ભાવ વધારા બાદ હવે બુકિંગ પર પણ કાતર, શું દેશમાં ગેસની અછત સર્જાશે?
પેટ્રોલિયમ મંત્રાલયે LPG સિલિન્ડર બુકિંગ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. ગેસ સપ્લાયને સંતુલિત રાખવા માટે e-KYC અને ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ (DAC) પણ અનિવાર્ય કરવામાં આવ્યા છે. જાણો શું છે નવી વ્યવસ્થા.

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નવા નિર્દેશો મુજબ, હવે ગ્રાહકોએ બે સિલિન્ડર વચ્ચે ઓછામાં ઓછો 21 દિવસનો તફાવત રાખવો પડશે. અગાઉ આ સમયગાળો 15 દિવસનો હતો. તેલ કંપનીઓએ તેમના સોફ્ટવેરમાં ફેરફાર કરી દીધા છે, જેથી હવે 21 દિવસ પૂર્ણ થયા પહેલા ઓનલાઇન બુકિંગ કરવું શક્ય બનશે નહીં. આ નિયમનો કડક અમલ કરવા તમામ ગેસ એજન્સીઓને સૂચના આપી દેવામાં આવી છે.

DAC કોડ આપવો હવે ફરજિયાત: નવી વ્યવસ્થા હેઠળ, હવે ગેસ સિલિન્ડરની ડિલિવરી સમયે 'ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ' (DAC) આપવો અનિવાર્ય રહેશે. જ્યારે ગ્રાહક પોતાના મોબાઈલથી ગેસ બુકિંગ કરાવશે, ત્યારે તેના રજિસ્ટર્ડ નંબર પર એક OTP જેવો કોડ આવશે. જ્યારે ડિલિવરી મેન ઘરે સિલિન્ડર લઈને આવે, ત્યારે તેને આ કોડ આપવો પડશે, ત્યારબાદ જ સિલિન્ડર ગ્રાહકને સોંપવામાં આવશે.

e-KYC કરાવવું જરૂરી: LPG ડિસ્ટ્રિબ્યુટર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, હવે તમામ ગ્રાહકો માટે e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવી પણ ફરજિયાત બનાવવામાં આવી છે. આ પગલું ગેસના ગેરકાયદેસર વપરાશને રોકવા અને વાસ્તવિક ગ્રાહકો સુધી સુવિધા પહોંચાડવા માટે લેવામાં આવ્યું છે. વર્તમાન વૈશ્વિક ભૌગોલિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ગેસના પુરવઠાને સંતુલિત રાખવા આ નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.

ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: તેલ કંપનીઓએ સ્પષ્ટતા કરી છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ કે LPG ની કોઈ અછત નથી. તમામ ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નિયમિત સપ્લાય ચાલુ છે. ગ્રાહકોને ગભરાવાની જરૂર નથી, પરંતુ વ્યવસ્થા જાળવવા માટે નવા નિયમોનું પાલન કરવું જરૂરી છે.

દુરુપયોગ કરનારા સામે કડક કાર્યવાહી: કંપનીઓએ ગ્રાહકોને અપીલ કરી છે કે ઘરેલુ LPG સિલિન્ડરનો ઉપયોગ વ્યવસાયિક (કોમર્શિયલ) હેતુ માટે ન કરવો. જો કોઈ ગ્રાહક ઘરેલુ ગેસનો દુરુપયોગ કરતા પકડાશે, તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેનું કનેક્શન પણ કાપી શકાય છે.
રોકાણકારો સાવધાન! સોના-ચાંદી સાથે તાંબાના ભાવમાં ગાબડું; શું આ તેજી પહેલાની શાંતિ છે કે પછી મોટા ઘટાડાનો સંકેત?, વાંચવા માટે અહીં ક્લિક કરો
