઈફ બેલેન્સ કામકાજના માહોલથી કંટાળીને લોકો ઘણીવાર તરત જ નોકરી છોડવાનો નિર્ણય લઈ લે છે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે જો તમે નોટિસ પિરિયડ પૂરો કર્યા વગર જોબ છોડો તો શું થઈ શકે? શું આ નિર્ણય ભવિષ્યમાં તમારી કારકિર્દીને નુકસાન પહોંચાડી શકે છે?

મોટાભાગની ખાનગી કંપનીઓ નોકરીમાં જોડાતા સમયે ઓફર લેટર અથવા એપોઇન્ટમેન્ટ લેટરમાં નોટિસ પિરિયડનો ઉલ્લેખ કરે છે. સામાન્ય રીતે 30, 60 અથવા 90 દિવસનો નોટિસ પિરિયડ ફરજિયાત રાખવામાં આવે છે. આ સમયગાળામાં કર્મચારીને કંપનીને કામ સોંપવાનો અને ટ્રાંઝિશન પૂર્ણ કરવાનો સમય મળે છે.

જો કોઈ કર્મચારી નોટિસ પિરિયડ વગર અચાનક નોકરી છોડે છે, તો કંપની તેને કરારનો ભંગ (Breach of Contract) માની શકે છે. આવી સ્થિતિમાં કંપની નોટિસ પિરિયડના બદલે સેલરી કાપી શકે છે અથવા ફુલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટ રોકી શકે છે. કેટલાક કેસમાં કંપની લીગલ નોટિસ પણ મોકલી શકે છે, જોકે ભારતમાં આવા મામલાઓ કોર્ટ સુધી ઓછા જાય છે.

નોટિસ પિરિયડ પૂરો ન કરવાથી સૌથી મોટું નુકસાન અનુભવ પ્રમાણપત્ર (Experience Letter) અને રિલીવિંગ લેટર ન મળવાનું થાય છે. આ બંને દસ્તાવેજો નવી નોકરી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણી કંપનીઓ બેકગ્રાઉન્ડ વેરિફિકેશન દરમિયાન અગાઉની કંપની પાસેથી માહિતી મેળવે છે. જો ત્યાં નેગેટિવ ફીડબેક જાય તો નવી નોકરીમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.

કેટલાક લોકો માને છે કે નોટિસ પિરિયડ ખરીદી શકાય છે. હકીકતમાં, ઘણી કંપનીઓ નોટિસ પિરિયડ બાયઆઉટની છૂટ આપે છે, જેમાં કર્મચારી નોટિસ પિરિયડના દિવસોની સેલરી ચૂકવીને તરત રિલીવ થઈ શકે છે. પરંતુ આ સંપૂર્ણપણે કંપનીની નીતિ પર આધારિત છે.

જો કામનું વાતાવરણ અત્યંત તણાવભર્યું હોય, પગાર ન મળતો હોય અથવા હેરાસમેન્ટ જેવી ગંભીર સમસ્યા હોય, તો કર્મચારી પાસે કાનૂની વિકલ્પો ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં HR અથવા મેનેજમેન્ટને લેખિતમાં જાણ કરવી અને પુરાવા સાથે પગલાં લેવાં વધુ યોગ્ય માનવામાં આવે છે.

કંપની શું કરી શકતી નથી?: કંપની કર્મચારીની સેલરી જપ્ત કરી શકતી નથી. જબરદસ્તી કામ પર બોલાવી શકતી નથી. પોલીસ એક્શન લઈ શકતી નથી.

નિષ્ણાતો સલાહ આપે છે કે નોકરી છોડતાં પહેલાં હંમેશા ઓફર લેટર વાંચવું, નોટિસ પિરિયડ વિશે સ્પષ્ટતા રાખવી અને શક્ય હોય ત્યાં સુધી શિસ્તબદ્ધ રીતે રિઝાઇન કરવું. ઉતાવળમાં લેવાયેલો નિર્ણય થોડી ક્ષણની રાહત આપી શકે છે, પરંતુ લાંબા ગાળે કારકિર્દી પર તેની નકારાત્મક અસર પડી શકે છે.
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
