કાનુની સવાલ: Mental harassment માટે પણ વળતર મળે છે? જાણો ઘરેલું હિંસા, ખોટો કેસ કે ઓફિસ હેરેસમેન્ટમાં શું કહે છે કાયદો
કાનુની સવાલ: આજના સમયમાં શારીરિક હિંસા જેટલી જ ગંભીર સમસ્યા બની છે માનસિક હેરાનગતિ (Mental Harassment). ઘરેલું હિંસા, ખોટા કેસમાં ફસાવવું, ઓફિસમાં માનસિક ત્રાસ, પોલીસ અથવા કંપની દ્વારા સતત હેરાનગતિ. આવા કિસ્સાઓ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય, કરિયર અને સામાજિક જીવન પર ઊંડી અસર કરે છે. પ્રશ્ન એ છે કે શું આવી માનસિક પીડા માટે કાયદેસર વળતર મળી શકે?

ભારતીય કાયદા હેઠળ માનસિક હેરાનગતિને હવે ગંભીર અપરાધ તરીકે જોવામાં આવે છે. ઘરેલું હિંસા બાબતે Protection of Women from Domestic Violence Act, 2005 અંતર્ગત માત્ર શારીરિક નહીં પરંતુ માનસિક, ભાવનાત્મક અને આર્થિક હિંસાને પણ ગુનો માનવામાં આવે છે. આ કાયદા હેઠળ પીડિત મહિલાને વળતર, મેન્ટેનન્સ અને સારવાર ખર્ચ મેળવવાનો અધિકાર છે.

ખોટા કેસોની બાબતમાં ખાસ કરીને 498A IPC, ડોમેસ્ટિક વાયલેન્સ અથવા ખોટી ફરિયાદથી પીડિત વ્યક્તિ કોર્ટમાં “Malicious Prosecution” અથવા “Defamation”ના આધાર પર વળતર માગ કરી શકે છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના અનેક ચુકાદાઓમાં ખોટા કેસથી થયેલી માનસિક પીડા માટે વળતર ફટકારવામાં આવ્યું છે. વળતર ફિક્સ નથી, તે કોર્ટ નક્કી કરે છે.

ઓફિસમાં માનસિક હેરાનગતિ, બળજબરીથી રાજીનામું લેવડાવવું, સતત ધમકી આપવી કે અપમાન કરવું. આ બધું Labour Laws અને Industrial Disputes Act અંતર્ગત ગેરકાયદેસર છે. આ ઉપરાંત મહિલાઓ માટે Sexual Harassment of Women at Workplace Act, 2013 હેઠળ માનસિક ત્રાસ માટે પણ કાર્યવાહી થઈ શકે છે. આવા કેસોમાં કંપની સામે વળતર અને નોકરી પુનઃપ્રાપ્ત કરવાની પણ શક્યતા રહે છે.

પોલીસ દ્વારા બિનજરૂરી હેરાનગતિ, ગેરકાયદેસર અટકાયત કે ધમકીના કિસ્સામાં વ્યક્તિ સંવિધાનની કલમ 21 (Right to Life and Personal Liberty) હેઠળ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં વળતર માગી શકે છે. કોર્ટોએ આવા મામલામાં માનસિક પીડાને ગંભીર માનવી અધિકાર ભંગ ગણાવ્યો છે.

માનસિક હેરાનગતિ માટે વળતર મેળવવા માટે મેડિકલ રિપોર્ટ, કાઉન્સેલિંગ રેકોર્ડ, મેસેજ, કોલ રેકોર્ડિંગ, સાક્ષી અને દસ્તાવેજી પુરાવા મહત્વપૂર્ણ બને છે. યોગ્ય કાનૂની સલાહ અને પુરાવા સાથે પીડિત વ્યક્તિ ન્યાય મેળવી શકે છે.

આ રીતે હવે માનસિક હેરાનગતિને “નજરઅંદાજ કરી શકાય તેવી બાબત” નહીં પરંતુ કાયદેસર ગુનો માનવામાં આવે છે અને પીડિતોને વળતર મેળવવાનો સંપૂર્ણ અધિકાર છે.
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
