Gig Workers : હવે ગિગ વર્કર્સને મળશે કાનૂની ઓળખ, પેન્શનથી લઈને અનેક સુરક્ષા લાભો માટે સરકારે ઉઠાવ્યું મહત્વપૂર્ણ પગલું
સરકારે સ્વિગી, ઝોમેટો, ઉબેર અને અન્ય એપ-આધારિત પ્લેટફોર્મ્સને ઇ-શ્રમ પોર્ટલ પર ગિગ કામદારોની નોંધણી ફરજિયાત બનાવવાનો નિર્દેશ આપ્યો છે. આનાથી લાખો કામદારોને પેન્શન, વીમો અને અન્ય સામાજિક સુરક્ષા લાભો મેળવવાનો માર્ગ મોકળો થશે.

સરકારે સ્વિગી, ઝોમેટો, ઉબેર, ઓલા, રેપિડો, બ્લિંકિટ અને ઝેપ્ટો જેવા એપ-આધારિત પ્લેટફોર્મ્સને ઇ-શ્રમ પોર્ટલ પર તેમના ગિગ કામદારોની નોંધણી કરાવવા અને 21 જૂન સુધીમાં એકીકરણ પ્રક્રિયા પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. આનાથી લાખો કામદારોને સામાજિક સુરક્ષા લાભો પૂરા પાડવાનો માર્ગ મોકળો થશે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (TOI) ના એક અહેવાલ મુજબ, આ નિર્દેશ ગયા મહિને 'કોડ ઓન સોશિયલ સિક્યુરિટી' હેઠળ શ્રમ મંત્રાલય દ્વારા સૂચિત નિયમોને અનુસરે છે. આ નિયમોમાં ગિગ અને પ્લેટફોર્મ કામદારોની 45 દિવસની અંદર નોંધણી જરૂરી છે. આ પહેલનો મુખ્ય હેતુ ડિજિટલ પ્લેટફોર્મ્સ સાથે જોડાયેલા કામદારોનો વિશાળ ડેટાબેઝ તૈયાર કરવાનો છે. જેથી સરકાર આરોગ્ય વીમા, જીવન વીમા અને પેન્શન જેવી કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી શકે.

રજિસ્ટ્રેશન પ્રક્રિયા દ્વારા ગિગ વર્કર્સને એક યુનિક નેશનલ આઈડી પણ આપવામાં આવશે. જેનાથી તેમની ઓળખ અને સેવાઓની પોર્ટેબિલિટી વધુ મજબૂત બનશે. આ ક્ષેત્રને વધુ સત્તાવાર ઓળખ પણ મળશે. કારણ કે હાલમાં તે મોટાભાગે અસંગઠિત અર્થતંત્રનો ભાગ ગણાય છે.

શ્રમ મંત્રાલયે એગ્રીગેટર કંપનીઓને ચેતવણી આપી છે કે જો તેઓ 21 જૂનની સમયમર્યાદા સુધી પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તો તેમના સામે સોશિયલ સિક્યુરિટી કોડ હેઠળ દંડ અથવા અન્ય કાર્યવાહી થઈ શકે છે. નવા સૂચિત નિયમો અનુસાર, ગિગ અથવા પ્લેટફોર્મ વર્કરને એવી વ્યક્તિ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે વર્ષમાં ઓછામાં ઓછા 90 દિવસ એક જ એગ્રીગેટર સાથે કામ કરે છે, અથવા બહુવિધ પ્લેટફોર્મ પર કુલ 120 દિવસ કામ કરે છે.

એગ્રીગેટર્સ માટે હવે એ પણ ફરજિયાત બનાવાયું છે કે તેઓ કેન્દ્રિય પોર્ટલ મારફતે નવા જોડાતા અને કામ છોડતા વર્કર્સની માહિતી રિયલ-ટાઇમ અથવા દૈનિક ધોરણે અપડેટ કરે.

રિપોર્ટ અનુસાર, સરકાર લાંબા સમયથી પ્લેટફોર્મ કંપનીઓ પર વર્કર્સનો ડેટા શેર કરવા અને રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં સહયોગ આપવા માટે દબાણ કરી રહી હતી. પરંતુ તમામ કંપનીઓમાં આ બાબતે સમાન પ્રગતિ જોવા મળી નહોતી.

ઇન્ડિયન ફેડરેશન ઓફ એપ-બેઝ્ડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ (IFAT) ના સહ-સ્થાપક શેખ સલાઉદ્દીને TOI ને જણાવ્યું હતું કે ઘણા એગ્રીગેટર્સ અગાઉના નિર્દેશોનો ગંભીરતાથી અમલ કરવામાં નિષ્ફળ ગયા છે. તેમણે કહ્યું કે એગ્રીગેટર્સે જવાબદારીપૂર્વક કાર્ય કરવું જોઈએ અને કાયદાનું પાલન કરવું જોઈએ. વધુ વિલંબ થવો જોઈએ નહીં. કામદારો તેમની કલ્યાણકારી યોજનાઓ માટે કાયમ રાહ જોઈ શકતા નથી.
આ પણ વાંચો, Breaking News: ODI વર્લ્ડ કપ 2027 નું શેડ્યૂલ નક્કી થઈ ગયું! 46 દિવસ ચાલશે ક્રિકેટનો મહાકુંભ
