CM અરવિંદ કેજરીવાલે આગામી મુખ્યમંત્રી તરીકે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો છે. તમામ ધારાસભ્યોએ ઉભા થઈને આ પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો. આતિશીને AAP દિલ્હી લેજિસ્લેટિવ પાર્ટીના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
કેજરીવાલે રવિવારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતા બધાને ચોંકાવી દીધા હતા અને રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, તેઓ 2 દિવસ પછી મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેશે. તેમણે એમ પણ કહ્યું કે, માત્ર તેઓ જ નહીં પરંતુ મનીષ સિસોદિયા પણ મુખ્યમંત્રી નહીં બને. આ પછી દિલ્હીના નવા મુખ્ય પ્રધાનને લઈને અટકળોનો સમયગાળો શરૂ થયો હતો.
આ પહેલા કેજરીવાલ મંગળવારે રાજીનામું આપે તેવી શક્યતા વચ્ચે સવારે 11.30 કલાકે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી હત, જેમાં નવા મુખ્યમંત્રીના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. આજે જ કેજરીવાલ સાંજે 4.30 કલાકે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને મળશે અને આ દરમિયાન તેઓ રાજીનામું આપે તેવી શક્યતા છે.
અરવિંદ કેજરીવાલે રાજીનામું આપવાના કર્યો છે નિર્ણય
AAP દ્વારા આપવામાં આવેલી માહિતી આગામી સપ્તાહે 26-27 સપ્ટેમ્બરે દિલ્હી વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવશે. અગાઉ પાર્ટી સાથે સંકળાયેલા એક અધિકારીએ કહ્યું હતું કે, “નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત આજે બપોરે 12 વાગ્યે પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક બાદ કરવામાં આવશે.”
અરવિંદ કેજરીવાલે 2 દિવસ પહેલા રવિવારે સીએમ પદ પરથી રાજીનામું આપવાના નિર્ણયની જાહેરાત કરતા કહ્યું હતું કે, તેઓ હવે સીએમની ખુરશી પર ત્યારે જ બેસશે જ્યારે જનતા તેમને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપશે.