ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈ સર્જાતી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા શહેર પોલીસ કમિશનર સહીતના અધિકારીઓએ કાલુપુર રેલવે સ્ટેશનની લીધી મુલાકાત
અમદાવાદ રેલવે સ્ટેશનના ચાલતા રિડેવલપમેન્ટ કામકાજને કારણે તેમજ સારંગપુર બ્રિજ બંધ હોવાને કારણે શહેરીજનોને ભારે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરીજનોને પડતી ટ્રાફિક હાલાકી દૂર કરવા માટે આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર, રેલવેના અધિકારીઓ, રેલવે પોલીસ ફોર્સના અધિકારીઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ, અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની રૂબરૂ મુલાકાત લઈને સમસ્યાનો હલ ઉકેલવાની દીશામાં કાર્યવાહી કરી હતી.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકના અધ્યક્ષસ્થાને, શહેર વિસ્તારના મુસાફર પરિવહન કેન્દ્રોની સુરક્ષા અંગેની સંકલન બેઠક યોજાઈ હતી.

સંકલન બેઠક બાદ શહેર પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા કાલુપુર રેલવે સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી

અમદાવાદ શહેરમાં રેલવે સ્ટેશન ખાતે આવતા મુસાફરોને પડતી અગવડ ઓછી કરવાનાં નિવારાત્મક પગલાં અંગેના આયોજન માટે નવા બની રહેલા કાલુપુર રેલવે સ્ટેશન ખાતે વાહન પાર્કિંગની વ્યવસ્થા ચકાસી હતી.

નવા વિકસી રહેલ રેલવે સ્ટેશનના સરસપુર તરફના વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા અંગે ચિતાર મેળવવામાં આવ્યો હતો.

ભવિષ્યમાં ટ્રાફિકની અગવડતા ઓછી થાય તે રીતના આયોજનને અમલમાં મૂકવાના હેતુસર રેલવે ડેવલપમેન્ટની કામગીરીની પ્રગતિની જાણકારી મેળવી હતી.

શહેર પોલીસ કમિશનર દ્વારા રેલવે સ્ટેશન આસપાસના તમામ રોડની મુલાકાત લેવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન રેલવેના ડિવિઝનલ મેનેજર, રેલવેના એડીઆરએમ, આરપીએફના ડિવિઝનલ સિક્યોરિટી અધિકારીઓ, સ્ટેશન ડાયરેક્ટર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડીવાયએમ, વેસ્ટર્ન રેલવેના નાયબ પોલીસ અધિક્ષક, આરટીઓના ઇન્સ્પેક્ટર, અમદાવાદ શહેરના નાયબ પોલીસ કમિશનર અને સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર હાજર રહ્યા હતા.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો