T20 World Cup : વિરાટ-રોહિત નહીં, આ ખેલાડીએ ફટકારી છે ભારતની એકમાત્ર T20 વર્લ્ડ કપ સદી, જાણો કોણ છે આ ‘ધુરંધર’
T20 વર્લ્ડ કપના 19 વર્ષના ઇતિહાસમાં અનેક દિગ્ગજ બેટર્સે યાદગાર ઈનિંગ રમી છે, છતાં ભારત તરફથી માત્ર એક જ ખેલાડી સદી ફટકારવામાં સફળ રહ્યો છે. વર્ષ 2010માં આ ઐતિહાસિક સદી નોંધાઈ હતી. આશ્ચર્યની વાત એ છે કે ત્યારથી અત્યાર સુધી કોઈ ભારતીય બેટર આ સિદ્ધિ પુનરાવર્તિત કરી શક્યો નથી.

T20 વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 2007 માં થઈ હતી. પ્રથમ આવૃત્તિમાં જ ભારતે પાકિસ્તાનને હરાવી ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ દર બે વર્ષે યોજાતી આ ટુર્નામેન્ટે વિશ્વ ક્રિકેટને અનેક રોમાંચક પળો આપી છે. વર્ષ 2026 માં 10 મો T20 વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે.

આ ટુર્નામેન્ટ હંમેશા કટોકટીભર્યા મુકાબલાઓ માટે ઓળખાય છે. 20 ઓવરના ફોર્મેટમાં દરેક બોલ મહત્વનો બને છે. મોટા ખેલાડીઓ અને મોટી ટીમો વચ્ચે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની હોડ જોવા મળે છે. છતાં આટલી સ્પર્ધાત્મક ટુર્નામેન્ટમાં અત્યાર સુધી માત્ર 11 બેટર્સ જ સદી ફટકારી શક્યા છે, જેમાં ભારતનો ફક્ત એક જ ખેલાડી સામેલ છે.

આશ્ચર્યજનક રીતે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સ્ટાર ખેલાડીઓના નામે છે, છતાં તેઓ પણ સદી સુધી પહોંચી શક્યા નથી. આવી સ્થિતિમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે ભારત માટે એ એકમાત્ર સદી કોણે નોંધાવી હતી?

જવાબ છે – સુરેશ રૈના. ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ બેટર સુરેશ રૈનાએ વર્ષ 2010 માં વેસ્ટ ઇન્ડિઝમાં યોજાયેલા T20 વર્લ્ડ કપ દરમિયાન આ કારનામું કર્યું હતું. દક્ષિણ આફ્રિકા સામેની મહત્વપૂર્ણ મેચમાં તેણે શાનદાર સદી ફટકારી હતી.

તે મેચમાં ભારતની પ્રથમ વિકેટ શૂન્ય રનમાં પડી જતા દબાણ સર્જાયું હતું. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં રૈના ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો અને પરિસ્થિતિને પોતાના પક્ષમાં ફેરવી દીધી હતી. તેણે માત્ર 60 બોલમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 101 રન બનાવ્યા હતા. તેની આ ઐતિહાસિક ઈનિંગ આજે પણ ભારતીય ક્રિકેટના સુવર્ણ પાનાંમાં નોંધાયેલી છે. (PC: PTI/X)
