Vegetables Origin: ભારતમાં ખવાતી દેશી શાકભાજીનો વિદેશી ઇતિહાસ શું છે? જાણો
જે શાકભાજીને આપણે દેશી માનીએ છીએ, તે હકીકતમાં દુનિયાના અલગ-અલગ દેશોમાંથી ભારત સુધી પહોંચેલી છે.

ભારતીય રસોડામાં શાકભાજીનું મહત્વ ખૂબ મોટું છે. રોજિંદા ભોજનમાં બટાકા, ટામેટા, મરચાં અને અન્ય શાકભાજીનો વ્યાપક ઉપયોગ થાય છે. ઘણા લોકો માનતા હોય છે કે આ બધું શાકભાજી મૂળ ભારતનું જ છે, પરંતુ હકીકતમાં આવું નથી. ઇતિહાસ પર નજર કરીએ તો જાણવા મળે છે કે આજકાલ ‘દેશી’ મનાતી ઘણી શાકભાજી વિદેશથી ભારત આવી છે. ખાસ કરીને પોર્ટુગીઝ, ડચ અને બ્રિટિશ વેપારીઓ ભારત સાથે વેપાર કરતા સમયે અનેક શાકભાજી અહીં લાવ્યાં હતા.

બટાકા ભારતીય ભોજનમાં ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ તેની શરૂઆત ભારતમાં નહીં, દક્ષિણ અમેરિકાના પેરુમાંથી થઈ હતી. 17મી સદીમાં પોર્ટુગીઝ વેપારીઓ બટાકા ભારત લાવ્યા હતા. શરૂઆતમાં અહીં તેની ખેતી ખૂબ ઓછી હતી, પરંતુ પછી બ્રિટિશ શાસન દરમિયાન તેને પ્રોત્સાહન મળ્યું. આજના સમયમાં ભારત વિશ્વમાં બટાકાનું ઉત્પાદન કરતા અગ્રણી દેશોમાંનો એક છે.

ટામેટાને પણ ઘણા લોકો ભારતીય માનતા હોય છે, પરંતુ તેનો ઉદ્ભવ પણ દક્ષિણ અમેરિકા સાથે જોડાયેલો છે. મેક્સિકોમાં લગભગ હજારો વર્ષ પહેલાં તેની ખેતી શરૂ થઈ હતી. ત્યારબાદ તે યુરોપમાં પહોંચ્યો અને અંતે પોર્ટુગીઝ વેપારીઓ દ્વારા ભારત લાવવામાં આવ્યો. આજે ટામેટા ભારતીય રસોડાનું અવિભાજ્ય અંગ બની ચૂક્યા છે.

ભારતમાં મરચાં વગર ભોજન અધૂરું લાગે છે, પરંતુ તેની શરૂઆત મેક્સિકોમાં થઈ હતી. 1492માં Christopher Columbus(ક્રિસ્ટોફર કોલંબસ)એ મરચાંની ઓળખ કરી હતી. ત્યારબાદ પોર્ટુગીઝ વેપારીઓ તેને ભારત લાવ્યા. શરૂઆતમાં મરચાંની ખેતી માત્ર ગોવામાં થતી હતી, પરંતુ પછી ધીમે ધીમે આખા દેશમાં ફેલાઈ ગઈ. આજે ભારત મરચાંના ઉત્પાદન માટે વિશ્વમાં અગ્રેસર છે.

શિમલા મરચું પણ વિદેશી મૂળ ધરાવે છે. તેનો ઉદ્ભવ ઉત્તર અમેરિકા અને મેક્સિકોમાં થયો હતો. ભારત લાવવામાં આવ્યા પછી તેની ખેતી શિમલા, દાર્જિલિંગ અને નિલગિરી જેવા ઠંડા વિસ્તારોમાં શરૂ થઈ. એથી તેનું નામ ‘શિમલા મરચું’ પડ્યું.

ફુલાવર પણ ભારતનું નથી. તેનો ઉદ્ભવ યુરોપના મેડિટેરેનિયન વિસ્તારમાં થયો હતો. બ્રિટિશ શાસન દરમિયાન તેને ભારત લાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં ઉત્તર પ્રદેશના સહારનપુર વિસ્તારમાં તેની ખેતી થઈ અને પછી સમગ્ર દેશમાં ફેલાઈ ગઈ.

મકાઈ, જેને આપણે ભુટ્ટા તરીકે ઓળખીએ છીએ, તેનું મૂળ મેક્સિકોમાં છે. Christopher Columbus(ક્રિસ્ટોફર કોલંબસ) દ્વારા તે યુરોપમાં પહોંચાડવામાં આવી અને પછી પોર્ટુગીઝ વેપારીઓ દ્વારા એશિયામાં લાવવામાં આવી. ભારતમાં તેની ખેતી સૌથી પહેલા ગુજરાત, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં શરૂ થઈ હતી.

આ રીતે જોવામાં આવે તો ભારતની થાળીમાં આવતી ઘણી શાકભાજી મૂળે વિદેશી છે. છતાં સમય સાથે તે ભારતીય સંસ્કૃતિનો મહત્વનો ભાગ બની ગઈ છે. આજકાલ આ શાકભાજી અહીં સૌથી વધુ ઉગાડવામાં આવે છે અને લોકોના રોજિંદા ભોજનમાં મુખ્ય સ્થાન ધરાવે છે. આથી કહી શકાય કે ભલે મૂળ વિદેશી હોય, પરંતુ આજે આ શાકભાજી સંપૂર્ણ રીતે ‘દેશી’ બની ગઈ છે. (All Image Credit- Social Media)
Coconut vs Lemon: નારિયેળ પાણી કે લીંબુ પાણી… ઉનાળામાં શું પીવું વધુ ફાયદાકારક છે?