તત્કાલ બુકિંગમાં મોટો ફેરફાર! શતાબ્દી એક્સપ્રેસ માટે હવે OTP વિના નહીં મળે ટિકિટ
ભારતીય રેલવે તત્કાલ બુકિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક અને મુસાફરો માટે સરળ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. હવે પશ્ચિમ રેલવે તત્કાલ બુકિંગ સિસ્ટમમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે.

1 ડિસેમ્બર, 2025થી તત્કાલ ટિકિટ હવે OTP એટલે કે વન-ટાઈમ પાસવર્ડ ચકાસણી કર્યા પછી જ જાહેર કરવામાં આવશે. આ નવી વ્યવસ્થા શરૂઆતમાં મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ (ટ્રેન નંબર 12009/12010) માટે અમલમાં આવશે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેક દ્વારા જાહેર કરાયેલા પ્રેસનોટ મુજબ આ નવી OTP આધારિત સિસ્ટમ રાત્રે 00:00 વાગ્યાથી લાગુ થશે. હવે જ્યારે પણ કોઈ મુસાફર તત્કાલ ટિકિટ બુક કરવા જશે, ત્યારે બુકિંગ સમયે દાખલ કરાયેલા મોબાઇલ નંબર પર OTP મોકલવામાં આવશે. મુસાફર દ્વારા આ OTP દાખલ કર્યા પછી જ બુકિંગ પૂર્ણ થશે અને ટિકિટ જાહેર કરવામાં આવશે.

આ નવી સિસ્ટમ કોમ્પ્યુટરાઈઝ્ડ PRS કાઉન્ટર, અધિકૃત રેલવે એજન્ટો, IRCTC વેબસાઈટ તેમજ IRCTC મોબાઇલ એપ – તમામ માધ્યમો દ્વારા કરવામાં આવતી તત્કાલ બુકિંગ પર લાગુ થશે. આનો હેતુ સ્પષ્ટ છે – તત્કાલ બુકિંગને વધુ પારદર્શક બનાવવું, દલાલોને દૂર રાખવા અને વાસ્તવિક મુસાફરોને તત્કાલ ટિકિટ મેળવવામાં સહેલાઈ કરવી.

ક્યારેક તત્કાલ બુકિંગ ખૂલતાની સાથે જ સેકન્ડોમાં સીટ્સ ભરાઈ જતી હતી. ઘણી વખત દલાલો અથવા ઓટોમેટેડ સોફ્ટવેરનો ઉપયોગ કરતા એજન્ટો દ્વારા મોટી સંખ્યામાં ટિકિટો એકસાથે બુક થાય એવી ફરિયાદો સામે આવતી હતી. OTP ચકાસણી લાગુ થતાં હવે દરેક મુસાફર પોતાનું યથાર્થ મોબાઇલ નંબર આપીને જ ટિકિટ મેળવી શકશે, જેનાથી દલાલોની મનમાની પર નિયંત્રણ આવશે.

રેલવે દ્વારા મુસાફરોને ખાસ વિનંતી કરવામાં આવી છે કે તેઓ તત્કાલ બુકિંગ કરતી વખતે પોતાનો માન્ય અને કાર્યરત મોબાઇલ નંબર જ દાખલ કરે. OTP ન મળવાના કિસ્સામાં બુકિંગ અપૂર્ણ રહી શકે છે. તેથી મુસાફરોને આગોતરી તૈયારી રાખવા વિનંતી કરવામાં આવી છે.

આ નવી વ્યવસ્થા હજી માટે માત્ર શતાબ્દી એક્સપ્રેસ પર લાગુ થશે, પરંતુ ભવિષ્યમાં અન્ય ટ્રેનો અને સમગ્ર તત્કાલ સિસ્ટમમાં પણ તેનો વિસ્તાર થઈ શકે છે. જો આ પ્રયત્ન સફળ રહેશે તો તત્કાલ બુકિંગ પ્રક્રિયામાં મોટા સુધારા જોવા મળી શકે છે.

પશ્ચિમ રેલવે દ્વારા આપવામાં આવેલી આ સૂચના મુસાફરો માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તત્કાલ બુકિંગ કરતા પહેલા આ નવી પ્રક્રિયાની નોંધ લેવી જરૂરી છે. જેથી બુકિંગ દરમિયાન કોઇ અનિચ્છનીય અડચણ ન આવે. હવે તત્કાલ બુકિંગ માત્ર ઝડપથી નહીં, પણ વધુ સુરક્ષિત અને પારદર્શક રીતે થશે – જે મુસાફરો માટે ચોક્કસ રીતે સારા સમાચાર છે.
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
