ખાનગી ક્લિનિકો પર સરકારની લાલ આંખ: ડોક્ટરની ફી થી લઈને ડિગ્રી સુધીની વિગતો હવે ડિસ્પ્લે કરવી પડશે, જાણો નવો ડ્રાફ્ટ શું છે?
શું તમે પણ ડોક્ટરની ફી અને લાયકાત પૂછતા ગભરાવ છો? હવે ચિંતા છોડો. કેન્દ્ર સરકાર એક એવો નિયમ લાવી રહી છે જેનાથી ક્લિનિકમાં પ્રવેશતા જ તમને તમામ વિગતો મળી જશે. સરકારના આ નવા પગલાથી દર્દીઓને કેવી રીતે ફાયદો થશે, જાણો અહીં.

કેન્દ્ર સરકાર ખાનગી ક્લિનિક અને ડોક્ટરોની સેવાઓમાં મોટી પારદર્શકતા લાવવા માટે કમર કસી રહી છે. નવા ડ્રાફ્ટ મુજબ, હવે ડોક્ટરોએ પોતાની મનમાની છોડીને દર્દીઓને પાયાની માહિતી આપવી પડશે. આ ફેરફાર માત્ર ફી પૂરતો મર્યાદિત નથી, પરંતુ ક્લિનિકની સુવિધાઓને લઈને પણ મોટા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે.

પૂછ્યા વગર જ ખબર પડી જશે તમામ વિગતો: અત્યાર સુધી દર્દીઓએ ડોક્ટરની ફી કે તેમની ડિગ્રી વિશે પૂછપરછ કરવી પડતી હતી. પરંતુ હવે ક્લિનિકમાં ડોક્ટરની યોગ્યતા, તેમનો રજીસ્ટ્રેશન નંબર અને સર્વિસનો સમય સ્પષ્ટપણે ડિસ્પ્લે કરવો પડશે. સૌથી મહત્વની વાત એ છે કે આ માહિતી અંગ્રેજીની સાથે સ્થાનિક ભાષામાં પણ લખવી પડશે, જેથી સામાન્ય માણસ પણ સમજી શકે.

ફી નું સસ્પેન્સ ખતમ: ખિસ્સા મુજબ કરાવો ઈલાજ: ઘણીવાર ઈલાજ પછી જ્યારે બિલ આવે ત્યારે દર્દીના પરિજનો ચોંકી જતા હોય છે. હવે સરકારે પ્રસ્તાવ મૂક્યો છે કે તમામ ફી સ્ટ્રક્ચર પહેલાથી જ પ્રદર્શિત કરવામાં આવે. આનાથી દર્દીના પરિવારજનોને નિર્ણય લેવામાં સરળતા રહેશે કે તેઓ ત્યાં ઈલાજ કરાવવા માંગે છે કે નહીં.

ક્લિનિકની સાઈઝ અને સુવિધાઓ પણ થશે ફિક્સ: નવા ડ્રાફ્ટમાં માત્ર કાગળ પરની વિગતો જ નહીં, પણ ભૌતિક સુવિધાઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે: કન્સલ્ટેશન રૂમ: ડોક્ટરના કેબિનનો લઘુત્તમ આકાર 70 ચોરસ ફૂટ હોવો જોઈએ. વેઈટિંગ એરિયા: રિસેપ્શન અને દર્દીઓને બેસવા માટે અલગ વ્યવસ્થા હોવી અનિવાર્ય છે. બેડની વ્યવસ્થા: જો કોઈ ક્લિનિક દર્દીને થોડા કલાકો માટે દાખલ કરે છે, તો પ્રતિ બેડ ઓછામાં ઓછી 65 ચોરસ ફૂટ જગ્યા આપવી પડશે. બુનિયાદી સુવિધાઓ: ચોખ્ખું પાણી, વેન્ટિલેશન, યોગ્ય લાઈટિંગ અને લપસી ન પડાય તેવું (ફિસલન-રહિત) ફ્લોરિંગ પણ ફરજિયાત રહેશે.

ઈમરજન્સી દવાઓનો સ્ટોક અનિવાર્ય: માત્ર ઈમારત જ નહીં, પણ જીવ બચાવવા માટેની તૈયારીઓ પણ ચકાસવામાં આવશે. દરેક ક્લિનિકમાં હાર્ટ એટેક, એલર્જી, ગભરામણ અને ખેંચ (દૌરા) જેવી સ્થિતિ માટેની ઈમરજન્સી દવાઓ રાખવી પડશે.

જનતાના સૂચનો બાદ અમલીકરણ: સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ નવા ડ્રાફ્ટ પર રાજ્યો, મેડિકલ સંસ્થાઓ અને સામાન્ય જનતા પાસે સૂચનો માંગ્યા છે. આ નિયમો લાગુ થયા પછી ખાનગી પ્રેક્ટિસ કરતા ડોક્ટરો અને હોસ્પિટલોમાં દર્દીઓનું શોષણ અટકશે તેવી પૂરેપૂરી સંભાવના છે.
Toll Plaza Update: હાઈવે પરથી હવે ‘સુસવાટા’ મારતી નીકળશે ગાડીઓ! દેશનું પહેલું બેરિયર-લેસ ટોલ પ્લાઝા શરૂ, જાણો નવો ટેક્સ દર
