Breaking News : થાઈલેન્ડથી દિલ્હી આવતી Air India ની ફ્લાઈટ હવામાં જ ધ્રુજી, અનેક મુસાફરોને નાની ઈજાઓ
એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2379 (ફુકેટ-દિલ્હી) માં ભારે ટર્બ્યુલન્સનો અનુભવ થયો. આ અચાનક ઉથલપાથલથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો અને કેટલાકને નાની ઈજાઓ થઈ.

થાઈલેન્ડના ફૂકેટથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI2379 દરમિયાન હવામાં અચાનક ભારે ટર્બ્યુલન્સ (ઉથલપાથલ) સર્જાતા મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ટર્બ્યુલન્સના કારણે વિમાનની ઊંચાઈમાં અચાનક ફેરફાર નોંધાયો હતો, જેના કારણે કેટલાક મુસાફરો અને ક્રૂ સભ્યોને નાની ઈજાઓ પહોંચી હતી.
ઘટના 4 ઓગસ્ટે બની હતી. જોકે, તમામ મુશ્કેલીઓ વચ્ચે પાયલોટે સ્થિતિને કાબૂમાં રાખી અને ફ્લાઈટનું દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું. વિમાનમાંથી તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
એર ઈન્ડિયાએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે ફ્લાઈટ દરમિયાન થોડા સમય માટે ટર્બ્યુલન્સનો અનુભવ થયો હતો, જેના કારણે વિમાનની ઊંચાઈમાં અચાનક ફેરફાર થયો હતો. સાવચેતીના ભાગરૂપે નાની ઈજાઓ પામેલા મુસાફરો અને ક્રૂ સભ્યોને એરપોર્ટના મેડિકલ સેન્ટરમાં તપાસ અને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
કંપનીએ વધુમાં જણાવ્યું કે મુસાફરો અને ક્રૂની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અસરગ્રસ્ત તમામ લોકોને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે અને સમગ્ર ઘટનાની તપાસ માટે સંબંધિત અધિકારીઓ સાથે સંપૂર્ણ સહકાર આપવામાં આવી રહ્યો છે.
Air India Flight AI2379 Hits Turbulence | Phuket to Delhi
Air India flight AI2379, operating from Phuket to Delhi on 4 August, experienced a brief turbulence-related event during cruise, resulting in a momentary change in altitude.
The aircraft landed safely in Delhi. All…
— Akshay Kumar (@akshay_vicky) August 4, 2026
આ દરમિયાન ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે દાવો કર્યો કે ટર્બ્યુલન્સ લગભગ 2થી 3 મિનિટ સુધી ચાલુ રહ્યું હતું. તેમના જણાવ્યા મુજબ, આ દરમિયાન વિમાનમાં ભારે ધ્રુજારી અનુભવાઈ હતી, જેના કારણે ઘણા મુસાફરો ભયભીત થઈ ગયા હતા. મુસાફરે વધુમાં એર ઈન્ડિયા સામે કાર્યવાહી કરવાની પણ વાત કરી હતી.
તાજેતરના સમયમાં વિશ્વભરમાં ટર્બ્યુલન્સની આવી ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. નિષ્ણાતોના મતે બદલાતી હવામાન પરિસ્થિતિઓ અને જેટ સ્ટ્રીમમાં થતા ફેરફારોને કારણે હવાઈ મુસાફરી દરમિયાન આવી પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. જોકે, એરલાઈન્સ આવા સંજોગોમાં મુસાફરોની સુરક્ષા માટે તમામ જરૂરી પ્રોટોકોલનું પાલન કરતી હોવાનો દાવો કરે છે.
