ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડનાર આ સ્ટાર ખેલાડીઓને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરી દેવામાં આવ્યા
ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડનાર કેપ્ટન રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી છે પરંતુ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે વનડે ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા ત્રણ ખેલાડીઓને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવ્યા છે. જાણો કોણ છે આ ખેલાડીઓ અને કેમ તેમને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જોકે, છેલ્લી ODI ઈવેન્ટ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયાની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનારા ત્રણ ખેલાડીઓને આ ટીમમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર સિનિયર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પસંદગી કરવામાં આવી ન હતી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં શમીએ સેમિફાઈનલમાં ત્રણ વિકેટ લીધી હતી, જેનાથી ટીમ ફાઈનલમાં પહોંચી હતી.

શમી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો સૌથી સફળ બોલર હતો, તેણે નવ વિકેટ લીધી હતી. પરંતુ હવે તે ટીમમાંથી તેને ડ્રોપ કરવામાં આવ્યો છે. ફિટનેસ અને ઈન્જરીની સમસ્યાના કારણે શમી પહેલા ઈંગ્લેન્ડ અને હવે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી પણ ડ્રોપ થયો છે.

સ્પિનર વરુણ ચક્રવર્તીને પણ વનડે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં નવ વિકેટ લીધી હતી અને ભારતીય ટીમને ચેમ્પિયન બનાવામાં તેની બોલિંગનો મોટો હાથ હતો.

વરુણે સેમિફાઈનલ અને ફાઈનલમાં સારી બોલિંગ કરી હતી અને ખૂબ જ ઓછા રન અપાવાની સાથે બે-બે વિકેટ લીધી હતી. આવું દમદાર પ્રદર્શન છતાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે તેની પસંદગી નથી થઈ. જોકે, વરુણ T20 ટીમમાં સામેલ છે.

નંબર 1 ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પણ પસંદગી નથી થઈ. જાડેજા પણ ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમનો ભાગ હતો. જોકે, ટુર્નામેન્ટ તેના માટે ખાસ પ્રભાવશાળી નહોતી જે કદાચ તેની પસંદગી ન થવાનું કારણ હોઈ શકે છે.

રવિન્દ્ર જાડેજાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ફક્ત પાંચ વિકેટ લીધી અને માત્ર 50 રન બનાવ્યા હતા. જોકે અજીત અગરકરે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં વધુ સ્પિનરોની જરૂર નથી, એટલા માટે જાડેજાની પસંદગી થઈ નથી.

આ સિવાય ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતનાર ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી અને શુભમન ગિલને આ જવાબદારી સોંપવામાં આવી છે. જો કે રોહિત ODI ટીમમાં સામેલ છે અને શ્રેણીમાં ખેલાડી તરીકે રમશે. (All Photo Credit : PTI / GETTY)
ચેમ્પિયન્સ ટ્રોફી અને T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રોહિત શર્મા હવે ખેલાડી તરીકે વનડે ટીમમાં રમશે. રોહિત શર્મા સાથે જોડાયલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
