કાનુની સવાલ: બીજા રાજ્યમાં ટૂરવાળા છેતરપિંડી કરે તો શું કરવું? ગભરાશો નહીં, આ કાયદેસર રસ્તાઓ અપનાવો
કાનુની સવાલ: આજના સમયમાં લોકો રજા માણવા માટે અન્ય રાજ્યોમાં ટૂર પેકેજ બુક કરાવે છે. સોશિયલ મીડિયા, વોટ્સએપ અને વેબસાઈટ મારફતે આકર્ષક ઓફરો આપી અનેક ટૂર ઓપરેટર્સ લોકો પાસેથી એડવાન્સ રકમ લઈ લે છે. પરંતુ ઘણી વાર પ્રવાસ દરમિયાન કે પછી ત્યાં પહોંચ્યા બાદ ટૂર કંપની દ્વારા છેતરપિંડી થવાના બનાવો સામે આવે છે.

હોટલ બુકિંગ ન હોવું, ટ્રાન્સપોર્ટ ન આપવું, ખોટી માહિતી આપવી કે પછી આખી રકમ લઈ કંપની ગાયબ થઈ જવાની ઘટના સામાન્ય બની રહી છે. જો તમને બીજા રાજ્યમાં ટૂર વાળા છેતરપિંડી કરે, તો કાયદો તમારી સાથે છે. યોગ્ય પગલાં ભરો તો ન્યાય મળી શકે છે.

સૌપ્રથમ પુરાવા ભેગા કરો: ટૂર કંપની સાથે થયેલી વાતચીત, પેમેન્ટની રસીદ, બેંક ટ્રાન્ઝેક્શન, વોટ્સએપ ચેટ, ઇમેલ, જાહેરાતના સ્ક્રીનશોટ વગેરે તમામ પુરાવા સાચવી રાખો. આ પુરાવા આગળની કાનૂની કાર્યવાહી માટે અત્યંત મહત્વના છે.

સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવો: છેતરપિંડી જ્યાં થઈ હોય અથવા જ્યાં ટૂર શરૂ થવાનું હતું તે સ્થળની નજીકની પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી શકાય છે. IPC કલમ 420 (Cheating) હેઠળ ગુનો નોંધાય છે. જો તમે અન્ય રાજ્યમાં હો, તો પણ ત્યાંની પોલીસમાં ફરિયાદ નોંધાવવાનો સંપૂર્ણ અધિકાર છે.

સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ: જો છેતરપિંડી ઓનલાઈન થઈ હોય તો સરકારના Cyber Crime Portal (cybercrime.gov.in) પર ઓનલાઈન ફરિયાદ કરી શકાય છે. આ ફરિયાદ દેશભરમાં લાગુ પડે છે અને અન્ય રાજ્યની એજન્સીઓ સુધી પહોંચે છે.

કન્ઝ્યુમર ફોરમનો સહારો લો: ટૂર પેકેજ એક સર્વિસ (Service) છે. સર્વિસ બરાબર ન મળે તો Consumer Protection Act હેઠળ જિલ્લા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી શકાય છે. અહીંથી રિફંડ, વળતર અને માનસિક હેરાનગતિ માટે ફંડ મળવાની શક્યતા રહે છે.

ટુરિઝમ વિભાગને જાણ કરો: દરેક રાજ્યમાં Tourism Department હોય છે. ત્યાં નોંધાયેલી ટૂર કંપની સામે ફરિયાદ કરવાથી લાઈસન્સ રદ થવા જેવી કાર્યવાહી પણ થઈ શકે છે.

વકીલની સલાહ લો: જો રકમ મોટી હોય અથવા મામલો ગંભીર હોય તો સ્થાનિક વકીલ મારફતે કાનૂની નોટિસ મોકલવી પણ અસરકારક સાબિત થાય છે.
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
