કલમ 370 નાબુદ થયા બાદ આતંકના ઓછાયામાંથી બહાર આવ્યું જમ્મુ કાશ્મીર, સ્થાયી શાંતિ તરફ આગળ
છેલ્લા ત્રણ દાયકાથી હિંસાથી પીડાતા જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)ના લોકો હવે આતંકવાદના ભૂતકાળમાંથી છૂટકારો મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.

છેલ્લા ત્રણ દાયકાથી હિંસાથી પીડાતા જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)ના લોકો હવે આતંકવાદના ભૂતકાળમાંથી છૂટકારો મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓ અનુસાર આતંકવાદીઓ મકબુલ બટ અને અફઝલ ગુરુની પુણ્યતિથિ પર બંધનું એલાન બિનઅસરકારક રહ્યું છે. ભારત સરકારનું ગૃહ મંત્રાલય પણ આ ઘટનાથી જમ્મુ-કાશ્મીરમાં કાયમી શાંતિના પુન:સ્થાપન માટેના શુભ સંકેત તરીકે જોઈ રહ્યું છે. સુરક્ષા એજન્સીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે 1984થી દર વર્ષે 11 જાન્યુઆરીએ મકબુલ બટની પુણ્યતિથિ પર જમ્મુ-કાશ્મીરમાં જનજીવન ઠપ્પ થઈ જતું હતું. એ જ રીતે 2013 પછી અફઝલ ગુરુની વર્ષગાંઠ પર 9 ફેબ્રુઆરીના દિવસે પણ આવું બન્યું હતું.
ઝડપથી મુખ્ય ધારામાં જોડાઈ રહ્યા છે કાશ્મીરીઓ
આ વખતે પણ JKLFએ 9 અને 11 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીર બંધનું એલાન કર્યું હતું અને શ્રીનગરના કેટલાક વિસ્તારોમાં હુર્રિયત કોન્ફરન્સના નામે છૂટાછવાયા પોસ્ટરો પણ લગાડવામાં આવ્યા હતા, પરંતુ કાશ્મીર ઘાટીમાં તેની કોઈ અસર દેખાઈ ન હતી. સુરક્ષા કારણોસર શ્રીનગરમાં જાહેર પરિવહન સેવાઓ બંધ કરવામાં આવી હતી, પરંતુ ખાનગી વાહનો ધરાવતા લોકો બિન્દાસપણે અવરજવર કરી રહ્યા હતા. ગૃહ મંત્રાલયને મળેલા અહેવાલમાં જણાવાયું છે કે શ્રીનગરમાં ઘણી જગ્યાએ દુકાનોના શટર બહારથી બંધ દેખાતા હતા પણ અંદરથી દુકાનદારો ગ્રાહકોને માલ સામાનની સપ્લાય કરી રહ્યા હતા.
જનતાના મૂડમાં પરિવર્તન એ શુભ સંકેત
ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર મકબુલ બટ અને અફઝલ ગુરુની વર્ષગાંઠ પર ઘાટીમાં જનજીવન ઠપ્પ થવાને બદલે સામાન્ય રહેવું એ એક શુભ સંકેત છે અને તે બતાવે છે કે કેવી રીતે જમ્મુ-કાશ્મીરના લોકો હિંસાથી કંટાળી ગયા છે અને આતંકવાદનો ભૂતકાળ છોડીને વિકાસના માર્ગે આગળ વધવા માંગે છે. ગૃહ મંત્રાલય માટે 370 નાબૂદ થવા છતાં તાલુકા પંચાયત અને જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીઓ જમ્મુ-કાશ્મીરના લોકોમાં પ્રશાસન માટે વિશ્વાસ વધારવામાં સફળ રહી છે.
આ પણ વાંચો: જાણો PF અને GPF વચ્ચે શું છે તફાવત, પીએફના વ્યાજ પરના Tax નિયમો શું GPF પર પણ લાગુ થશે?