TMKOC Jethalal : ‘તારક મહેતા’ શો માંથી કપાશે જેઠાલાલનો રોલ? મોટી ફીને લઈ મેકર્સ પરેશાન! દિલીપ જોશીને લઈને અહેવાલો વાયરલ
ટીવીનો લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા લગભગ 18 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શોના અનેક પાત્રોએ દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે, જેમાં જેઠાલાલનું પાત્ર સૌથી વધુ લોકપ્રિય માનવામાં આવે છે. દિલીપ જોશીએ આ પાત્રને પોતાની અનોખી અભિનય શૈલીથી ઘર-ઘરમાં ઓળખ અપાવી છે.

તાજેતરમાં સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શોના નિર્માતાઓ હવે જેઠાલાલના પાત્રને ઓછું સ્ક્રીન ટાઈમ આપવાની યોજના બનાવી રહ્યા છે. જોકે, આ અંગે અત્યાર સુધી શોના નિર્માતાઓ કે દિલીપ જોશી તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

અહેવાલો અનુસાર, નિર્માતાઓ હવે શોમાં જોડાયેલા નવા રાજસ્થાની પરિવારની સ્ટોરીલાઇન પર વધુ ભાર મૂકવા માંગે છે. આ પરિવારમાં પતિ, પત્ની અને તેમના બે બાળકોનો સમાવેશ થાય છે. પતિનું પાત્ર કુલદીપ ગોર (રત્ન સિંહ બિંજોલા) જ્યારે પત્નીનું પાત્ર ધરતી ભટ્ટ (રૂપા) ભજવી રહ્યા છે. શોમાં રત્ના સાડીની દુકાન ચલાવતા જોવા મળે છે અને આ પરિવારની એન્ટ્રી બાદ તેમની કહાનીને વધુ સ્ક્રીન ટાઈમ આપવામાં આવી રહ્યો હોવાનું કહેવાય છે.

મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે દિલીપ જોશી શોના સૌથી વધુ ફી મેળવનારા કલાકારોમાં સામેલ છે. તેઓ મહિને અંદાજે 15 દિવસ શૂટિંગ કરે છે. બીજી તરફ, દયાબેનનું પાત્ર લાંબા સમયથી શોમાં જોવા મળતું નથી, જેના કારણે જેઠાલાલ-દયાબેનની લોકપ્રિય સ્ટોરીલાઇન પણ આગળ વધી શકતી નથી. પરિણામે નિર્માતાઓ નવા ટ્રેક અને નવા પાત્રો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે.

છેલ્લા કેટલાક એપિસોડમાં પણ બાઘા અને બાવરીની લવ સ્ટોરી સહિત અન્ય પાત્રોની કહાનીને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. આ દરમિયાન અનેક દર્શકોએ સોશિયલ મીડિયા પર જેઠાલાલની ઓછી હાજરી અંગે સવાલો ઉઠાવ્યા હતા. ઘણા ચાહકોએ કોમેન્ટ કરીને પૂછ્યું હતું કે, "જેઠાલાલ ક્યાં છે?"

દિલીપ જોશીને લઈને વાયરલ થઈ રહેલા આ અહેવાલોએ તેમના ચાહકોમાં ચિંતા વધારી છે. જોકે, નોંધનીય વાત એ છે કે અત્યાર સુધી શોના નિર્માતાઓએ જેઠાલાલના પાત્રને ઘટાડવા અથવા દિલીપ જોશીને શોમાંથી દૂર કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

ઘણા દર્શકોનું માનવું છે કે જેઠાલાલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નું સૌથી મજબૂત અને લોકપ્રિય પાત્ર છે. દયાબેનની લાંબી ગેરહાજરી વચ્ચે જો જેઠાલાલની ભૂમિકા પણ ઓછી કરવામાં આવશે, તો તેની અસર શોની લોકપ્રિયતા પર પડી શકે છે. જોકે, હાલ આ સમગ્ર મામલે માત્ર અહેવાલો અને અટકળો ચાલી રહી છે. સત્તાવાર જાહેરાત બાદ જ સાચી સ્થિતિ સ્પષ્ટ થશે.
TMKOC સેટ પર તોડફોડ! ચાહકો ‘ગોકુલધામ સોસાયટી’ની સ્થિતિ જોઈ ચિંતામાં આવ્યા
