T20 વર્લ્ડ કપ પછી પણ ટીમ ઈન્ડિયાને આરામ નથી, 3 હોમ શ્રેણીનું શેડ્યૂલ BCCIએ કર્યું જાહેર
ટીમ ઈન્ડિયા હાલમાં T20 વર્લ્ડ કપ 2024માં વ્યસ્ત છે, જ્યાં તે ખિતાબના દુકાળને ખતમ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે. આવું થશે કે નહીં તે તો આગામી દિવસોમાં ખબર પડશે, પરંતુ વર્લ્ડ કપ પછી પણ ટીમ ઈન્ડિયાને આરામ નહીં મળે, આ પછી પણ રોહિત શર્મા અને તેની ટીમ ખૂબ જ વ્યસ્ત રહેશે. ખાસ કરીને તેની હોમ સિઝનમાં. ટીમ ઈન્ડિયાએ ત્રણેય ફોર્મેટમાં મહત્વપૂર્ણ શ્રેણી રમવાની છે અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેનું શેડ્યૂલ પણ જાહેર કર્યું છે.

T20 વર્લ્ડ કપની ફાઈનલ 29 જૂને રમાશે. વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયા સૌથી પહેલા ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે, જ્યાં 6 જુલાઈથી 14 જુલાઈ વચ્ચે 5 T20 મેચ રમવાની છે. આ પછી ટીમ શ્રીલંકા જશે જ્યાં વનડે અને T20 સિરીઝ રમશે.

શ્રીલંકા સિરીઝ બાદ ભારતીય ટીમની હોમ સિરીઝ શરૂ થશે, જે સપ્ટેમ્બરથી ચાલુ થશે અને અને ફેબ્રુઆરી સુધી ચાલશે. ટીમ ઈન્ડિયા આ દરમિયાન બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની યજમાની કરશે.

ટીમ ઈન્ડિયા આ ટીમો સામે કુલ 5 ટેસ્ટ મેચ રમશે, જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-2025નો ભાગ છે. આ સિવાય ભારતીય ટીમ 8 T20 મેચ અને પછી 3 ODI મેચ પણ રમશે, જે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા રમાશે.

પહેલા ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશની યજમાની કરશે, જેમાં 2 ટેસ્ટ અને 3 T20 મેચ રમવાની છે. ત્યારબાદ ન્યુઝીલેન્ડની ટીમ ભારત આવશે અને બંને ટીમો વચ્ચે 3 ટેસ્ટ મેચ રમાશે. ત્યારબાદ જાન્યુઆરીમાં ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવશે. બંને ટીમો વચ્ચે 3 અઠવાડિયામાં 5 T20 અને 3 ODI રમાશે.

ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સિરીઝ વચ્ચે ટીમ ઈન્ડિયા નવેમ્બર-ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પણ જશે, જ્યાં તેમને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમવાની છે. આ વખતે આ ટેસ્ટ સિરીઝ 5 મેચની હશે.






































































