રોહિત શર્મા T20 વર્લ્ડ કપની ઈનામી રકમ વહેંચતી વખતે 5 કરોડનું બોનસ છોડવા તૈયાર હતો, જાણો કારણ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપની ઐતિહાસિક જીત બાદ ટીમ ઈન્ડિયાને ઈનામી રકમ તરીકે 125 કરોડ રૂપિયા આપ્યા હતા. તેમાંથી રોહિત શર્માને 5 કરોડ રૂપિયા મળ્યા છે. પરંતુ ઈનામની રકમ વહેંચતી વખતે રોહિત પોતાનું બોનસ છોડવા માંગતો હતો.

ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતવા બદલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવી હતી. BCCIએ આ ઈનામી રકમ ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, કોચ અને પસંદગીકારો સહિત 42 સભ્યોમાં વહેંચી છે. જેમાં સૌથી મોટો હિસ્સો T20 વર્લ્ડ કપની 15 સભ્યોની ટીમનો છે.

જ્યારે આ ઈનામની રકમ વહેંચવામાં આવી રહી હતી ત્યારે રોહિત શર્માએ કંઈક એવું કર્યું જે દરેકનું દિલ જીતી લેશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ઈનામની રકમનું વિતરણ કરતી વખતે, ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા સપોર્ટ સ્ટાફ માટે પોતાનો બોનસ આપવા માટે તૈયાર હતો જેથી કરીને તેમને મોટો હિસ્સો મળે.

રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ટીમના એક સપોર્ટ સ્ટાફ મેમ્બરે ખુલાસો કર્યો છે કે જ્યારે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમનું વિતરણ કરવામાં આવ્યું ત્યારે રોહિત શર્માએ અવાજ ઉઠાવ્યો અને કહ્યું કે સપોર્ટ સ્ટાફને આટલા ઓછા પૈસા ન મળવા જોઈએ. આ માટે તે પોતાનું બોનસ આપવા માટે પણ તૈયાર હતો.

જાણકારી અનુસાર ઈનામની રકમમાંથી 15 સભ્યોની ટીમના તમામ ખેલાડીઓને 5-5 કરોડ રૂપિયા મળશે. આ સિવાય T20 વર્લ્ડ કપમાં મુખ્ય કોચ રહેલા રાહુલ દ્રવિડ, બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, ફિલ્ડિંગ કોચ ટી. દિલીપ અને બોલિંગ કોચ પારસ મ્હામ્બરેને 2.5 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળશે. તમને જણાવી દઈએ કે, પહેલા રાહુલ દ્રવિડને 5 કરોડ રૂપિયા મળવાના હતા, પરંતુ તે તેના બાકીના કોચિંગ સ્ટાફ જેટલી જ ઈનામની રકમ ઈચ્છે છે, જેના કારણે તેણે 5 કરોડ રૂપિયામાંથી અડધી એટલે કે 2.5 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત ભારતીય ટીમના ત્રણ ફિઝિયો, 3 થ્રો ડાઉન નિષ્ણાતો, 2 મસાજ થેરાપિસ્ટ અને સ્ટ્રેન્થ એન્ડ કન્ડીશનીંગ કોચને પણ 2-2 કરોડ રૂપિયા મળશે. પાંચ સભ્યોની પસંદગી સમિતિને પણ 1 કરોડ રૂપિયા મળવાના છે. આ સિવાય ટૂર્નામેન્ટ માટે રિઝર્વ તરીકે 4 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી, આ ખેલાડીઓને પ્રાઈઝ મની તરીકે દરેકને 1 કરોડ રૂપિયા પણ મળશે. બીજી તરફ, વિડિયો વિશ્લેષકો અને BCCI સ્ટાફ સભ્યોને પણ ઈનામની રકમમાં ભાગ મળશે.
