Railway News : રેલવે મુસાફરો માટે ખુશખબર, ઉત્તરાયણના દિવસથી આ એપ્લિકેશન પર સસ્તામાં મળશે ટિકિટ
રેલવે બોર્ડે ‘રેલવન’ એપ પર અનરિઝર્વ્ડ ટિકિટ ડિજિટલ માધ્યમથી બુક કરનારા મુસાફરો માટે ડિસ્કાઉન્ટ/કેશબેકની જાહેરાત કરી છે. UPI, ડેબિટ/ક્રેડિટ કાર્ડથી ૩% સીધો ડિસ્કાઉન્ટ મળશે, જ્યારે R-Wallet પર કેશબેક ચાલુ રહેશે.

ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે રેલવે બોર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રેલ મુસાફરોને અનારક્ષિત (Unreserved) ટિકિટ બુકિંગ માટે ડિજિટલ માધ્યમ અપનાવવા પ્રોત્સાહિત કરવા હેતુસર ‘રેલવન’ (RailOne) એપ પર ટિકિટ બુકિંગ કરતી વખતે મુસાફરોને સીધો ૩ ટકા લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હાલમાં, રેલવન એપ પર આર-વોલેટ (R-Wallet) મારફતે અનારક્ષિત ટિકિટ બુક કરનાર મુસાફરોને ૩ ટકા બોનસ કેશબેકની સુવિધા આપવામાં આવી રહી છે. હવે આ સુવિધાને વધુ વ્યાપક બનાવતા રેલવે બોર્ડે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર, આર-વોલેટ સિવાયના તમામ ડિજિટલ પેમેન્ટ માધ્યમો—જેમ કે UPI, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ—દ્વારા રેલવન એપ પર અનારક્ષિત ટિકિટ બુક કરવા પર મુસાફરોને ટિકિટના મૂલ્ય પર સીધો ૩ ટકા ડિસ્કાઉન્ટ (છૂટ) મળશે.

જો કે, આર-વોલેટ દ્વારા ટિકિટ બુકિંગ કરતી વખતે અગાઉની જેમ જ મુસાફરોને 3 ટકા બોનસ કેશબેકની સુવિધા યથાવત રાખવામાં આવશે. એટલે કે, આર-વોલેટ વપરાશકર્તાઓને કેશબેક અને અન્ય ડિજિટલ પેમેન્ટ વપરાશકર્તાઓને સીધું ડિસ્કાઉન્ટ—બન્ને રીતે લાભ આપવામાં આવશે.

રેલવે બોર્ડ દ્વારા જાહેર કરાયેલ આ 3 ટકા ડિસ્કાઉન્ટ/લાભ યોજના ૧૪ જાન્યુઆરી 2026થી 14 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન યોજનાની અસર અને મુસાફરોના પ્રતિસાદ (ફીડબેક)નું મૂલ્યાંકન કરવામાં આવશે, જેના આધારે આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.

રેલવે બોર્ડની આ પહેલથી મુસાફરોમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ વધશે તેમજ અનારક્ષિત ટિકિટ બુકિંગની પ્રક્રિયા વધુ સરળ, ઝડપી, સુવિધાજનક અને પારદર્શક બનશે. ડિજિટલ માધ્યમ દ્વારા ટિકિટ બુક કરવાથી મુસાફરોનો સમય બચશે અને સાથે સાથે તેમને સીધો આર્થિક લાભ પણ મળશે.
ભારતનું અનોખું રેલવે સ્ટેશન, જેનું કોઈ નામ જ નથી, જાણવા માટે અહીં ક્લિક કરો..
