Breaking News: મરાઠી આવડશે તો જ રિક્ષા દોડશે ! મહારાષ્ટ્રમાં પરમિટ મુદ્દે નવો વળાંક : 4 મેના રોજ રસ્તાઓ પર જંગ-એ-એલાન
મહારાષ્ટ્રમાં રિક્ષા ચાલકો માટે મરાઠી ભાષા ફરજિયાત કરવાના નિર્ણયથી ખળભળાટ. મંત્રીની જાહેરાત બાદ રિક્ષા યુનિયન અને મનસે સામસામે, જાણો શું છે વિવાદ.

મહારાષ્ટ્રમાં રાજકારણ અને ભાષાનો વિવાદ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. આ વખતે વિવાદના કેન્દ્રમાં રિક્ષા ચાલકો છે. રાજ્ય સરકારના મંત્રી પ્રતાપ સરનાઈકે જાહેરાત કરી છે કે, હવે મહારાષ્ટ્રમાં રિક્ષાની પરમિટ માત્ર એવા જ ચાલકોને આપવામાં આવશે જેમને મરાઠી ભાષા બોલતા અને વાંચતા આવડતી હોય. 'ભાષા નહીં તો પરમિટ નહીં' ના આ આદેશ બાદ હજારો પરપ્રાંતીય ચાલકોની નોકરી પર તલવાર લટકી રહી છે.

યુનિયનની ચેતવણી: મુંબઈમાં ચક્કાજામની તૈયારી: સરકારના આ નિર્ણયના વિરોધમાં ઓટો રિક્ષા યુનિયને આક્રમક વલણ અખત્યાર કર્યું છે. યુનિયને ચેતવણી આપી છે કે જો આ નિયમ પાછો ખેંચવામાં નહીં આવે તો 4 મેના રોજ મુંબઈ અને ઉપનગરીય વિસ્તારોમાં રિક્ષાના પૈડાં થંભી જશે. હજારો બિન-મરાઠી ભાષી ચાલકોના રોજગાર પર સર્જાયેલા સંકટને કારણે હવે મુંબઈમાં મુસાફરોની મુશ્કેલી વધી શકે છે.

મનસેની એન્ટ્રી: 'મરાઠી શીખવી જ પડશે': આ વિવાદમાં રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પણ મેદાને આવી છે. મનસે દ્વારા ઠાણે અને અન્ય વિસ્તારોમાં રિક્ષાઓ પર મરાઠી ભાષાના સ્ટીકરો લગાવવામાં આવી રહ્યા છે. ઠાણેમાં તો મનસે દ્વારા આક્રમક બેનરો પણ લગાવવામાં આવ્યા છે, જેમાં ચેતવણી આપવામાં આવી છે કે જો મરાઠી ન આવડતી હોય અને હડતાળ પાડીને જનતાને હેરાન કરવાનો પ્રયાસ કર્યો, તો મનસે પોતાની શૈલીમાં જવાબ આપશે.

મધ્યસ્થીના પ્રયાસો અને બેઠકોનો દોર: પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા આજે પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈક વિવિધ સંગઠનો સાથે મહત્વની બેઠક યોજવાના છે. સૂત્રો મુજબ, શિવસેના નેતા સંજય નિરુપમે પણ આ મામલે મંત્રી સાથે વાતચીત કરી છે. રિક્ષા ચાલક સંગઠનો અત્યારે મરાઠી શીખવા માટે ઓછામાં ઓછો 3 થી 6 મહિનાનો સમય આપવાની માગ કરી રહ્યા છે.

હવે જોવાનું એ રહેશે કે સરકાર મરાઠી ભાષાના આગ્રહ પર મક્કમ રહે છે કે પછી રિક્ષા ચાલકોના આક્રોશ સામે નમતું જોખે છે. 4 મેના રોજ મહારાષ્ટ્રની સડકો પર રિક્ષા દોડશે કે આંદોલન થશે, તેના પર સૌની નજર છે.
બેટરી બચાવવાની હોડમાં તમે તમારા જ ફોનનું નુકસાન તો નથી કરી રહ્યા ને? જાણો 80% ચાર્જિંગનું કડવું સત્ય
