LPG Gas Cylinder Breaking : એક સાથે PNG અને LPG ગેસ કનેક્શન રાખનાર સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત જુઓ વિડિયો
ગુજરાત સરકારે એલપીજી સંકટને પહોંચી વળવા મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. રાજ્યમાં હોટલ અને રેસ્ટોરન્ટ સહિતના વ્યવસાયિક એકમોને હવે PNG કનેક્શન અગ્રતાના ધોરણે અપાશે. બે કનેક્શન ધરાવતા ગ્રાહકોને બુધવાર સુધીમાં LPG સરેન્ડર કરવા જણાવાયું છે. ઉપરાંત, દરેક જિલ્લાને વધારાનું કેરોસીન પણ ફાળવવામાં આવ્યું છે.

ગુજરાતમાં LPG ગેસ સિલિન્ડરના સંકટને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે શ્રેણીબદ્ધ મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યા છે. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય ગેસ પુરવઠાને સુવ્યવસ્થિત કરવાનો અને વપરાશકારોને રાહત આપવાનો છે. જેમાં રાજ્યના હોટલ અને રેસ્ટોરન્ટ જેવા વ્યવસાયિક એકમોને હવે PNG (Piped Natural Gas) કનેક્શન આપવાની શરૂઆત કરવામાં આવશે. આ કનેક્શનો ઘરેલું અને વ્યાવસાયિક એમ બંને પ્રકારના વપરાશકારો માટે તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાશે, જેમાં PNG ને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. ગેસ કંપનીઓ સાથે આ સંદર્ભે વાતચીત ચાલી રહી છે.
હાલમાં PNG નો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે
રાજ્ય સરકારે નાગરિકોને આશ્વાસન આપ્યું છે કે હાલમાં PNG નો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને LPG ના પુરવઠામાં 20 ટકાનો વધારો પણ કરવામાં આવ્યો છે. જોકે, એક મહત્વપૂર્ણ નિર્દેશ અનુસાર કોઈપણ ગ્રાહક PNG અને LPG કનેક્શન એકસાથે રાખી શકશે નહીં. જે ગ્રાહકો પાસે બંને કનેક્શન છે, તેમને બુધવાર સુધીમાં LPG કનેક્શન સરેન્ડર કરવા માટે સૂચના આપવામાં આવી છે. તમામ એજન્સીઓ PNG અને LPG કનેક્શનના ડેટાની ચકાસણી કરી રહી છે, અને બુધવાર સુધીમાં બે કનેક્શન ધરાવનારાઓએ LPG સિલિન્ડર જમા કરાવવા પડશે.
સરકારે દરેક જિલ્લાને વધારાનું કેરોસીન આપવાની પણ શરૂઆત કરી છે
પુરવઠાને વધુ સ્થિર બનાવવા માટે, સરકારે દરેક જિલ્લાને વધારાનું કેરોસીન આપવાની પણ શરૂઆત કરી છે. દરેક જિલ્લાને 36,000 લીટર કેરોસીન આપવાનો મોટો ફેંસલો લેવાયો છે. આ ઉપરાંત, LPG સુવિધા સંબંધિત કોઈપણ પ્રશ્ન માટે એક વિશેષ હેલ્પલાઇન નંબર 18002330222 શરૂ કરવામાં આવ્યો છે.
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના એસીએસ મોના ખંધારે આ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં 30 ટકા જેટલું PNGનું વિશાળ નેટવર્ક છે, જે માનનીય પ્રધાનમંત્રીશ્રીના વિઝન અંતર્ગત વિકસાવવામાં આવ્યું છે. જ્યાં શક્ય હોય ત્યાં PNG કનેક્શન લેવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જ્યાં PNG કનેક્શન નથી, ત્યાં LPG કનેક્શન ઘરેલું અને 20 ટકાની મર્યાદામાં વ્યાવસાયિક કનેક્શન માટે ઉપલબ્ધ કરાવાશે.
તેમણે વિવિધ ક્ષેત્રો માટે LPG ની ઉપલબ્ધતા વિશે પણ સ્પષ્ટતા કરી. આરોગ્ય અને શૈક્ષણિક સંસ્થાઓ (ખાનગી કે સરકારી)ને 100 ટકા LPG કનેક્શન આપવામાં આવશે. રાજ્ય સરકારની ભોજન આપતી કોઈપણ યોજનાને પણ 100 ટકા LPG કનેક્શન મળશે. સીડ પ્રોસેસિંગ, ડેરી સેક્ટર, એરપોર્ટ અને રેલવે કેન્ટીનને 70 ટકાની મર્યાદામાં વ્યાવસાયિક કનેક્શન અપાશે, જ્યારે ફિશરીઝ અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને 10 ટકાની મર્યાદામાં કમર્શિયલ કનેક્શન ઉપલબ્ધ કરાવાશે.
કોઈપણ ગ્રાહકે બે કનેક્શન રાખવાના નથી
મોના ખંધારે પુનરોચ્ચાર કર્યો કે કોઈપણ ગ્રાહકે બે કનેક્શન રાખવાના નથી. જો કોઈની પાસે LPG હોય તો PNG તાત્કાલિક સરેન્ડર કરી દેવું. તેમણે જણાવ્યું કે તેમની ટીમ સતત મોનિટરીંગ કરી રહી છે અને 1000 જેટલા નિરીક્ષણો કરવામાં આવ્યા છે. જો કોઈ પણ વ્યક્તિ વધુ કિંમત લેતા કે જથ્થાને ડાયવર્ટ કરતા જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સામાન્ય નાગરિકોને આશ્વાસન આપતા કહ્યું કે PNG કનેક્શન સૌથી સુરક્ષિત છે અને જેની પાસે PNG છે તેમને LPG તરફ જોવાની પણ જરૂર નથી. કેન્દ્ર સરકાર પણ LPG માંથી PNG માં રૂપાંતરિત થવા માટે સૂચના આપી રહી છે.
LPG Gas Cylinderનું ફોનથી બૂકિંગ નથી થઈ રહ્યું? આ ટ્રિકથી મિનિટોમાં બૂક થઇ જશે આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
