બેટરી બચાવવાની હોડમાં તમે તમારા જ ફોનનું નુકસાન તો નથી કરી રહ્યા ને? જાણો 80% ચાર્જિંગનું કડવું સત્ય
જો તમે પણ બેટરી હેલ્થ બચાવવા માટે ફોનને માત્ર 80% સુધી જ ચાર્જ કરો છો, તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો. જાણો કેવી રીતે તમે પોતે જ તમારા ફોનને નબળો બનાવી રહ્યા છો.

શું તમે પણ એ લોકોમાં સામેલ છો જેઓ ફોન 80% ચાર્જ થતા જ પ્લગ કાઢી લે છે? સ્માર્ટફોન યુઝર્સમાં લાંબા સમયથી એક માન્યતા ચાલી રહી છે કે બેટરીની આવરદા વધારવા માટે તેને 20% થી 80% ની વચ્ચે રાખવી જોઈએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પ્રેક્ટિસ તમારા મોંઘા ફોનને શરૂઆતથી જ નબળો બનાવી રહી છે? નવો રિસર્ચ અને ટેક એક્સપર્ટ્સ હવે આ થિયરી પર સવાલો ઉઠાવી રહ્યા છે.
તમે વાપરી રહ્યા છો અધૂરો ફોન!
જરા વિચારો, તમે 5000mAh ની પાવરફુલ બેટરી માટે પૂરા પૈસા ચૂકવ્યા છે, પરંતુ તમે તેને માત્ર 80% એટલે કે 4000mAh સુધી જ ચાર્જ કરો છો. આનો અર્થ એ થયો કે તમે પહેલા દિવસથી જ તમારા ફોનની 20% ક્ષમતાને જાતે જ મારી નાખી છે. તમે એક દમદાર ફોનને જાણી જોઈને નબળી બેટરી વાળા જૂના ફોનની જેમ વાપરી રહ્યા છો.
80% ના નિયમ છતાં બેટરી તો ઉતરવાની જ છે
સત્ય એ છે કે સ્માર્ટફોનની બેટરી કેમિકલ રિએક્શન પર કામ કરે છે. તમે ગમે તેટલી સાવચેતી રાખો, સમય જતાં બેટરીની ક્ષમતા કુદરતી રીતે ઘટવાની જ છે. જો તમે હંમેશા 80% સુધી જ ચાર્જ કરશો, તો થોડા વર્ષો પછી જ્યારે બેટરી હેલ્થ ડાઉન થશે, ત્યારે તમારી પાસે વાપરવા માટે ખૂબ જ ઓછો પાવર બચશે. એટલે કે, તમે અત્યારે પણ બેટરી બચાવી શકતા નથી અને ભવિષ્યમાં પણ તેની પૂરી ક્ષમતા વાપરી શકશો નહીં.
સોફ્ટવેર પર પડે છે ખરાબ અસર
વારંવાર ફોનને પૂરો ચાર્જ ન કરવાથી ફોનનું સોફ્ટવેર ‘બેટરી કેલિબ્રેશન’ બરાબર કરી શકતું નથી. આનાથી સિસ્ટમને બેટરીની વાસ્તવિક ક્ષમતા સમજવામાં મુશ્કેલી પડે છે, જેના કારણે ફોનનું પર્ફોર્મન્સ પણ ધીમે ધીમે પ્રભાવિત થઈ શકે છે.
આજનો સ્માર્ટફોન છે વધુ સમજદાર
આધુનિક સ્માર્ટફોન્સ ‘ઓપ્ટિમાઈઝ્ડ ચાર્જિંગ’ ફીચર સાથે આવે છે. જો તમે આખી રાત ફોન ચાર્જિંગમાં મૂકો છો, તો ફોન જાતે જ 80% પર ચાર્જિંગ અટકાવી દે છે અને તમે જાગો તે પહેલા જ તેને 100% સુધી પહોંચાડે છે. બેટરી હેલ્થની ચિંતામાં ફોનને અધૂરો વાપરવા કરતા, તેની પૂરી ક્ષમતાનો આનંદ લો. ટેકનોલોજી તમને સુવિધા આપવા માટે છે, મર્યાદા રાખવા માટે નહીં!
