રોહિત શર્માની વાત પર નહોતો ભરોસો, હવે માંગી માફી: સંજુ સેમસને હિટમેનને લઈને કર્યો મોટો ખુલાસો
T20 વર્લ્ડ કપ 2026માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બનેલા સંજુ સેમસને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. શરૂઆતી મેચોમાં પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થતાં તેઓ ખૂબ જ નિરાશ હતા. રોહિત શર્માએ તેમને સાંત્વના આપી હતી પરંતુ શરૂઆતમાં સંજુને રોહિતની વાતો પર વિશ્વાસ નહોતો આવ્યો, જેના માટે તેમણે હવે માફી માંગી છે.

T20 વર્લ્ડ કપ 2026માં સંજુ સેમસને શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ વર્લ્ડ કપના શરૂઆતી મુકાબલાઓમાં સંજુને રમવાની તક મળી નહોતી. T20 વર્લ્ડ કપ 2026 પહેલાં ન્યૂઝીલેન્ડ સામેની T20 સિરીઝમાં સંજુ સેમસન સારું પ્રદર્શન કરી શક્યા નહોતા. આ કારણે તેમને ટુર્નામેન્ટની શરૂઆતી મેચોમાં ભારતની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નહોતું. તેમની જગ્યાએ ઇશાન કિશનને અભિષેક શર્મા સાથે ઓપનિંગ કરવાની તક આપવામાં આવી હતી. હવે તાજેતરમાં જ સંજુએ ખુલાસો કર્યો છે કે વર્લ્ડ કપ દરમિયાન ટીમમાંથી બહાર થવાથી તેઓ ભારે નિરાશ હતા.
તેમણે જણાવ્યું કે, એ મુશ્કેલ સમયમાં પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ તેમનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શરૂઆતમાં તેમને રોહિતની વાતો પર ભરોસો કરવો મુશ્કેલ લાગી રહ્યો હતો. બાદમાં તેમને એહસાસ થયો કે રોહિતની સલાહ તેમના આત્મવિશ્વાસને જાળવી રાખવા માટે જ હતી.
રોહિતની વાત પર ન થયો વિશ્વાસ
સંજુ સેમસને જિયોસ્ટાર (JioStar) ને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે T20 વર્લ્ડ કપ દરમિયાન રોહિત શર્માએ તેમને કહ્યું હતું કે, “નિરાશ ન થા ભાઈ. આ લાંબી ટુર્નામેન્ટ છે. તને તક જરૂર મળશે અને તે ગમે ત્યારે આવી શકે છે.” સંજુ સેમસને કહ્યું કે તે સમયે તેઓ એટલા હતાશ હતા કે તેમને રોહિતની વાત પર વિશ્વાસ જ ન બેઠો. સંજુએ આગળ ઉમેર્યું કે, “સાચું કહું તો એ સમયે મને તેમની વાત પર વિશ્વાસ નહોતો આવ્યો, જે બદલ હું માફી માંગું છું. બની શકે કે તેમણે પોતાના અનુભવ અને દિલથી આ વાત કહી હોય, પરંતુ એ સમયે હું તે જોઈ શકતો નહોતો જે તેઓ જોઈ રહ્યા હતા.”
સામાન્ય થવામાં લાગ્યો સમય
કેરળના આ બેટ્સમેને કહ્યું કે તેઓ ઘણા દિવસો સુધી ઉદાસ રહ્યા હતા. સંજુ સેમસને કહ્યું, “અમારું વર્લ્ડ કપ અભિયાન ન્યૂઝીલેન્ડ સિરીઝ પૂરી થયાના માત્ર બે દિવસ પછી શરૂ થઈ ગયું હતું. એ નિરાશામાંથી બહાર આવતા મને ઓછામાં ઓછો એક અઠવાડિયાનો સમય લાગ્યો. હું મારી લાગણીઓ છુપાવનારો માણસ નથી. જો હું સારું અનુભવતો ન હોઉં, તો તે મારા ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવે છે. લગભગ ચાર-પાંચ દિવસ સુધી હું એ જ તબક્કામાંથી પસાર થતો રહ્યો, ત્યાર પછી જ મારી જાતને સંભાળી શક્યો.”
માનસિક રીતે પોતાની જાત પર કર્યું કામ
સંજુ સેમસને આગળ કહ્યું, “જ્યારે તમને ખબર હોય કે તમે અસફળ થઈ ચૂક્યા છો, તો ત્યાર પછી તમારી સામે માત્ર આગળ વધવાનો જ રસ્તો રહે છે. મેં માનસિક રીતે પોતાની જાત પર કામ કરવાનું શરૂ કર્યું. મેં મારી જાતને સવાલો પૂછ્યા કે હું ક્રિકેટ કેમ રમું છું અને મારો અસલી મકસદ શું છે. એવું લાગ્યું જાણે વર્લ્ડ કપ દરમિયાન હું મારી જાતને ફરીથી ઓળખી રહ્યો હતો. ત્યારબાદ ધીમે-ધીમે બધું સરખું થવા લાગ્યું.”
બન્યા પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ
જ્યારે સંજુ સેમસનને ટીમમાં રમવાની તક મળી ત્યારે તેમણે દમદાર પ્રદર્શન કરીને સૌનો વિશ્વાસ જીતી લીધો. તેમણે આખી ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ બેટિંગ કરતા પાંચ મેચોમાં 321 રન બનાવ્યા. આ દરમિયાન તેમની એવરેજ 80.25 અને સ્ટ્રાઇક રેટ 199.37 નો રહ્યો હતો. સંજુ ભારત તરફથી સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન બન્યા અને તેમના આ શાનદાર પ્રદર્શન માટે તેમને ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ ચૂંટવામાં આવ્યા. એટલું જ નહીં, તેમણે પાંચ ઇનિંગ્સમાં 24 સિક્સર ફટકારીને T20 વર્લ્ડ કપની એક જ સીઝનમાં સૌથી વધુ છગ્ગા લગાવવાનો નવો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.
