1 લિટર પાણી ફિલ્ટર કરવા માટે RO કેટલા લિટર પાણીનો બગાડ કરે છે ? જાણી ને ચોંકી જશો…
RO સિસ્ટમ શુદ્ધ પાણી પૂરું પાડે છે, પણ 1 લિટર શુદ્ધ પાણી માટે 2-3 લિટર પાણી બગાડે છે. આ પાણીનો બગાડ ભારતમાં પાણીની અછત જોતાં ચિંતાજનક છે.

આજકાલ લગભગ દરેક ઘરમાં રિવર્સ ઓસ્મોસિસ એટલે કે RO સિસ્ટમનો ઉપયોગ થવા લાગ્યો છે. શહેરો જ નહીં, ગામડાઓમાં પણ લોકો શુદ્ધ પીવાનું પાણી મેળવવા માટે RO ફિલ્ટર પર નિર્ભર બની રહ્યા છે. આ ટેકનોલોજી પાણીમાંથી અશુદ્ધિઓ દૂર કરીને સલામત પાણી પૂરું પાડે છે, પરંતુ તેની સાથે જોડાયેલી એક મોટી ચિંતા છે, પાણીનો બગાડ.

ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે આખરે 1 લિટર પીવાલાયક પાણી મેળવવા માટે RO મશીન કેટલું પાણી બગાડે છે? સામાન્ય રીતે ઘરેલુ RO સિસ્ટમ 1 લિટર શુદ્ધ પાણી બનાવવા માટે લગભગ 2 થી 3 લિટર પાણી બગાડે છે. એટલે કે કુલ 3 થી 4 લિટર પાણી વપરાય છે, જેમાંથી ફક્ત 1 લિટર જ પીવા યોગ્ય બને છે.

કેટલાક જૂના અથવા ઓછી ગુણવત્તાવાળા RO મશીનોમાં આ સ્થિતિ વધુ ખરાબ હોય છે. આવા કિસ્સામાં, 1 લિટર શુદ્ધ પાણી માટે 4 થી 5 લિટર પાણી બગાડાય છે. આથી સમજાય છે કે ટેકનોલોજી જેટલી ઉપયોગી છે, એટલી જ સંવેદનશીલ રીતે તેનો ઉપયોગ કરવો જરૂરી છે.

RO સિસ્ટમ કેવી રીતે કામ કરે છે તે સમજવું પણ મહત્વનું છે. આ ટેકનોલોજીમાં પાણીને એક ખાસ મેમ્બ્રેનમાંથી પસાર કરવામાં આવે છે, જે અશુદ્ધિઓને અટકાવે છે અને શુદ્ધ પાણીને અલગ કરે છે. આ પ્રક્રિયા દરમિયાન ગંદકી અને અશુદ્ધિઓને દૂર કરવા માટે વધારાનું પાણી વપરાય છે, જે પછી વેસ્ટ વોટર તરીકે બહાર નીકળે છે.

ભારત જેવા દેશમાં, જ્યાં પાણીની અછત પહેલેથી જ ગંભીર સમસ્યા છે, ત્યાં RO સિસ્ટમ દ્વારા થતો પાણીનો બગાડ ચિંતાજનક બની શકે છે. જો દરેક ઘર RO મશીનનો ઉપયોગ કરે અને બગાડેલા પાણીનો કોઈ ઉપયોગ ન કરે, તો લાખો લિટર પાણી વ્યર્થ જઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે દરેક જગ્યાએ RO સિસ્ટમ લગાવવી જરૂરી નથી. જો તમારા વિસ્તારનું પાણી TDS સ્તર મુજબ પહેલેથી જ યોગ્ય હોય, તો UV અથવા UF ફિલ્ટર પણ પૂરતા સાબિત થઈ શકે છે. RO સિસ્ટમ ખાસ કરીને તે વિસ્તારોમાં વધુ ઉપયોગી છે, જ્યાં પાણીમાં ઓગળેલા અશુદ્ધિઓનું પ્રમાણ વધારે હોય છે.

એક સકારાત્મક બાબત એ છે કે ROમાંથી નીકળતું વેસ્ટ પાણી સંપૂર્ણપણે નકામું નથી. તેનો ઉપયોગ ઘરગથ્થુ કામોમાં સરળતાથી કરી શકાય છે, જેમ કે ફ્લોર સાફ કરવા, વાસણ ધોવા, કપડાં ધોવા અથવા છોડને પાણી આપવા માટે. આ રીતે પાણીનો બગાડ ઘટાડવો શક્ય બને છે.

બજારમાં હવે નવી ટેકનોલોજી સાથેના અદ્યતન RO સિસ્ટમ્સ પણ ઉપલબ્ધ છે, જે ઓછું પાણી બગાડે છે. કેટલાક મોડલ્સ 1:1 અથવા 1:2 ના ગુણોત્તર પર કામ કરે છે, એટલે કે શુદ્ધ અને બગાડેલા પાણીનું પ્રમાણ લગભગ સમાન રહે છે. કેટલીક કંપનીઓ તો "ઝીરો વોટર વેસ્ટ"નો દાવો પણ કરે છે, પરંતુ વાસ્તવમાં સંપૂર્ણપણે પાણીનો બગાડ અટકાવવો હજી શક્ય નથી. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. ફિલ્ટરના ટેકનિકલ પેરમીટર અલગ અલગ હોય શકે છે.
થર્મોસમાં રાખેલી ચા કેટલા સમય સુધી સારી રહે ? તમે નહીં જાણતા હોવ આ વાત
