જય શાહનું મોટું એલાન, ટી20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા જ હશે ભારતના કેપ્ટન
આઈપીએલ 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ 10 વર્ષથી કેપ્ટન રહેલા રોહિત શર્માને બદલે ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને સોંપવામાં આવી હતી. ત્યારથી જ ચર્ચા શરુ થઈ હતી કે શું ટી20 વર્લ્ડ કપ 2024માં પણ રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડયાને કેપ્ટન બનાવવામાં આવશે. આ દરમિયાન રોહિત શર્માના કરિયર, પરફોર્મન્સ અને ફિટનેસ પર પણ સવાલ ઉઠયા હતા. જોકે જય શાહની જાહેરાતથી તમામ ચર્ચાઓનો અંત આવ્યો છે.

રાજકોટમાં ત્રીજી ટેસ્ટ મેચ પહેલા સ્ટેડિયમના નામકરણ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. BCCI સચિવ જય શાહની હાજરીમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમનું નામ બદલીને નિરંજન શાહ સ્ટેડિયમ રાખવામાં આવ્યું

ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર અને વરિષ્ઠ ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર નિરંજન શાહના સન્માનમાં આ ફેરફાર કરવામાં આવ્યો હતો.

રાજકોટમાં આ નામકરણ કાર્યક્રમમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે મોટી જાહેરાત કરી છે.

તેમણે જાહેરાત કરી કે આગામી ટી20 વર્લ્ડ કપ 2024 માટે રોહિત શર્મા જ ભારતીય ટીમના કેપ્ટન રહેશે. જ્યારે ગુજ્જુ સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયા આગામી ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના વાઈસ કેપ્ટનની જવાબદારી સંભાળશે.

રોહિત શર્માએ આઈપીએલની 158 ટી20 મેચમાં કેપ્ટનશીપ કરી છે. જેમાંથી 87 મેચમાં તેની ટીમે જીત મેળવી છે.જ્યારે 67 મેચમાં હાર અને 4 મેચ ટાઈ થઈ. ભારતીય ટીમની કેપ્ટન તરીકે રોહિત શર્માએ 54 માંથી 41 મેચમાં જીત મેળવી છે, જ્યારે 12 મેચમાં ટીમને હારનો સામનો કરવો પડયો છે. જ્યારે 1 મેચ ટાઈ રહી હતી.

































































