શનિ મહાદશાનો પ્રભાવ, જાણો કોને મળે અપાર ધન, કોને ભોગવવી પડે મુશ્કેલી?
શનિની દશા કાળમાં કેટલીક રાશિના લોકો માટે નવો રોજગાર, જમીન-મકાન જેવી મિલકત અને આર્થિક વૃદ્ધિના અવસર વધી શકે છે. આ અનુકૂળ પ્રભાવ લગભગ 19 વર્ષની આખી મહાદશા દરમિયાન અનુભવાય છે.

જન્મકુંડળીમાં શનિ અનુકૂળ સ્થિતિમાં હોય અથવા ઉચ્ચ રાશિનો હોય, તો તેની 19 વર્ષની મહાદશા દરમ્યાન વ્યક્તિને અચાનક ધનપ્રવૃત્તિ થવાની સંભાવના વધારે રહે છે. શનિ શુભ ફળ આપે ત્યારે આ સમયગાળો આર્થિક પ્રગતિ માટે લાભદાયક માનવામાં આવે છે.

જ્યોતિષ મુજબ નવ ગ્રહોની સંયુક્ત મહાદશા કુલ 120 વર્ષની ગણવામાં આવે છે, અને આ તમામ દશાઓ જીવનના જુદા જુદા તબક્કાઓમાં વ્યક્તિ પર અસરકારક બની રહે છે. તેમાં સૂર્યની 6 વર્ષ, ચંદ્રની 10 વર્ષ, મંગળની 7 વર્ષ, બુધની 17 વર્ષ, ગુરુની 16 વર્ષ, શુક્રની 20 વર્ષ, શનિની 19 વર્ષ અને રાહુ–કેતુની અનુક્રમે 18 અને 7 વર્ષની મહાદશા સામેલ છે. હવે અહીં આપણે કર્મના ફળો આપનાર અને સમતોલ ન્યાય પ્રદાન કરનાર શનિદેવની મહાદશા વિશે વિગતવાર સમજવા જઈ રહ્યાં છીએ.

જ્યોતિષ મુજબ, જન્મકુંડળીમાં શનિનું સ્થાન અનુકૂળ ન હોય તો જીવનમાં આર્થિક અડચણો, તણાવ અને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને શનિ પ્રતિકૂળ હોય ત્યારે સાડાસાતી અથવા ઢૈયા જેવા સમયગાળામાં ગરીબી અથવા અસ્થિરતા વધવાની શક્યતા રહે છે. બીજી તરફ, જો શનિ શુભ ભાવમાં સ્થિત હોય, તો તે વ્યક્તિને ધન, સુખ-સુવિધા તથા જીવનમાં સ્થિરતા અને પ્રગતિ તરફ આગળ ધપાવે છે. આવો હવે શનિની મહાદશા જીવન પર કેવી અસર કરે છે અને તેમાં રહેલા સકારાત્મક તથા નકારાત્મક પાસાઓને નજીકથી સમજીએ.

જો જન્મકુંડળીમાં શનિ પોતાના ઉચ્ચ સ્થાનમાં હોય અથવા મિત્ર રાશિમાં ગૃહસ્થ હોય, તો તેની મહાદશા દરમિયાન વ્યક્તિને અચાનક ધનપ્રાપ્તી થવાની સંભાવના વધારે રહે છે. આ સમયગાળામાં વિચારશક્તિ અને નિર્ણય શક્તિ વધુ તીવ્ર બને છે, જેના કારણે માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. સંપત્તિ અને પ્રતિષ્ઠા બંનેમાં વૃદ્ધિ જોવા મળે છે અને ભાગ્ય પણ સહાયક બની જાય છે. લોખંડ, તેલ, ખનિજ જેવા શનિ સંબંધિત વ્યવસાયમાં જોડાયેલા લોકો માટે આ સમય વિશેષ લાભદાયક બની શકે છે. ન્યાય ક્ષેત્ર, વકીલાત અથવા મોટી કંપનીઓ સાથે કામ કરનારાઓને પણ આ દશામાં ઉત્તમ સફળતા અને નફો મળવાની શક્યતા વધુ હોય છે.

શનિ પોતાની મહાદશામાં કેવા ફળ આપે છે તે સંપૂર્ણપણે વ્યક્તિની જન્મકુંડળીમાં તેની સ્થિતિ પર નિર્ભર હોય છે. જો શનિ નકારાત્મક રાશિમાં હોય અથવા પ્રતિકૂળ સ્થિતિમાં બેઠો હોય, તો આ સમયગાળા દરમિયાન માનસિક તણાવ, આર્થિક નુકસાન અને અનેક પ્રકારની મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે. કેટલાક લોકોને બિનજરૂરી આરોપો અથવા બદનામીનો સામનો પણ કરવો પડે છે. વ્યવસાયમાં ઘટાડો અથવા નુકસાન થવાની શક્યતા પણ વધે છે.

શનિ જો સૂર્ય સાથે સંયુક્ત હોય, તો આર્થિક અસ્થીરતા, પ્રતિષ્ઠામાં ઘટાડો અથવા માનસિક દુઃખ અનુભવવા પડે, કારણ કે જ્યોતિષમાં સૂર્ય અને શનિને પરસ્પર વિરુદ્ધ સ્વભાવ ધરાવતા માનવામાં આવે છે. જ્યારે શનિ મંગળ સાથે જોડાયેલ હોય, ત્યારે અકસ્માતની શક્યતા અથવા ભાઈ-બહેનો સાથે મતભેદ જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )
જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.
