Formula 1: ભારતમાં ફરી સંભળાશે F1 કારનો ગર્જનાભર્યો અવાજ: ફોર્મ્યુલા વન કિંગ્સની વાપસી માટે સરકારે શરૂ કરી મોટી તૈયારી
વર્ષ 2013 પછી ભારતમાં અટકી ગયેલી દુનિયાની સૌથી હાઇ-સ્પીડ રેસ ફોર્મ્યુલા વનની ફરી વાપસી થવા જઈ રહી છે. બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ પર ક્યારે યોજાશે આ મહામુકાબલો અને કયું મોટું બિઝનેસ ગ્રુપ આ રેસ પાછી લાવવા માટે મેદાનમાં ઉતર્યું છે, તેની પૂરી રોમાંચક વિગત અહીં જુઓ.

દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત અને સૌથી ફાસ્ટ સિંગલ-સીટર કાર રેસિંગ ચેમ્પિયનશિપ 'ફોર્મ્યુલા વન' (F1) નો રોમાંચ ભારતમાં ફરી એકવાર પાછો આવી શકે તેમ છે. રોઇટર્સના એક અહેવાલ મુજબ, કેન્દ્ર સરકાર વર્ષ 2028 સુધીમાં ગ્રેટર નોઇડામાં આવેલા બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ પર ફોર્મ્યુલા વનની વાપસી કરાવવા માટે ખૂબ જ ઝડપથી કામ કરી રહી છે. આ માટે સરકાર તે તમામ ટેક્સ અને કાયદાકીય અડચણોને દૂર કરવાનો પૂરો પ્રયાસ કરી રહી છે, જેના કારણે વર્ષ 2013 પછી ભારતમાં આ રોમાંચક રેસ બંધ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે ભારતમાં પ્રથમ વખત વર્ષ 2011માં ઇન્ડિયન ગ્રાં પ્રીનું આયોજન થયું હતું, પરંતુ 2013માં ત્રીજી રેસ પૂરી થયા બાદ વિવાદોના કારણે તેને કેલેન્ડરમાંથી હટાવી દેવામાં આવી હતી.

સરકારે વધારી દીધી દોડધામ: ભારતના રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં જ આ રેસિંગ ટ્રેકના સંભવિત માલિક એવા અદાણી ગ્રુપ અને દેશના મોટરસ્પોર્ટસ મહાસંઘના પ્રતિનિધિઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક પૂરી થયા બાદ તેમણે ફોર્મ્યુલા વનની વાપસીના રસ્તાઓ સાફ કરવા માટે એક ખાસ 'ટાસ્ક ફોર્સ' બનાવવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ ટાસ્ક ફોર્સનું મુખ્ય કામ મોટરસ્પોર્ટસ અને F1 ની વાપસીમાં નડતી આર્થિક અને નીતિગત પડકારોનો કાયમી ઉકેલ લાવવાનું રહેશે.

આ સમિતિમાં ટેક્સ વિભાગના અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવશે, જ્યારે જુદા જુદા મંત્રાલયો વચ્ચે યોગ્ય તાલમેલ જળવાઈ રહે અને પ્રક્રિયાઓ એકદમ સરળ બને તે માટેની મોટી જવાબદારી સરકારના 'નીતિ આયોગ' ને સોંપવામાં આવી છે.

અદાણી ગ્રુપ કરી શકે છે સર્કિટનું અધિગ્રહણ: બીજી તરફ, બિઝનેસ જગતમાંથી મોટા સમાચાર એ છે કે અદાણી ગ્રુપ તે કંપનીને ખરીદવાની (અધિગ્રહણ કરવાની) પ્રક્રિયામાં છે, જેની પાસે પહેલા બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટની માલિકી હતી. જો કે આ બાબતે અદાણી ગ્રુપ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) ના એમડી કરણ અદાણીએ પહેલા જ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ વ્યક્તિગત રીતે ફોર્મ્યુલા વનને ભારતમાં પાછી લાવવાના પ્રયાસોમાં સક્રિય રીતે જોડાયેલા છે.

આ સાથે જ ફોર્મ્યુલા વનના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) સ્ટેફાનો ડોમેનિકાલીએ પણ ભારતમાં વાપસી કરવા માટે પોતાની ખૂબ જ ઊંડી રુચિ દર્શાવી છે. જો કે તેમણે ઉમેર્યું હતું કે આ વાપસી માટે યોગ્ય પ્રમોટર, મજબૂત ભાગીદારી અને અનુકૂળ સમય હોવો અત્યંત જરૂરી છે. તેમના મતે, આ વાપસી એકદમ નજીકના ભવિષ્યમાં તરત જ નહીં થાય, પરંતુ બધી જ તૈયારીઓ 100 ટકા પૂરી થયા પછી જ તેને અમલમાં મૂકવામાં આવશે.

જાણો શું છે આ F1 રેસિંગ? ફોર્મ્યુલા વન (F1) એ દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત અને સૌથી હાઇ-સ્પીડ કાર રેસિંગ ચેમ્પિયનશિપ છે. આ રેસિંગનું સંચાલન અને નિયંત્રણ આંતરરાષ્ટ્રીય મોટરસ્પોર્ટસ સંસ્થા FIA (Federation Internationale de l'Automobile) દ્વારા કરવામાં આવે છે. આ રોમાંચક રેસમાં વિશ્વની ટોચની દિગ્ગજ ટીમો અને ડ્રાઇવરો ભાગ લે છે, જેમાં ફેરારી, મર્સિડીઝ, રેડ બુલ અને મેકલેરેન જેવી બ્રાન્ડ્સ સામેલ છે.

ફોર્મ્યુલા વન એ નિયમોનો એક ખૂબ જ કડક અને સર્વોચ્ચ સ્તરનો સેટ (Formula of Rules) છે, જેમાં કારની ડિઝાઇન, એન્જિનની ક્ષમતા, સુરક્ષા, વજન અને ટેકનોલોજી માટે ફિક્સ નિયમો હોય છે અને દરેક ટીમે તેનું પાલન કરવું જ પડે છે. દર વર્ષે FIA અને ફોર્મ્યુલા વન મેનેજમેન્ટ (FOM) સાથે મળીને આખું રેસ કેલેન્ડર તૈયાર કરે છે, જેમાં સામાન્ય રીતે 22 થી 24 ગ્રાં પ્રી (મેચો) સામેલ હોય છે. આખા સીઝનની તમામ રેસના પોઇન્ટ્સના આધારે વર્ષના અંતે જે ડ્રાઇવર અને ટીમ પાસે સૌથી વધુ પોઇન્ટ્સ હોય તેને વિજેતા જાહેર કરવામાં આવે છે.(All Image From: Formula 1)
આજથી ભારત અને બ્રિટન વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર લાગુ થશે, વિદેશી વ્હિસ્કીથી લઈને બ્રાન્ડેડ કપડાં સુધી બધું જ થશે સસ્તું
