પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યાં છે ગુજરાતના 123 સહીત કુલ 194 ભારતીય માછીમારો
ભારત અને પાકિસ્તાન દર વર્ષે 1લી જાન્યુઆરી અને 1લી જુલાઈના રોજ પોતપોતાના દેશની જેલોમાં કેદ રહેલા એકબીજાના દેશના નાગરિકો અને માછીમારોની યાદી એકબીજાને સુપરત કરે છે.

પાકિસ્તાનની જેલમાં ગુજરાતના 123 માછીમારો સહીત દેશના કૂલ 194 માછીમારો કેદ છે. ગુજરાતના 123 કેદી પૈકી 33 માછીમારો તો 2021થી પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યાં છે. જ્યારે 68 માછીમારો 2022થી પાકિસ્તાનની જેલમાં બંધ છે. ગુજરાતના નવ માછીમારોને વર્ષ 2023 અને 13 માછીમારોને વર્ષ 2024માં પાકિસ્તાની સત્તાવાળાઓએ કેદ કર્યા હોવાની વિગતો, રાજ્યકક્ષાના કેન્દ્રીય વિદેશ પ્રધાન કિર્તીવર્ધનસિંહે, રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પુછેલા એક પ્રશ્નના જવાબ સ્વરૂપે જણાવ્યું હતું.
રાજ્યકક્ષાના વિદેશ પ્રધાને સાંસદ પરિમલ નથવાણીને જવાબ રૂપે જણાવ્યાનુસાર, ભારત અને પાકિસ્તાન દર વર્ષે 1લી જાન્યુઆરી અને 1લી જુલાઈના રોજ પોતપોતાના દેશની જેલોમાં કેદ રહેલા એકબીજાના દેશના નાગરિકો અને માછીમારોની યાદી એકબીજાને સુપરત કરે છે. પાકિસ્તાન દ્વારા ગત 1 જાન્યુઆરી, 2025ના રોજ અપાયેલી યાદીમાં, પાકિસ્તાને તેમની જેલમાં કેદ રહેલા 217 ભારતીય માછીમારો હોવાનું સ્વીકાર્યું હતું. આ યાદી અપાઈ ત્યાર બાદ એક ભારતીય માછીમારનું પાકિસ્તાનની જેલમાં અવસાન થયું છે અને 22 અન્ય ભારતીય માછીમારને મુક્ત કરીને ભારતને સોંપી દેવાયા છે.
રાજ્યકક્ષાના વિદેશ પ્રધાન કિર્તીવર્ધનસિંહે, રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના સવાલના જવાબ સ્વરૂપે આપેલા નિવેદનમાં ઉલ્લેખ કરાયો હતો કે, ભારતીય માછીમારોના કલ્યાણ, સુરક્ષા અને સલામતીને ભારત સરકાર સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારની અટકાયતના જેવા સમાચાર મળે કે તુરત ઈસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસ હરકતમાં આવી જાય છે. પાકિસ્તાન સરકાર પાસેથી આ માછીમારો સાથે ભારતીય રાજદૂતની મુલાકાતની માગણી કરાય છે તેમજ તેમને વહેલીતકે મુક્ત કરીને સ્વદેશ પરત મોકલાય તેની પણ વ્યવસ્થા કરાય છે.
કાનૂની સહાયતા સહિત ભારતીય માછીમારોને તમામ સંભવિત મદદ પહોંચાડાય છે. પાકિસ્તાન સરકાર સમક્ષ ભારતીય દૂતાવાસ દ્વારા સતત ભારતીય માછીમારોની વહેલીતકે મુક્તિ તેમજ સ્વદેશગમનનો મુદ્દો ઉઠાવાય છે. એટલું જ નહીં, આ મામલો સંપૂર્ણપણે માનવતાવાદી ધોરણે તેમજ જીવનનિર્વાહને અનુલક્ષીને ધ્યાનમાં લેવામાં આવે તેવો સંદેશો આપવામાં આવે છે.
‘ઈન્ડિયા-પાકિસ્તાન એગ્રિમેન્ટ ઓન કોન્સ્યુલર એક્સેસ 2008’માં પાકિસ્તાન દ્વારા ધરપકડ કરાયેલા ભારતીય માછીમારોની મુક્તિ અને સ્વદેશ પરત મોકલવાની પ્રક્રિયાની માર્ગદર્શિકા નિર્ધારિત કરાઈ છે. બંને દેશની હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોની બનેલી ‘ઈન્ડિયા-પાકિસ્તાન જ્યુડિશિયલ કમિટી ઓન પ્રિઝનર્સ’ દ્વારા કેદીઓ તેમજ માછીમારો સાથે માનવતાપૂર્ણ વ્યવહાર માટેનાં પગલાં ઉપરાંત તેમની વહેલીતકે મુક્તિની ભલામણ કરવામાં આવે છે. બંને દેશની સરકારોએ 2008ના વર્ષથી આ કમિટીની સ્થાપના કરી હતી. જેની અત્યાર સુધીમાં કુલ સાત વખત બેઠક યોજાઈ ચૂકી છે.
રાજ્યકક્ષાા વિદેશ પ્રધાને જવાબમાં જણાવ્યું હતુ કે, ભારત સરકારના માછીમારી વિભાગ, મત્સ્યોદ્યોગ, પશુ સંવર્ધન અને ડેરી મંત્રાલય દ્વારા માછીમારોના કલ્યાણ માટે વિવિધ ફ્લેગશીપ કાર્યક્રમોનું સંચાલન કરે છે. ગુજરાત સરકાર પણ કેદ કરાયેલા માછીમારોના પરિવારજનોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે રાહત યોજનાનું સંચાલન કરી રહી છે.
ગુજરાતના અન્ય મહત્વના સમાચાર વિગતે જાણવા માટે આપ અહીંયા ક્લિક કરો.