Asia Cup 2025 : જસપ્રીત બુમરાહ એશિયા કપમાં નહીં રમે ? સ્ટાર ફાસ્ટ બોલર વિશે આવ્યા મોટા સમાચાર
આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં રમાશે અને ભારતીય ટીમ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ આ ટુર્નામેન્ટમાં પ્રવેશ કરશે. 9 સપ્ટેમ્બરથી શરૂ થતી આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી ઓગસ્ટના ત્રીજા અઠવાડિયામાં થવાની શક્યતા છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના રમવા અંગે પણ સસ્પેન્સ યથાવત છે.

એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત પહેલા જ ઘણા ખેલાડીઓના નામની ચર્ચા થઈ રહી છે. આમાં સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું નામ પણ સામેલ છે, જે ઈંગ્લેન્ડ પ્રવાસ પર પોતાની ફિટનેસ અને વર્કલોડ મેનેજમેન્ટને કારણે સતત વિવાદોમાં રહ્યો છે.

ઈંગ્લેન્ડમાં ફક્ત 3 ટેસ્ટ મેચ રમવાને કારણે, એવું માનવામાં આવી રહ્યું હતું કે બુમરાહને એશિયા કપમાંથી પણ બ્રેક આપવામાં આવી શકે છે, પરંતુ એવું લાગે છે કે પસંદગી સમિતિના ઈરાદા અલગ છે.

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પસંદગીકારો બુમરાહને ટુર્નામેન્ટમાં મોકલવાના પક્ષમાં છે. બુમરાહ 9 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હશે. બુમરાહને ટુર્નામેન્ટમાં મોકલવાનું મોટું કારણ એશિયા કપનું ફોર્મેટ છે.

આવતા વર્ષે યોજાનારા T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં રમાશે. ટૂંકા ફોર્મેટ, તેનું મહત્વ અને ઓછી મેચોને ધ્યાનમાં લેતા, બુમરાહની પસંદગી નિશ્ચિત છે. ઉપરાંત, ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા બુમરાહને દોઢ મહિનાનો આરામ પણ મળ્યો છે.

એટલું જ નહીં, એશિયા કપને કારણે બુમરાહને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાંથી આરામ આપવામાં આવી શકે છે. એશિયા કપની ફાઈનલ 28 સપ્ટેમ્બરે યોજાશે, જ્યારે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ 2 ઓક્ટોબરથી શરૂ થશે.

પસંદગી સમિતિ 19 ઓગસ્ટ સુધીમાં એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી શકે છે. સૂર્યા, હાર્દિક, બુમરાહ સહિત સ્ટાર ખેલાડીઓના ફિટનેસ ટેસ્ટ બાદ જ ટીમની પસંદગી થશે. એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન UAEમાં યોજાશે. (All Photo Credit : PTI / Getty)
એશિયા કપમાં ભારતને ફરી વાર ચેમ્પિયન બનાવવા સૂર્યા, હાર્દિક, બુમરાહ સહિત સ્ટાર ખેલાડીઓ તૈયાર છે, જસપ્રીત બુમરાહ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
