Petrol Pump Fuel Storage : પેટ્રોલ પંપની નીચે જમીનમાં કેટલું પેટ્રોલ સંગ્રહિત હોય છે? આ સ્ટોક કેટલા દિવસનો હોય, જાણી લો
પેટ્રોલ પંપ પર સ્ટોક નિયમિત હોય છે અને પુરવઠા વ્યવસ્થા મજબૂત છે. જાણો પેટ્રોલ પંપ પર આ જથ્થો કેવી રીતે નિયંત્રિત થાય છે.

ભારતમાં છેલ્લા થોડા દિવસોમાં ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે વધતા તણાવને કારણે પેટ્રોલ અને ડીઝલની અછત અંગેની અફવાઓ ઝડપથી ફેલાઈ છે. સોશિયલ મીડિયા પર આવેલી આ વાતોએ લોકોમાં ગભરાટ પેદા કર્યો, જેના કારણે અનેક શહેરોમાં પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી. ઘણા લોકો જરૂરીયાત કરતાં વધુ ઇંધણ ભરાવવા દોડી ગયા. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈ અછત નથી.

હકીકતમાં, પેટ્રોલ પંપ પર ઇંધણનો સંગ્રહ એક વ્યવસ્થિત અને નિયમિત પ્રણાલી હેઠળ થાય છે. પેટ્રોલિયમ અને વિસ્ફોટકો સલામતી સંગઠન (PESO)ના ધોરણો મુજબ, ભૂગર્ભ ટાંકીઓની ક્ષમતા સામાન્ય રીતે 15,000 થી 45,000 લિટર વચ્ચે હોય છે. પંપની જગ્યા અને રોજિંદા વેચાણ મુજબ આ ક્ષમતા નક્કી થાય છે. મોટા શહેરો અને વ્યસ્ત હાઈવે પર આવેલા પંપમાં મોટી ટાંકીઓ હોય છે, જ્યારે નાના શહેરો અને ગામડાઓમાં ક્ષમતા ઓછી હોય છે.

સરકાર દ્વારા ઇંધણ પુરવઠો અટકી ન જાય તે માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. PESOની માર્ગદર્શિકા મુજબ, દરેક પેટ્રોલ પંપને ઓછામાં ઓછા ત્રણ દિવસના સરેરાશ વેચાણ જેટલો સ્ટોક રાખવો ફરજિયાત છે. એટલે કે, જો કોઈ કારણસર પુરવઠામાં થોડો વિક્ષેપ આવે તો પણ સામાન્ય ગ્રાહકોને તાત્કાલિક મુશ્કેલી ન પડે.

ઇંધણને રિફાઈનરીથી પેટ્રોલ પંપ સુધી પહોંચાડવા માટે ખાસ ટેન્કરોનો ઉપયોગ થાય છે, જે સામાન્ય રીતે 12,000 થી 20,000 લિટર સુધી ઇંધણ લઈ જઈ શકે છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે સુરક્ષા નિયમો હેઠળ થાય છે જેથી પરિવહન દરમિયાન કોઈ જોખમ ન રહે.

ભારતમાં 25,000 લિટરથી વધુ ઇંધણ સંગ્રહિત કરવા માટે સીધું સરકારી લાઇસન્સ લેવું પડે છે, જ્યારે ઓછી માત્રા માટે સંબંધિત તેલ કંપનીની મંજૂરી જરૂરી હોય છે. સમગ્ર સિસ્ટમ “પેટ્રોલિયમ નિયમો 2002” હેઠળ કાર્યરત છે. Indian Oil Corporation અને Bharat Petroleum જેવી સરકારી કંપનીઓ આ પુરવઠા વ્યવસ્થાને નિયમિત રીતે સંચાલિત કરે છે.

અંતમાં વાત એટલી છે કે હાલ પેટ્રોલ અને ડીઝલની અછત અંગે જે ચર્ચા ચાલી રહી છે, તે હકીકતમાં અફવા જ છે. લોકો ગભરાઈને વધુ ઇંધણ ખરીદે છે, જેના કારણે કેટલીક જગ્યાએ તાત્કાલિક સ્ટોક ખાલી થઈ જાય છે. પરંતુ દેશવ્યાપી સ્તરે કોઈ અછત નથી અને પુરવઠો સામાન્ય રીતે ચાલુ છે.(All Image - X)
