પહેલા જ વરસાદે ‘તંત્રની કામગીરી’ ના ધજાગરા ઉડાડ્યા, વરસાદી પાણીમાં ગટરનું પાણી ભળતા લોકો મુશ્કેલીમાં
વડોદરા શહેરમાં પવન સાથે શરૂ થયેલા સામાન્ય વરસાદે જ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વડોદરા શહેરમાં પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. વરસાદી માહોલના કારણે શહેરના રાવપુરા, માંજલપુર અને ગોત્રી સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જો કે, આ સામાન્ય વરસાદની વચ્ચે જ શહેરના અનેક સ્થળોએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદને પગલે સયાજીગંજ પરશુરામ ભઠ્ઠાનું રેલવે ગરનાળું પાણી ભરાઈ જવાના કારણે બંધ કરી દેવું પડ્યું છે, જેના લીધે સ્થાનિક વાહનવ્યવહાર પર ભારે અસર પડી છે.
આ ઉપરાંત, વરસાદી પાણીની સાથે ગટરના પાણી ભળી જવાને કારણે સ્થાનિક લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રની આ પ્રકારની પ્રી-મોન્સૂન કામગીરી સામે વાહનચાલકોએ રોષે ભરાઈને ગંભીર આક્ષેપો કર્યા છે.
સ્થાનિકોનું કહેવું છે કે, ન માત્ર ચોમાસામાં પરંતુ દર થોડા સમયમાં ગટરની સમસ્યા યથાવત રહે છે. જો કે, હવે વરસાદી પાણી અને ગટરના પાણી એકબીજામાં ભળી જતાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સાથે જ આસપાસના વિસ્તારોમાં પણ દુર્ગંધનું પ્રમાણ વધતા રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. એવામાં હવે અવાર-નવાર પાણી ભરાઈ જવાની ઘટનાને લઈને તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.

