Breaking News: સોરઠવાસીઓ માટે રાહતના સમાચાર, સૌની યોજના દ્વારા ભરાશે જુનાગઢ જિલ્લાના જળાશયો- Video
સૌરાષ્ટ્ર અને સોરઠના જળાશયોને છલોછલ ભરી પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ જ ક્રમમાં સૌની યોજના હેઠળ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના જળાશયોમાં પાણીની આવક વધારવા માટે મોટાપાયે આયોજન હાથ ધરાયુ છે.
જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની અછત વચ્ચે પાણીની સમસ્યા હળવી કરવા માટે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સૌરાષ્ટ્ર-સોરઠના જળાશયોને ભરવા માટે સૌની યોજના હેઠળ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કુલ નવ ડેમોમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે.
આ કામગીરીમાં પીવાના પાણીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. 29ઓગસ્ટથી ઓઝત-૨ ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાની શરૂઆત થઈ ચૂકી છે. ઓઝત-2 ડેમમાં આવેલું આ પાણી હવે અન્ય જળાશયોની જરૂરિયાત પૂરી કરવા માટે ઉપયોગમાં લેવાશે. તેમાં વ્રજમી ડેમમાં પીવાનું પાણી પહોંચાડવાની વ્યવસ્થા અને આણંદપુર ડેમની પાણીની જરૂરિયાત પણ ઓઝત-૨ મારફતે પૂરી કરવાની યોજનાનો સમાવેશ થાય છે. ઓઝત-2 ડેમના ગેટ ખોલીને નદીના કુદરતી વહેણ દ્વારા પાણી આણંદપુર સુધી પહોંચાડવામાં આવશે.
આ પગલાથી જૂનાગઢ અને ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા હળવી થશે તેવી આશા છે. વરસાદ ઓછો પડ્યો હોવા છતાં, નર્મદાના પાણીથી જળાશયો ભરવાની આ કામગીરી સ્થાનિકો માટે મોટી રાહત લઈને આવશે અને પાણીની સુરક્ષા મજબૂત બનાવશે.
