દારૂબંધી ગુજરાતમાં છે તો બહાર કેમ ન વેચાય? પકડાયેલા દારૂનો નાશ કરવા પાછળના 5 મોટા કારણો
ગુજરાતમાં દર વર્ષે કરોડો રૂપિયાનો ગેરકાયદે દારૂ પકડાય છે, પરંતુ સરકાર તેને અન્ય રાજ્યોમાં વેચવાને બદલે બુલડોઝર ફેરવી નષ્ટ કેમ કરે છે? જાણો કાયદાકીય અને સ્વાસ્થ્ય સંબંધિત મહત્વના કારણો.

ભાવનગરમાં બનેલી નકલી વિદેશી દારૂની ઘટના બાદ ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે કે ગુજરાત પોલીસ દ્વારા પકડવામાં આવતા કરોડો રૂપિયાના ગેરકાયદે દારૂનું શું થાય છે? સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દર વર્ષે લાખો બોટલ વિદેશી અને દેશી દારૂ જપ્ત કરવામાં આવે છે, જેના પર છેવટે બુલડોઝર ફેરવીને તેનો નાશ કરવામાં આવે છે.

આ સ્થિતિ જોઈને ઘણા સામાન્ય નાગરિકોના મનમાં સવાલ થાય છે કે જ્યાં દારૂબંધી નથી તેવા રાજ્યોમાં આ દારૂ વેચીને સરકાર પોતાની તિજોરીમાં મોટી આવક કેમ નથી ઉમેરતી? આ પાછળના મુખ્ય અને સરળ કારણો નીચે મુજબ છે:

નકલી દારૂ અને લોકોના જીવનું જોખમ: ગુજરાતમાં પકડાતા મોટાભાગના દારૂનું કોઈ સત્તાવાર બિલ હોતું નથી. તે દારૂ અસલી છે કે નકલી (સ્પુરિયસ), તે માત્ર બોટલ જોઈને કહી શકાતું નથી. જો સરકારી સ્તરે આવો શંકાસ્પદ કે ઝેરી દારૂ અન્ય રાજ્યમાં વેચવામાં આવે અને ત્યાં કોઈ હોનારત સર્જાય, તો લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે.

ક્વોલિટી ચેક કરવી અત્યંત ખર્ચાળ અને અશક્ય: દરેક બોટલ અસલી છે કે નહીં તે જાણવા માટે તેનું સીલ તોડી લેબોરેટરી ટેસ્ટ કરવો પડે. જો સીલ તૂટી જાય તો તેને ફરીથી સુરક્ષિત પેક કરવી અશક્ય છે. લાખો બોટલોની ગુણવત્તા ચકાસવાનો ખર્ચ દારૂની મૂળ કિંમત કરતાં પણ અનેક ગણો વધી જાય છે.

કાયદાકીય નિયમો અને બંધારણીય જોગવાઈ: ભારતીય બંધારણ મુજબ 'દારૂ' એ રાજ્ય યાદીનો વિષય છે, જેથી દરેક રાજ્યના નિયમો અલગ હોય છે. પ્રોહિબિશન એક્ટ અનુસાર, ગેરકાયદે કે ડ્રાય સ્ટેટમાં પકડાયેલા મુદ્દામાલને ફરી બજારમાં વેચી શકાતો નથી, તેનો કાયદેસર નાશ જ કરવો પડે છે.

રાજ્યવાર વેચાણના લેબલ: મોટાભાગની દારૂની બોટલો પર 'ઓન્લી ફોર સેલ ઇન...' જે-તે રાજ્યનું લેબલ હોય છે. અન્ય રાજ્ય માટે બનેલો માલ બીજા રાજ્યમાં કાયદેસર રીતે વેચી શકાતો નથી.

ખાણી-પીણીની વસ્તુઓની હરાજી ન થઈ શકે: સોનું, ચાંદી કે વાહનો જેવા મુદ્દામાલની સરકાર હરાજી કરી શકે છે, પરંતુ સ્વાસ્થ્ય સાથે જોડાયેલા પીણાં કે ખાદ્ય પદાર્થોની હરાજી કરવાનો કાયદામાં કોઈ નિયમ નથી.

દારૂ નષ્ટ કરવાનો કાયદો ક્યારે બન્યો?: ગુજરાતમાં પકડાયેલા દારૂ પર બુલડોઝર ફેરવી નાશ કરવાની શરૂઆત વર્ષ 1991માં થઈ હતી. કાયદા મુજબ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના આદેશ બાદ DySP કે SP કક્ષાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જ આ દારૂનો સુરક્ષિત રીતે નિકાલ કરવામાં આવે છે.

Disclaimer: દારૂ પીવું સ્વસ્થ માટે હાનિકારક હોયે છે, તેના થી કેન્સર જેવા ગંભીર રોગ થઈ શકે છે. આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. TV9Gujarati કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.
ચા અને સિગરેટનું શું છે કનેક્શન ? લોકો ચા સાથે કેમ પીવે છે સિગરેટ, જાણો કારણ
