પત્ની, બાળકો કે માતા-પિતા? EPFO મેમ્બરના મૃત્યુ બાદ કોને મળશે ‘પેન્શન’ અને વીમાનો લાભ?
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તેના સભ્યોને માત્ર રિટાયરમેન્ટ પછી જ નાણાકીય સુરક્ષા નથી આપતું પરંતુ સભ્યના અકાળે મૃત્યુના કિસ્સામાં તેના પરિવારનો સહારો પણ બને છે.

અવારનવાર લોકોના મનમાં એ સવાલ થતો હોય છે કે, જો કોઈ પીએફ (PF) ખાતાધારકનું મૃત્યુ થાય, તો તેના ખાતામાં જમા થયેલા પૈસા કોને મળશે અને તે ઉપાડવાની પ્રક્રિયા શું હશે? EPFOના નિયમો મુજબ, સભ્યના મૃત્યુ પછી પીએફની રકમ પેન્શન અને વીમાનો લાભ પરિવારના હકદાર સભ્યોને આપવામાં આવે છે.

EPFOના નિયમો અનુસાર, પીએફ ખાતામાં જમા થયેલા પૈસા સૌથી પહેલા તે વ્યક્તિને મળે છે, જેને સભ્યએ પોતાના નોમિની (Nominee) બનાવ્યા હોય. જો સભ્યએ ઈ-નોમિનેશન (e-Nomination) ની પ્રક્રિયા પૂર્ણ કરી હોય, તો નોમિનીને પૈસા મળવામાં ખૂબ જ સરળતા રહે છે.

જો કોઈ નોમિનેશન કરવામાં આવ્યું ન હોય, તો આ રકમ સભ્યના કાનૂની વારસદાર (Legal Heir) અથવા પરિવારના સભ્યો (પતિ/પત્ની અને બાળકો) ને સમાન હિસ્સે આપવામાં આવે છે. આ માટે પરિવારને 'સર્વાઈવરશિપ સર્ટિફિકેટ' અથવા કાયદેસરના વારસદાર હોવાના પુરાવા (Succession Certificate) ની જરૂર પડી શકે છે.

મૃત્યુ પછી ક્લેમ કરવા માટે સૌથી મહત્વનો દસ્તાવેજ સભ્યનું મૃત્યુ પ્રમાણપત્ર (Death Certificate) છે. આ ઉપરાંત, ક્લેમ કરનાર વ્યક્તિ (નોમિની અથવા વારસદાર) નું પાન કાર્ડ, આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો (કેન્સલ ચેક અથવા પાસબુક) અને સભ્ય સાથેના સંબંધનો પુરાવો આપવો પડે છે. જો ક્લેમ કરનાર સગીર (Minor) હોય, તો તેના વાલીના દસ્તાવેજો પણ રજૂ કરવાના રહે છે.

EPFO હવે ડિજિટલ ક્લેમની સુવિધા આપે છે પરંતુ ઓફલાઇન મોડમાં ફોર્મ-20, ફોર્મ-10D અને ફોર્મ-5IF ભરવા પડે છે. EPFO સભ્યોને 'એમ્પ્લોઈ ડિપોઝિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ' (EDLI) યોજના હેઠળ મફત જીવન વીમા કવચ મળે છે. જો સેવા દરમિયાન (ચાલુ નોકરીએ) સભ્યનું મૃત્યુ થાય, તો તેના પરિવારને મહત્તમ ₹7 લાખ સુધીની વીમા રકમ મળી શકે છે.

આ યોજનામાં લઘુત્તમ (ઓછામાં ઓછી) રકમ ₹2.5 લાખ નક્કી કરવામાં આવી છે. શરત માત્ર એટલી છે કે, સભ્યએ મૃત્યુ પહેલા સતત 12 મહિના સુધી નોકરી કરી હોવી જોઈએ. આ માટે અલગથી કોઈ પ્રીમિયમ ચૂકવવું પડતું નથી, કારણ કે આ સુવિધા PF ખાતા સાથે આપમેળે જોડાયેલી હોય છે.

PF ફંડ ઉપરાંત, પરિવાર 'કર્મચારી પેન્શન યોજના 1995' (EPS) હેઠળ માસિક પેન્શન મેળવવા માટે પણ હકદાર હોય છે. સભ્યના મૃત્યુ પછી તેના વિધવા અથવા વિધુરને આજીવન પેન્શન મળે છે. જો સભ્યના બાળકો 25 વર્ષથી ઓછી ઉંમરના હોય, તો 2 બાળકોને પણ એકસાથે માસિક પેન્શન આપી શકાય છે.

જો સભ્ય અપરિણીત હોય, તો પેન્શનનો લાભ તેના આશ્રિત માતા-પિતાને આપવામાં આવે છે. આ નાણાકીય સુરક્ષા મુશ્કેલ સમયમાં પરિવાર માટે સતત આવકની ખાતરી આપે છે. જો સભ્યનો UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) આધાર સાથે લિંક હોય અને ઈ-નોમિનેશન ફાઈલ કરેલું હોય, તો નોમિની EPFO પોર્ટલ દ્વારા ઓનલાઈન ક્લેમ કરી શકે છે.

પોર્ટલ પર 'Death Claim' નો વિકલ્પ પસંદ કરીને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહે છે. જો વિગતો મેચ ન થતી હોય, તો સભ્યના છેલ્લા એમ્પ્લોયર (માલિક) દ્વારા ઓફલાઈન અરજી કરવી પડે છે. EPFO નો લક્ષ્યાંક અરજી કર્યાના 20 દિવસની અંદર સેટલમેન્ટ પૂર્ણ કરવાનો હોય છે.
50ની ઉંમરે પહોંચી ગયા છો? પેન્શન લેવાની ઉતાવળ કરતા પહેલા આ સત્ય જાણી લેજો, નહીં તો આજીવન પસ્તાવો થશે
