Breaking News: નવસારીમાં પૂર ઓસરતા જ ‘ભયાનક તારાજી’; 17 લોકોના મોત, અનેક ઘરો જમીનદોસ્ત અને 500 પરિવારો બેઘર – જુઓ Video
નવસારી જિલ્લામાં પૂર ઓસર્યા બાદ ભયાવહ તારાજી સર્જાઈ છે. સોનવાડી જેવા ગામોમાં અનેક મકાનો ધરાશાયી થયા છે, પરિવારો ઘરવિહોણા બન્યા છે. ખેતી અને પશુપાલનને ભારે નુકસાન પહોંચ્યું છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 17 લોકોના મોત થયા છે, જ્યારે તંત્ર દ્વારા રાહત અને સર્વેની કામગીરી શરૂ કરાઈ છે.
નવસારી જિલ્લામાં પૂર ઓસર્યા બાદ વિનાશના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. સોનવાડી સહિતના અનેક ગામોમાં પાણી ઓસરતા ઘરોમાં ગળાડૂબ પાણી ભરાવાના કારણે ઘરવખરી સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે. અનેક મકાનો ધરાશાયી થતાં સ્થાનિક પરિવારો ઘરવિહોણા બન્યા છે.
આ પૂરના કારણે ખેતી અને પશુપાલનને પણ મોટાપાયે નુકસાન પહોંચ્યું છે, જેના લીધે ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લામાં પૂર સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક 17 પર પહોંચી ગયો છે, જે એક અત્યંત દુઃખદ સમાચાર છે. ગણદેવીમાંથી 8 અને બિલીમોરામાંથી 9 મૃતદેહ મળી આવ્યા છે, જેમાં કરંટ લાગવાથી કે સાપ કરડવાથી જીવ ગુમાવનારાનો સમાવેશ થાય છે.
પૂર બાદ સમગ્ર જિલ્લામાં શોકનું વાતાવરણ પ્રસરી ગયું છે. 500 થી વધુ પરિવારો હજુ પણ ટેન્ટમાં રહેવા મજબૂર બન્યા છે. તંત્ર દ્વારા રાહત અને સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા ઝડપથી સર્વે કરીને નુકસાનનો અંદાજ મેળવી સહાય જાહેર કરવા માટે કાર્યવાહી ચાલી રહી છે.

