IND vs ENG : ઓવલ ટેસ્ટની વચ્ચે જ સ્ટાર ખેલાડી ટીમ ઈન્ડિયા છોડી ગયો, BCCIએ કરી મોટી જાહેરાત
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની છેલ્લી મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે રમાઈ રહી છે. આ મેચ વચ્ચે BCCIએ એક મોટી અપડેટ આપી છે. BCCIએ ટીમમાંથી એક સ્ટાર ખેલાડીને રિલીઝ કર્યો છે.

લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચમી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક મોટી અપડેટ શેર કરી છે. મેચના બીજા દિવસ પહેલા, BCCIએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને માહિતી આપી કે ટીમના એક સ્ટાર ખેલાડીને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આ ટેસ્ટ મેચની વચ્ચે ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યો છે. BCCIએ બુમરાહના વર્કલોડને ધ્યાનમાં રાખીને રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. બુમરાહએ આ શ્રેણીમાં કુલ ત્રણ ટેસ્ટ મેચમાં ભાગ લીધો હતો અને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 14 વિકેટ લીધી હતી.

જસપ્રીત બુમરાહ ભારતીય બોલિંગ આક્રમણનો આધાર રહ્યો હતો. જોકે, માન્ચેસ્ટરમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં તેની બોલિંગ ગતિ ઓછી થઈ ગઈ હતી, ત્યારબાદ મેડિકલ ટીમે તેને આરામ કરવાની સલાહ આપી હતી.

આ શ્રેણી પહેલા નક્કી કરવામાં આવ્યું હતું કે બુમરાહ પાંચમાંથી ફક્ત ત્રણ ટેસ્ટ મેચ રમશે. તેની પીઠની ઈજાને ધ્યાનમાં રાખીને, BCCI અને ટીમ મેનેજમેન્ટ કોઈ જોખમ લેવા માંગતું નથી. ઓવલ ટેસ્ટમાં તેના સ્થાને ઝડપી બોલર આકાશ દીપને તક આપવામાં આવી છે, જેણે ઈજામાંથી સ્વસ્થ થયા પછી વાપસી કરી છે.

આ ટેસ્ટ શ્રેણીમાં જસપ્રીત બુમરાહે પોતાની બોલિંગથી ઈંગ્લેન્ડના બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા હતા. તેણે હેડિંગલી, લોર્ડ્સ અને માન્ચેસ્ટર ટેસ્ટમાં ભાગ લીધો હતો, જ્યાં તેના સચોટ યોર્કર અને સ્વિંગે બેટ્સમેનોને મુશ્કેલીમાં મુક્યા હતા.

માન્ચેસ્ટર ટેસ્ટમાં તેણે 33 ઓવર ફેંકીને માત્ર બે વિકેટ લીધી હોવા છતાં, તેની હાજરીએ ભારતીય બોલિંગને મજબૂત બનાવી હતી. જ્યાં મેચ ડ્રોમાં સમાપ્ત થઈ. ભારત હાલમાં ટેસ્ટ શ્રેણીમાં 1-2થી પાછળ છે અને ઓવલ ટેસ્ટ જીતીને શ્રેણી 2-2થી બરાબર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. (All Photo Credit : PTI / GETTY)
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીની ત્રણ મેચમાં બુમરાહે મજબૂત પ્રદર્શન કર્યું હતું, જસપ્રીત બુમરાહ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
