GST 2.0 આવશે! શું સોનું, ચાંદી અને હીરા પણ સસ્તા થશે? જાણો હવે કેટલો ટેક્સ લાગશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી જાહેરાત કરી છે કે, આ વખતે દિવાળી પહેલા જનતાને મોટી ભેટ મળશે. તેમણે આગામી પેઢીના GST સુધારા એટલે કે GST 2.0 લાવવાની વાત કરી છે.

GST 2.0 જો આવશે તો સામાન્ય માણસ, ખેડૂતો, મધ્યમ વર્ગ અને નાના વેપારીઓના ખિસ્સા પરનો બોજ ઘટશે. આવી સ્થિતિમાં એક પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે સોના, ચાંદી અને હીરા પર આની શું અસર પડશે? શું તે સસ્તા થશે કે મોંઘા?

દેશમાં GST લાગુ થયાને આઠ વર્ષ વીતી ગયા છે. સમાચાર એજન્સી PTI અનુસાર, GSTની 12 ટકાની કેટેગરીમાં આવતી 99 ટકા વસ્તુઓ સસ્તી થશે. ભારતમાં સરકારે સોના, ચાંદી અને હીરા પર 5%, 12%, 18% અથવા 28% ના સામાન્ય સ્લેબ લાગુ કર્યા નથી. તેમના માટે અલગથી ખાસ GST સ્લેબ બનાવવામાં આવ્યા છે.

સોનું અને ચાંદી પછી ભલે તે બાર, સિક્કા, બિસ્કિટ અથવા ઝવેરાતના રૂપમાં હોય તે 3% GST સ્લેબને આધીન છે. હીરા પર બે પ્રકારના દર લાગુ પડે છે. જો હીરા કાચા સ્વરૂપમાં હોય અથવા કાપેલા અને પોલિશ્ડ રૂપમાં હોય તો તેના પર 0.25% GST સ્લેબ લાગુ પડે છે. જો હીરાને ઝવેરાત તરીકે વેચવામાં આવે છે, તો તે ઝવેરાતના મૂલ્ય પર 3% GST સ્લેબ લાગુ પડે છે.

સોના અને ચાંદીથી બનેલા ઝવેરાત મેળવીએ છીએ, ત્યારે મેકિંગ ચાર્જ તેમાં સામેલ હોય છે. સરકારે આ મેકિંગ ચાર્જ પર 5% GST સ્લેબ રાખ્યો છે. આ રીતે, સોનું અને ચાંદી 3% સ્લેબમાં આવે છે. ડાયમંડ 0.25% અને 3% સ્લેબમાં આવે છે અને જ્વેલરી બનાવવાની સર્વિસ એટલે કે મેકિંગ ચાર્જ 5% સ્લેબમાં આવે છે.

રિપોર્ટ અનુસાર, હાલમાં કેન્દ્ર સરકારે રાજ્યોને નેક્સ્ટ-જનરેશન GSTનો ડ્રાફ્ટ મોકલ્યો છે. નવા પ્રસ્તાવ મુજબ, સોના અને ચાંદી પર પહેલાની જેમ 3 ટકા અને હીરા પર 0.25 ટકા ટેક્સ લાગુ રહેશે. ટૂંકમાં પહેલાની જેમ GST લાગુ રહેશે. આનો અર્થ એ થયો કે, GST 2.0 ના સુધારાને કારણે ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં.

હાલમાં, સરકાર પ્રસ્તાવિત GST સુધારા અંગે 'GST કાઉન્સિલ' દ્વારા રચાયેલા ત્રણ સભ્યોના મંત્રીઓના જૂથની બેઠક 20 અને 21 ઓગસ્ટના રોજ યોજી શકે છે. આ બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા સૂચવવામાં આવેલા નવા GST માળખાની સમીક્ષા કરવામાં આવશે.

બેઠક પછી, GoM ની ભલામણો GST કાઉન્સિલને મોકલવામાં આવશે. આમાં કેન્દ્રીય નાણામંત્રી, નાણા રાજ્યમંત્રી અને તમામ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના નાણામંત્રીઓનો સમાવેશ થાય છે. GSTમાં કોઈપણ ફેરફાર માટે રાજ્ય સરકારની સંમતિ જરૂરી છે, કારણ કે તે રાજ્યોના રેવન્યુ કલેક્શનને અસર કરશે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
