Breaking News : ડોન બ્રેડમેનથી એમ્બ્રોઝ સુધી… વિશ્વ ક્રિકેટના આ 5 મહાન દિગ્ગજો ક્યારેય ભારતમાં રમ્યા નહીં
ક્રિકેટના ઈતિહાસમાં અનેક દિગ્ગજ ખેલાડીઓએ પોતાની પ્રતિભાથી વિશ્વભરમાં ચાહકોના દિલ જીત્યા છે. જોકે, કેટલાક એવા મહાન ક્રિકેટરો પણ રહ્યા છે જેઓ ભારત સામે રમ્યા હોવા છતાં ભારતીય ધરતી પર ક્યારેય ક્રિકેટ રમ્યા નહીં. ચાલો જાણીએ આ દિગ્ગજો કોણ છે.

ક્રિકેટના ઈતિહાસમાં અનેક એવા દિગ્ગજ ખેલાડીઓ થયા છે જેમણે પોતાના શાનદાર પ્રદર્શનથી વિશ્વભરમાં નામના મેળવી હતી. જોકે, આશ્ચર્યની વાત એ છે કે કેટલાક મહાન ક્રિકેટરોને ભારતીય ધરતી પર રમવાની તક ક્યારેય મળી નહોતી. ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેનથી લઈને વેસ્ટ ઈન્ડિઝના કર્ટલી એમ્બ્રોઝ સુધીના ખેલાડીઓ ભારત સામે રમ્યા હોવા છતાં ભારતીય મેદાનો પર પગ મૂક્યો નહોતો.

વિશ્વ ક્રિકેટના સૌથી મહાન બેટ્સમેન ડોન બ્રેડમેનનું નામ આ યાદીમાં સૌથી ઉપર આવે છે. બ્રેડમેને 52 ટેસ્ટમાં 6996 રન અને 29 સદી નોંધાવી હતી. ભારત સામે પણ તેમનો રેકોર્ડ શાનદાર રહ્યો હતો, પરંતુ તેમની તમામ મેચો ઓસ્ટ્રેલિયામાં રમાઈ હતી. 1953માં તેઓ ઈંગ્લેન્ડ જતાં સમયે કોલકાતા એરપોર્ટ પર માત્ર થોડા સમય માટે રોકાયા હતા.

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર ડેનિસ લિલી પોતાની ઝડપ અને આક્રમક બોલિંગ માટે જાણીતા હતા. તેમણે 70 ટેસ્ટમાં 355 વિકેટ ઝડપી હતી. ભારત સામે પણ તેમણે જોરદાર પ્રદર્શન કર્યું, પરંતુ ભારતીય પિચો પર તેમની ખતરનાક બોલિંગ ક્યારેય જોવા મળી નહીં. લિલી ભારતમાં એક પણ મેચ રમ્યા નહીં. તે સમયના બેટ્સમેનો માટે લિલીનો સામનો કરવો ખૂબ જ મુશ્કેલ હતો.

ગ્રેગ ચેપલને ઓસ્ટ્રેલિયાના સૌથી ક્લાસિક બેટ્સમેનોમાં ગણવામાં આવે છે. તેમણે 87 ટેસ્ટમાં 7110 રન અને 24 સદી નોંધાવી હતી. ભારત સામે તેમનો દેખાવ શાનદાર રહ્યો હતો, છતાં તેમની તમામ મેચો ઓસ્ટ્રેલિયામાં જ યોજાઈ હતી. પરિણામે, ભારતીય ચાહકો તેમને પોતાના મેદાનો પર રમતા જોઈ શક્યા નહીં.

વિકેટકીપર રોડની માર્શ પણ આ યાદીમાં સામેલ છે. તેમણે 96 ટેસ્ટમાં 343 કેચ અને 12 સ્ટમ્પિંગ કર્યા હતા. તેમની વિકેટકીપિંગ કુશળતા વિશ્વભરમાં પ્રસિદ્ધ હતી. રોડની માર્શ ભારત સામે રમ્યા પણ તેઓ ક્યારેય ભારતીય મેદાનો પર રમ્યા નહીં, જેના કારણે ભારતીય દર્શકો તેમના લાઈવ પ્રદર્શનથી વંચિત રહ્યા.

વેસ્ટ ઈન્ડિઝના ખતરનાક ફાસ્ટ બોલર કર્ટલી એમ્બ્રોઝે 98 ટેસ્ટમાં 405 વિકેટ લઈને વિશ્વ ક્રિકેટમાં પોતાની આગવી ઓળખ બનાવી હતી. તેમની હાઈટ, સ્પીડ અને બાઉન્સ બેટ્સમેનો માટે મોટો ખતરો હતી. ભારત સામે નવ ટેસ્ટ રમ્યા હોવા છતાં એક પણ મેચ ભારતીય ભૂમિ પર ન રમતા ભારતીય ચાહકો તેમની ઘાતક બોલિંગ લાઈવ જોઈ શક્યા નહીં. (PC:PTI/X/ESPN)
Breaking News: ગુજરાતના સ્ટાર ખેલાડીઓ રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને ટીમ ઈન્ડિયામાંથી કેમ કરવામાં આવ્યા બહાર?
