‘કપૂર’ અસલી છે કે નકલી? આ પદાર્થ ખરીદતી વખતે છેતરાતા નહીં, દેશી ટ્રિકથી કરો ‘પાકી ઓળખ’
પૂજામાં વપરાતું કપૂર અસલી છે કે કેમિકલવાળું નકલી? આજના સમયમાં આ ઓળખવું ખૂબ જ જરૂરી છે. જો તમે પણ નકલી કપૂર લાવશો તો ફાયદો થવાના બદલે સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. હવે સવાલ એ છે કે, 'કપૂર' ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું અને અસલી-નકલીને મિનિટોમાં કેવી રીતે ઓળખવું?

'કપૂર' એક એવો પદાર્થ છે કે, જેનો ઉપયોગ લગભગ દરેક પૂજા દરમિયાન કરવામાં આવે છે. બીજું કે, બજારમાં તેના ઘણા પ્રકારો પણ ઉપલબ્ધ છે. એવામાં શું તમને ખબર છે કે, અસલી 'કપૂર' કયું અને નકલી કયું? આખરે કપૂરને કેવી રીતે ઓળખવું?

કપૂરનો ઉપયોગ ઘરમાંથી બેક્ટેરિયાને દૂર કરવા માટે પણ કરવામાં આવે છે. હવે આ માટે જો તમે નકલી કપૂરનો ઉપયોગ કરો છો, તો તેનાથી તમને કોઈ ફાયદો થશે નહીં. તેના ઉપયોગથી ન તો તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા દૂર થશે અને ન તો ઘરમાંથી બેક્ટેરિયાનો નાશ થશે. હવે એ સવાલ ઊભો થાય છે કે, આખરે અસલી અને નકલી કપૂરમાં તફાવત કેવી રીતે કરવો?

અસલી અને નકલી કપૂરના રંગમાં એ તફાવત હોય છે કે, જે 'કપૂર' નકલી હોય છે તેના રંગમાં થોડો લાલાશ પડતો ભૂરો કે પીળો રંગ જોવા મળે છે. બીજીબાજુ અસલી કપૂરનો રંગ એકદમ સફેદ હોય છે. જો તમે નકલી કપૂરને સળગાવો છો, તો તેનાથી તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે. વધુમાં, તેના ધુમાડાથી શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે.

ધ્યાન દોરવા જેવું એ છે કે, અસલી અને નકલી કપૂરમાં તફાવત તેની સુગંધના આધારે પણ કરી શકાય છે. નકલી કપૂરને સુંઘવાથી તેની ગંધ થોડી અજીબ લાગે છે પરંતુ અસલી કપૂરને તમે સુંઘતાની સાથે જ ઓળખી શકો છો કે, આ અસલી ક્વોલિટીનું છે. બીજું કે, અસલી કપૂરને સળગાવ્યા પછી તેમાં રાખ (ભસ્મ) બચતી નથી, જ્યારે જો કોઈ કપૂરને સળગાવ્યા પછી તમને રાખ જોવા મળે છે, તો તે એ વાતનો સંકેત છે કે તે 'કપૂર' અસલી નથી.

અસલી અને નકલી કપૂરને ઓળખવાની એક રીત એ પણ છે કે, અસલી કપૂરને સળગવામાં થોડો સમય લાગે છે, જ્યારે નકલી કપૂર તરત જ સળગી જાય છે. વધુમાં, એક વાટકી પાણીમાં કપૂરનો ટુકડો નાખો. અસલી કપૂર પાણીની સપાટી પર તરતો રહે છે, જ્યારે કેમિકલ કે સ્ટાર્ચથી બનેલ નકલી કપૂર પાણીમાં ડૂબી જાય છે. ધ્યાન રાખો કે, અસલી ભીમસેની કપૂરની સુગંધ ખૂબ જ ધીમી, કુદરતી અને મીઠી હોય છે. બીજી તરફ, નકલી (સિન્થેટિક) કપૂરમાં તીવ્ર રાસાયણિક ગંધ (Chemical Smell) હોય છે.
‘કપૂર’ કેવી રીતે બને છે? શું તેને ઘરે બનાવવું શક્ય છે? જાણો આને બનાવવાની ‘અસલી રીત’
