Amreli: રાજુલાના રામપરા ગામમાં ત્રણ સિંહોની લટાર, ગામના લોકોમાં પણ સિંહનો કોઇ ડર નહીં
શનિવારે રાત્રે એક કોલરબેલ્ટ વાળો અને અન્ય 2 સિંહ (Lion) આંટાફેરા કરતા જોવા મળ્યા હતા. જાણે આ ત્રણ સિંહ ગામમાં પેટ્રોલિંગ (Patrolling) કરતા હોય તેવા દ્રશ્યો મોબાઈલમાં કેદ થયા હતા.

ગુજરાતમાં (Gujarat) એક સમયે ગીર જંગલમાં રહેતા સિંહો હવે અમરેલી (Amreli) જિલ્લામાં આવેલા રાજુલા પંથકના કોસ્ટલ બેલ્ટ ઉદ્યોગ ઝોન વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે. અહીં પીપાવાવ નજીક આવેલા રામપરા ગામમાં સિંહો આંટાફેરા કરી રહ્યા છે. તો બીજી તરફ અહીં પાનની દુકાનના પટાંગણમાં સિંહો (Lion) રીતસર આંટાફેરા કરતા જોવા મળે છે. શનિવારે રાત્રે એક કોલરબેલ્ટ વાળો અને અન્ય 2 સિંહ રીતસર આંટાફેરા કરતા જોવા મળ્યા. જાણે આ ત્રણ સિંહ ગામમાં પેટ્રોલિંગ કરતા હોય તેવા દ્રશ્યો મોબાઈલમાં કેદ થયા હતા. જો કે અહીંના સ્થાનિકોના કહેવા પ્રમાણે આવી ઘટના અહીં રોજ બનતી હોય છે. સ્થાનિકો માને છે કે સિંહોને અહીનું વાતાવરણ હવે અનુકૂળ આવી રહ્યું છે. જેના કારણે આ રીતે ફરી રહ્યા છે.
#Amreli : Three lions spotted in residential area in Rajula #Gujarat #TV9News pic.twitter.com/IqkfB7ofvA
— Tv9 Gujarati (@tv9gujarati) July 31, 2022
શ્વાનની જેમ ગામની રખેવાળી કરે છે સિંહ
રામપરા ગામ અને તેની આસપાસના વિસ્તારમાં સિંહ શ્વાનની જેમ જાણે રખેવાળી કરતા હોય તેવુ જોવા મળી છે. મહત્વની વાત એ છે કે, અહીં સિંહ કોઇ વ્યક્તિ કે પશુઓ પર હુમલો કરતા નથી. સિંહોએ ક્યારેય અહીં શિકાર કરવાનો પ્રયાસ કર્યો નથી. વન વિભાગના જણાવ્યા પ્રમાણે, સિંહોની જો પજવણી ન કરવામાં આવે તો સિંહો આ રીતે જ તમારી બાજુમાંથી ક્રોસ થઈ જશે. આ વિસ્તારમાં પીપાવાવ સહિતના વિસ્તારમાં અનેક નાની મોટી કંપનીઓ ધમધમી રહી છે. ગુજરાતી અને પરપ્રાંતીય માણસોનો વસવાટ વધી રહ્યો છે, તેમની સામે સિંહોની સંખ્યા પણ વધી રહી છે.
રાજુલા રેન્જમાં વનવિભાગને પેટ્રોલિંગ વધારવાની જરૂર
સૌરાષ્ટ્રમાં રાજુલા રેન્જ વિસ્તારમાં સિંહોની સંખ્યા ખૂબ વધુ છે તેની સામે સિંહોની સુરક્ષા વધારવા માટે પણ વિચારણા કરવાની જરૂર છે. સિંહો ઉપર સતત મોનીટરિંગ અને પેટ્રોલિંગ વધારવાની જરૂરિયાત ઉભી થય છે. કેમ કે અહીં સતત વાહનો 24 કલાક દોડધામ કરતા હોય છે. જેથી અકસ્માતનો ખતરો પણ તોડાઇ રહ્યો છે.
TV9 ડિજિટલ દ્વારા અમરેલી જિલ્લા પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન અને સિંહ નિષ્ણાંત વિપુલ લહેરીનો સંપર્ક કરતા કહ્યું દરિયાઈ બેલ્ટ વિસ્તારમાં ઠંડક ભર્યું વાતાવરણ હોય છે. લોકો સિંહોને ખૂબ પ્રેમ કરે છે જેના કારણે સિંહોને આ વિસ્તારનું વાતાવરણ અનુકૂળ આવ્યું છે જેના કારણે સિંહો આખાય ઉધોગ વિસ્તારમાં પોતાનું નિવાસ સ્થાન બનાવી રહ્યા છે. હાલમાં સિંહોની સંખ્યા ખૂબ વધી રહી છે જેથી સરકાર એ આ વિસ્તારમાં સિંહોની સુરક્ષા વધારવાની જરૂરિયાત છે. વનવિભાગમાં સ્ટાફની ઘટ છે જેના કારણે કર્મચારીઓ પહોંચી શકતા નથી.
(વીથ ઇનપુટ-જયદેવ કાઠી, રાજુલા, અમરેલી)