Solar Panel : સૂર્ય ઘર યોજના અંતર્ગત મફત વીજળી અને સબસિડી મેળવવા, અહીં જાણો સંપૂર્ણ માહિતી
પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ 300 યુનિટ મફત વીજળી મેળવો. આ યોજના દ્વારા સરકાર સોલાર પેનલ ઇન્સ્ટોલેશન માટે મોટી સબસિડી આપે છે.

પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના કેન્દ્ર સરકારની એક મહત્વપૂર્ણ પહેલ છે, જેના દ્વારા દેશના સામાન્ય નાગરિકોને છત પર સોલાર પેનલ સ્થાપિત કરાવીને મફત વીજળી પ્રાપ્ત કરવામાં સહાય મળે છે. આ યોજનાનો મુખ્ય હેતુ લોકોને વીજળીના ભારે બિલથી મુક્તિ આપવાનો છે અને સાથે સાથે દેશના કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાનો છે. આ યોજના હેઠળ સરકાર દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી અને સૌર પેનલ ઇન્સ્ટોલેશન માટે મોટી સબસિડી આપે છે.

આ યોજનાથી તમારા ઘર, ઓફિસ અથવા દુકાનમાં 24 કલાક મફત અને અવિરત વીજળી ઉપલબ્ધ થઈ શકે છે. સરકારના આશ્વાસન પ્રમાણે, રિન્યુએબલ એનર્જી અપનાવવાથી વીજળીના કપાતમાં ઘટાડો થશે અને લાઈટનું બિલ નોંધપાત્ર રીતે ઘટશે. દરેક જિલ્લામાં આ યોજના અંતર્ગત કેમ્પ યોજાઈ રહ્યા છે અને અધિકારીઓ લોકોમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે જેથી વધુમાં વધુ પરિવાર આ સુવર્ણ તકનો લાભ લઈ શકે.

જો તમે ભારતના નાગરિક છો અને તમારા ઘરની છત પર સોલાર પેનલ લગાવવાની જગ્યા છે, તો આ યોજનાનો લાભ સરળતાથી મેળવી શકો છો. નોંધણી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે અને તેની શરૂઆત પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmsuryaghar.gov.in પરથી કરી શકાય છે. નોંધણી માટે મોબાઈલ નંબર OTP વડે ચકાસવામાં આવે છે અને ત્યારબાદ નામ, ઇમેઇલ, રાજ્ય, જિલ્લો અને પિનકોડ સહિતની વિગતો ભરવામાં આવે છે. ત્યારબાદ ‘સોલાર રૂફટોપ માટે અરજી કરો’ વિકલ્પ દ્વારા રાજ્ય, જિલ્લો, DISCOM અને વીજળી ગ્રાહક એકાઉન્ટ નંબર પસંદ કરી ફોર્મ સબમિટ કરવું પડે છે.

અરજી સબમિટ થયા પછી DISCOM વિભાગ તમારી વિગતો ચકાસે છે, જે પ્રક્રિયામાં થોડા દિવસ લાગી શકે છે. માહિતી સાચી હોય તો અરજીને મંજૂરી આપવામાં આવે છે. મંજૂરી મળ્યા પછી અરજદારે પોર્ટલમાં લોગિન કરીને સત્તાવાર રજીસ્ટર્ડ વિક્રેતાની પસંદગી કરવી હોય છે. વિક્રેતા તમારા ઘેર આવી છતનું નિરીક્ષણ કરે છે અને કેટલા kW ક્ષમતા સુધીનું સોલાર સિસ્ટમ યોગ્ય રહેશે તે નક્કી કરે છે. સર્વે પછી તમારા ઘેર સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને ત્યારબાદ DISCOM ટીમ આવી ને નેટ મીટર ઇન્સ્ટોલ કરે છે અને સિસ્ટમને ગ્રીડ સાથે જોડે છે.

ઈન્સ્ટોલેશન પૂર્ણ થયા બાદ નિરીક્ષણ રિપોર્ટ જનરેટ થાય છે અને અંતિમ મંજૂરી મળ્યા પછી સબસિડી સીધા તમારા બેંક ખાતામાં જમા થાય છે. ત્યારથી દર મહિને 300 યુનિટ સુધી વીજળી સંપૂર્ણ મફત મળી રહે છે.

સરકારે સબસિડીની રકમ પણ સ્પષ્ટ કરી છે. 1 કિલોવોટ માટે ₹30,000, 2 કિલોવોટ માટે ₹60,000 અને 3 કિલોવોટ અથવા તેથી વધુ ક્ષમતા માટે ₹78,000 કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે. આ ઉપરાંત દરેક રાજ્ય પોતાની તરફથી વધારાની સબસિડી પણ આપે છે, જેના કારણે કુલ સબસિડીની રકમ રાજ્ય મુજબ બદલાય છે.

જો તમે લાઈટના બિલથી પરેશાન છો અને ઘરમાં ફ્રી વીજળી મેળવવા માંગો છો, તો પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના તમારા માટે ખૂબ જ લાભદાયી બની શકે છે. માત્ર એક સરળ ઓનલાઈન રજિસ્ટ્રેશનથી તમે સૂર્ય ઊર્જા અપનાવી શકો છો અને વીજળીના બિલમાં કરવો પડે છે તે મોટો ખર્ચ હંમેશા માટે ઘટાડો કરી શકો છો.
Solar Panel : 300 યુનિટ મફત વીજળી મેળવવા માટે ફ્લેટમાં કેટલા મેગાવોટ સોલાર પેનલની જરૂર પડે?
