Breaking News: ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું, રાજ્યના 72 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ
ગુજરાતમાં ભર ઉનાળામાં આવેલા મિનિ વાવાઝોડા અને કમોસમી વરસાદે રાજ્યના અનેક વિસ્તારોમાં જનજીવન અને ખેતી બંનેને અસર કરી છે. ભારે પવન અને અચાનક વરસેલા વરસાદને કારણે શહેરોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે, જ્યારે ગામડાઓમાં પાકને નુકસાન પહોંચ્યું છે. હાલ હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી સાથે ચેતવણી આપી છે અને કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને સાવચેતી રાખવા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં ભર ઉનાળામાં અચાનક આવેલા મિનિ વાવાઝોડા અને કમોસમી વરસાદે અનેક વિસ્તારોમાં જનજીવનને અસર કરી છે. રાજ્યના 72 તાલુકાઓમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા લોકો માટે મુશ્કેલીઓ ઊભી થઈ હતી.
રાજકોટ શહેરમાં માત્ર 2 કલાકમાં 1.38 ઇંચ વરસાદ પડતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ફક્ત એક ઇંચ વરસાદમાં જ રાજકોટ પાણી પાણી થઈ ગયું હતું, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. આ સાથે જ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ભારે વરસાદ નોંધાયો હતો.
જૂનાગઢ જિલ્લાના ભેંસાણ વિસ્તારમાં પણ 2 કલાકમાં 1.38 ઇંચ વરસાદ પડતાં સ્થાનિક સ્તરે પરિસ્થિતિ ગંભીર બની હતી. અમરેલી, જૂનાગઢ સહિતના પંથકમાં પણ ભારે પવન અને વરસાદને કારણે નુકસાનની માહિતી સામે આવી છે. અનેક સ્થળોએ ભયાનક આંધી ફૂંકાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ આકડા સવારના 6 વાગ્યા થી સાંજના 8 સુધીના છે.
ભારે પવનના કારણે ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા તેમજ મંડપ અને હોર્ડિંગ્સ પણ તૂટી પડ્યા હતા. જેના કારણે રસ્તાઓ અવરોધિત થયા અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક જગ્યાએ વીજ પુરવઠા પર પણ અસર પડી હોવાની શક્યતા છે.
બીજી તરફ, ખેતરોમાં તૈયાર પાક પાણીમાં તણાતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. અચાનક આવેલા વરસાદ અને પવનને કારણે ખેતી પર મોટો પ્રહાર થયો છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. પ્રશાસન દ્વારા હાલ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ તા. 21 માર્ચ, 2026 સુધી રાજ્યના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, મોરબી, કચ્છ, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ બદલાયેલા હવામાનને ધ્યાનમાં રાખીને કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને સાવચેતી રાખવા માટે ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને કૃષિ પ્રગતિ એપ તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
કૃષિ વિભાગે ખેડૂતોને અનુરોધ કર્યો છે કે તેઓ પોતાના તૈયાર તથા ઉભા પાકને સુરક્ષિત રાખવા તાત્કાલિક પગલાં લે. કાપણી કરેલ પાકને સલામત સ્થળે ખસેડવો અથવા ઢાંકીને રાખવો, ખેતરમાં પાણી ન ભરાય તે માટે નિકાલની વ્યવસ્થા કરવી અને વરસાદી વાતાવરણ દરમિયાન પિયત કે દવાઓનો ઉપયોગ ટાળવો જરૂરી છે. ખાસ કરીને જીરું, ઈસબગુલ અને વરિયાળી જેવા સંવેદનશીલ પાકોને પ્રાથમિકતા આપીને સુરક્ષિત રાખવા સૂચના આપવામાં આવી છે, જેથી ખેડૂતોના પાકને નુકસાનથી બચાવી શકાય.

