Operation Sindoor : ત્રણ મિત્રોએ લખી ‘ઓપરેશન સિંદૂર’ની મહાગાથા, 1984ની NDA બેચમાં સાથે હતા
ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરીને પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. ખાસ વાત તો એ હતી કે આર્મી, એરફોર્સ અને નેવીના પ્રમુખ એ ત્રણેય ગાઢ મિત્રો છે.

ઓપરેશન સિંદૂર એટલી હદે સફળ થયું કે તેનો પડઘો આખી દુનિયાને સંભળાયો. ઇતિહાસમાં પહેલીવાર ત્રણેય સેનાના વડાઓ સાથે જોવા મળ્યા છે. જણાવી દઈએ કે, ત્રણેય સેનાના વડાઓ NDA 1984 બેચમાં સાથે હતા. આ ત્રણેય દિગજજોએ સાથે મળીને 'ઓપરેશન સિંદૂર'ની રણનીતિ બનાવી હતી.

'ઓપરેશન સિંદૂર'ની સફળતા પાછળ ત્રણેય સેનાના પ્રમુખોએ એક ચોક્કસ આયોજન કરેલું છે અને તેમનું નેતૃત્વ પણ મજબૂત છે. તો ચાલો જાણીએ, 'ઓપરેશન સિંદૂર'ના ત્રણ યોદ્ધાઓ વિશે કે જેમણે આખું પાકિસ્તાન હચમચાવી દીધું.

ભારતીય સેનાના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના નેતૃત્વમાં ભારતે 'ઓપરેશન સિંદૂર' હાથ ધર્યું. મધ્યપ્રદેશના રેવામાં જન્મેલા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સૈનિક સ્કૂલ રેવા અને એનડીએ ખડકવાસલામાં અભ્યાસ કર્યો હતો. તેઓએ NDAમાં બ્લુ એવોર્ડ અને IMA દેહરાદૂનમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. 1984માં કમિશન મેળવ્યા બાદ તેમણે જમ્મુ અને કાશ્મીર, LAC અને ઉત્તર-પૂર્વમાં આતંકવાદ વિરોધી અભિયાનોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. 30 જૂન 2024ના રોજ તેમને આર્મી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના નેતૃત્વમાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર ભારે પ્રહાર કર્યો છે.

30 સપ્ટેમ્બર 2024ના રોજ એર માર્શલ અમર પ્રીત સિંહે ભારતીય વાયુસેનાના ચીફ ઓફ એર સ્ટાફ (CAS) તરીકેની પદવી સંભાળી. 27 ઓક્ટોબર 1964ના રોજ જન્મેલા અમર પ્રીત સિંહે નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA), ખડકવાસલામાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. રસપ્રદ વાત એ છે કે, તેઓ 1984ની એનડીએ બેચના છે, જેમાં આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદી અને નેવી ચીફ દિનેશ ત્રિપાઠી પણ તેમની સાથે હતા. એર માર્શલ અમર પ્રીત સિંહ એક અનુભવી ફાઇટર પાઇલટ છે, જેમણે મિગ-21, મિગ-29 અને સુખોઈ-30 MKI જેવા ફાઇટર એરક્રાફ્ટ ઉડાવેલા છે. તેઓ ફ્લાઈંગ ઇન્સ્ટ્રક્ટર અને ટેસ્ટ પાઈલટ પણ રહી ચૂક્યા છે, જેના કારણે તેમની ટેકનિકલ પકડ ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. આ ઉપરાંત, તેમણે વેલિંગ્ટનની ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ (DSSC) અને નવી દિલ્હીની નેશનલ ડિફેન્સ કોલેજ (NDC)માંથી ઉચ્ચ સ્તરીય લશ્કરી તાલીમ પણ મેળવેલી છે.

એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીએ 30 મે 2024ના રોજ નેવીના વડા (CNS) તરીકેની સત્તા પોતાના હાથમાં લીધી. 15 મે, 1964ના રોજ ઉત્તર પ્રદેશના એક ગામમાં જન્મેલા દિનેશ કુમાર ત્રિપાઠીએ સરકારી શાળામાં ધોરણ 5 સુધી અભ્યાસ કર્યો, ત્યારબાદ 1973માં સૈનિક સ્કૂલ રેવામાં જોડાયા, જ્યાં તેઓ આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીના બેચમેટ હતા. આ પછી, તેમણે નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA), પુણે અને ઇન્ડિયન નેવલ એકેડેમી, એઝિમાલામાંથી લશ્કરી તાલીમ મેળવી. ત્રિપાઠીએ DSSC વેલિંગ્ટન ખાતે સ્ટાફ કોર્સમાં મેડલ જીત્યો અને યુએસ નેવલ વોર કોલેજ, ન્યુપોર્ટ ખાતે તાલીમ પણ મેળવી. તેમણે પશ્ચિમી નૌકાદળ કમાન્ડના કમાન્ડર તરીકેની અને નૌકાદળના નાયબ વડા (2023-24) તરીકે નીતિ અને કામગીરીમાં મુખ્ય ભૂમિકા ભજવી ચૂક્યા છે. હાલમાં તેઓ ભારતીય નૌકાદળનું નેતૃત્વ કરી રહ્યા છે.
7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

































































