Rooftop Wind Energy : ગુજરાતમાં હવે ઘરની છત પર સોલાર પેનલની જેમ રૂફટોપ પવનચક્કી વડે ઉત્પન કરી શકાશે વીજળી, જાણો
ગુજરાત સરકારે રૂફટોપ પવન ઉર્જા માટે નવી નીતિ જાહેર કરી છે, જે ખાનગી મિલ્કતો પર મીની/માઇક્રો ટર્બાઇન સ્થાપિત કરવાની મંજૂરી આપે છે.

ગુજરાત સરકારે પોતાની નવી નવીનીકરણીય ઉર્જા નીતિ હેઠળ રાજ્યમાં રૂફટોપ પવન ઉર્જા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ નીતિ મુજબ હવે ખાનગી મિલ્કતોની છત પર મીની અને માઇક્રો વિન્ડ ટર્બાઇન સ્થાપિત કરી સ્થળ પર ઉર્જાનો ઉપયોગ તેમજ મર્યાદિત માત્રામાં ગ્રીડમાં વીજળી નિકાસ કરી શકાશે.

આ નીતિનું અનાવરણ 25 ડિસેમ્બરના રોજ રાજ્યની રાજધાની ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સંકલિત નવીનીકરણીય ઉર્જા નીતિનો મુખ્ય હેતુ 2030 સુધી સ્વચ્છ ઉર્જાના વિસ્તરણ માટે એક વ્યાપક માળખું ઊભું કરવાનો અને ગુજરાતને એક સ્પર્ધાત્મક નવીનીકરણીય ઉર્જા હબ તરીકે સ્થાપિત કરવાનો છે. રાજ્યએ 2030 સુધીમાં 100 ગીગાવોટથી વધુ નવીનીકરણીય ઉર્જા ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્ય રાખ્યો છે.

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GEDA)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે હાલ રૂફટોપ પવન ઉર્જા ક્ષેત્રમાં મર્યાદિત સંખ્યામાં ઉત્પાદકો કાર્યરત છે, જેમાં મોટાભાગે સ્ટાર્ટઅપ્સનો સમાવેશ થાય છે. “આ નીતિ આગામી પાંચ વર્ષ માટે લાગુ રહેશે. હાલમાં કેટલાક સ્ટાર્ટઅપ્સ બજારમાં સક્રિય છે અને પાયલોટ પ્રોજેક્ટ્સ પણ અમલમાં મૂકવામાં આવ્યા છે. જો કે સ્થાપનોની સંખ્યા હજુ મર્યાદિત છે,” તેમણે જણાવ્યું.

તેમણે વધુમાં જણાવ્યું કે રૂફટોપ પવન ઉર્જા પ્લાન્ટ્સ માટે પ્રતિ કિલોવોટ ઉત્પાદન ક્ષમતા પાછળ અંદાજે ₹1 લાખનો ખર્ચ થાય છે, જે સૌર ઊર્જા સિસ્ટમ્સની તુલનામાં વધુ છે. જોકે, પવન ઉર્જા સિસ્ટમ્સનો ઉપયોગ દર વધારે હોવાની શક્યતા છે. “પવન ઉર્જા સિસ્ટમ્સ લગભગ 35 ટકા ઉત્પાદન આપી શકે છે, જ્યારે સૌર પેનલ્સમાં આ દર લગભગ 18 થી 20 ટકા જેટલો રહે છે. પવન અને સૌર રૂફટોપ હાઇબ્રિડ સિસ્ટમ્સ ખર્ચ અને ઉત્પાદન બંનેને સંતુલિત કરવા માટે અસરકારક સાબિત થઈ શકે છે,” અધિકારીએ ઉમેર્યું.

સરકારની હાલની નીતિ સબસિડી પર કેન્દ્રિત નથી, પરંતુ ભવિષ્યની તૈયારી પર ભાર મૂકવામાં આવ્યો છે. “હાલમાં નીતિનો ફોકસ સબસિડી પર નહીં પરંતુ નોંધણી પ્રક્રિયા સરળ બનાવવા, સિસ્ટમ્સને સક્ષમ બનાવવા અને લાંબા ગાળાની સંભાવનાઓ તૈયાર કરવા પર છે,” અધિકારીએ જણાવ્યું.

ગુજરાતમાં રૂફટોપ અને નાના પાયે પવન ઉર્જા પ્રોજેક્ટ્સ પર કામ કરતી પુણે સ્થિત કંપની રેવાયુ એનર્જીએ પણ રાજ્યમાં કેટલાક પાયલોટ પ્રોજેક્ટ્સ અમલમાં મૂક્યા છે. કંપનીએ સુરત અને પોરબંદર જેવા શહેરોમાં રૂફટોપ પવન અને પવન-સૌર હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ સ્થાપિત કર્યા છે, જે બંને ગ્રીડ સાથે જોડાયેલા છે.

રેવાયુ એનર્જીના પ્રોજેક્ટ એક્ઝિક્યુશન હેડ શ્રવણ કુમાર વર્માએ જણાવ્યું કે પાયલોટ પ્રોજેક્ટ્સના ઇન્સ્ટોલેશન, કમિશનિંગ અને ટેસ્ટિંગ માટે પ્રતિ કિલોવોટ ખર્ચ લગભગ ₹2 લાખ થયો હતો. જોકે, નવી ગુજરાત સરકારની નીતિ અમલમાં આવવાથી આ ખર્ચ પ્રતિ કિલોવોટ ₹80,000 થી ₹90,000 સુધી ઘટી શકે છે, જે રૂફટોપ પવન ઉર્જાને વધુ વ્યાવસાયિક અને વ્યાપક બનાવશે.
Solar Panels Room Heater : કેવી રીતે કામ કરે છે સોલાર રૂમ હીટર ?
